ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ 101 નવદંપતીને આશીર્વાદ આપશે
- 1000થી વધુ રક્તની બોટલો એકત્રિત કરાશે
- શહેરના તમામ શ્રેષ્ઠીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
સાગર ફાઉન્ડેશન ગ્રુપ – રાજકોટ દ્વારા તા.27 માર્ચ એટલે કે આવતીકાલે રવિવારના રોજ સવારે 10 વાગ્યે રેસકોર્સ ગ્રાઉન્ડ ફનવર્લ્ડ ખાતે સર્વે જ્ઞાતિ સમુહ લગ્ન યોજાશે. સાગર ફાઉન્ડેશન ગ્રુપ- રાજકોટ આયોજીત હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ ધર્મના સર્વે જ્ઞાતિ સમુહ લગ્નનું આયોજન એકતાનું પ્રતિક બનશે અને 101 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડશે. ત્યારે આ સર્વે જ્ઞાતિના સમુહ લગ્નનું ઉદ્ધાટન ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહીને કરશે.
સમુહ લગ્નની સાથે અનેક પ્રેરણાદાયી વિવિધ કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની રક્તતુલા કરવામાં આવશે. આ સમુહ લગ્નમાં મેગા રક્ત કેમ્પ, પ્રધાનમંત્રી વીમા અને પ્રધાનમંત્રી સુરક્ષા યોજના જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં 1100 બોટલ રક્તની એકત્ર કરીને જરૂરિયાતમંદ દર્દીઓને સુપ્રત કરવામાં આવશે. આ કેમ્પમાં આશરે 1000 યુવાનો જોડાશે. તેમજ કરિયાવરમાં દીકરીઓને 139 વસ્તુઓ આપવામાં આવશે. જેમાં ફ્રીજ, વોશીંગ મશીન, ટીવી, ઘરઘંટી, કબાટ, પલંગ, સોફા સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે. વધુમાં સાગર ફાઉન્ડેશન દ્વારા સીફા-એ-ઝરિયા સમાજને એમ્બ્યુલન્સ પણ અર્પણ કરવામાં આવશે. જે સર્વ સમાજના હિત માટે વાપરવામાં આવશે. આ ઉપરાંત લાડલી ફેઈમ કીર્તિદાન ગઢવી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે સમુહ લગ્નના આ આયોજનમાં કોઈપણ પ્રકારની ફી લેવામાં આવી નથી. સાગર ફાઉન્ડેશન ગ્રુપ રાજકોટ દ્વારા પ્રથમ સમુહ લગ્નની ભવ્ય સફળતા બાદ દ્વિતિય સર્વ જ્ઞાતિય સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સર્વે જ્ઞાતિય સમુહ લગ્નમાં 101 યુગલો એક તરફ નિકાહ તો બીજી તરફ સાત ફેરાં ફરતાં જોવા મળશે.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનારા આ સર્વે જ્ઞાતિ સમુહ લગ્નમાં ભાજપ કોર્પોરેટર જયમીન ઠાકર, સાંસદ વિનોદ ચાવડા, મોહન કુંડારિયા, રામભાઈ મોકરીયા, રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદ પટેલ, લાખાભાઈ સાગઠીયા, મેયર પ્રદિપ ડવ, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ડો. ભરત બોઘરા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી સહિતના રાજકોટના અલગ અલગ સમાજ અને ઉદ્યોગપતિઓ-દાતાઓ ઉપસ્થિત રહેશે.