અદાલતની બાંહેધરી છતાં 20 જ મિનિટમાં ગૌશાળા તોડી; ઠંડીમાં ગાયોને નિરાધાર છોડવા બદલ કોર્ટ નારાજ
80 વર્ષ જૂનાં ટ્રસ્ટના કબજા પર જેસીબી ફેરવાયું: ગાયોના રક્ષણ માટે ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભું કરવા અને તેની તસવીરો રજૂ કરવા આદેશ કરાયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં દશનામ ગોસ્વામી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગૌશાળા અને ધર્મશાળાને તોડી પાડવાના વિવાદમાં ગુજરાત હાઈકોર્ટે વહીવટી તંત્ર સામે આકરું વલણ અપનાવ્યું છે.
આ મામલે થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે ચોટીલાના મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાની કાર્યપદ્ધતિ સામે ગંભીર સવાલો ઉઠાવી તેમને શિસ્તભંગના પગલાં અને ભવિષ્યમાં સસ્પેન્શન સુધીની કાર્યવાહીની ચીમકી આપી છે.
ચોટીલામાં નવગ્રહ મંદિર પાસે આવેલી વિવાદાસ્પદ જમીન પર છેલ્લા 80 વર્ષથી દશનામ ગોસ્વામી ટ્રસ્ટનો કબજો હોવાનો દાવો છે. ટ્રસ્ટે સ્વીકાર્યું હતું કે બાંધકામ સરકારી જમીન પર છે, પરંતુ 12 જાન્યુઆરીના રોજ કોઈપણ પૂર્વ નોટિસ આપ્યા વગર વહીવટી તંત્ર દ્વારા ધર્મશાળા તોડી પાડવામાં આવી હતી.
ત્યારબાદ કડકડતી ઠંડીમાં ગૌશાળાનો શેડ પણ કાઢી નાખવામાં આવતા ટ્રસ્ટે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. ટ્રસ્ટનો આક્ષેપ છે કે વહીવટી તંત્રએ મંદિર ન તોડવાની વાત કરી હોવા છતાં ગૌશાળા તોડીને અમાનવીય અભિગમ દાખવ્યો છે.
15 જાન્યુઆરીના રોજ હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલે બપોરે 12:40 કલાકે બાંયધરી આપી હતી કે જે-તે પરિસ્થિતિ (જફિિીંંત ચીજ્ઞ) જાળવી રાખવામાં આવશે. જોકે, અરજદારના વકીલે કોર્ટને વીડિયો પુરાવા સાથે જણાવ્યું હતું કે બાંયધરી આપ્યાના માત્ર 20 જ મિનિટમાં, એટલે કે બપોરે 1:00 વાગ્યે, ડેપ્યુટી કલેક્ટરે જેસીબી મશીનથી ગૌશાળા તોડવાની કામગીરી શરૂ કરાવી દીધી હતી.
અરજદારે આક્ષેપ કર્યો હતો કે ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા ’સિંઘમ’ સ્ટાઈલમાં કામ કરવાનો દેખાવો કરે છે અને તેમની ગાડીમાંથી ઉતરતી વખતે સિંઘમના ગીતો વગાડી કાયદો હાથમાં લે છે. હાઈકોર્ટે ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેમને આ વર્તન માટે ભોગવવું પડશે. કોર્ટે પૂછેલા પ્રશ્નોનો ખુલાસો ન મળે તો તપાસના આદેશ આપવાની પણ ખાતરી આપી છે. હાલમાં ગાયોના રક્ષણ માટે ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભું કરવા અને તેની તસવીરો રજૂ કરવા આદેશ કરાયો છે. આ કેસની આગામી સુનાવણી 09 ફેબ્રુઆરીના રોજ નિયત કરવામાં આવી છે, જેમાં તંત્રના અધિકારીઓના ભાવિનો નિર્ણય થઈ શકે છે.
24 નવે.એ ઓર્ડર, 17 જાન્યુ.એ નોટિસ: પોલ ખુલતા કોર્ટ આકરાપાણીએ
- Advertisement -
વહીવટી તંત્રએ દાવો કર્યો હતો કે 24 નવેમ્બર 2025ના રોજ ડિમોલિશનનો ઓર્ડર આપવામાં આવ્યો હતો, પરંતુ અરજદારને આ નોટિસ 17 જાન્યુઆરી 2026ના રોજ મળી હતી.
પોસ્ટના સિક્કા પરથી સાબિત થયું કે તંત્રએ કોર્ટની પ્રોસિજર સાથે રમત રમી છે. ઇન્ચાર્જ મામલતદારે જ્યારે તારીખની ભૂલને ’કારકુનની ભૂલ’ ગણાવી, ત્યારે કોર્ટે ગુસ્સે થઈને પૂછ્યું હતું કે, “બાકીની 13 વર્ષની નોકરી કરવાની ઈચ્છા છે કે કેમ? કોઈપણ પ્રોસિડિંગ વગર તમે કરેલો હુકમ શંકાસ્પદ છે.”



