ખાસ-ખબર ન્યૂઝ તેલ અવીવ, તા.18
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના સીઝેરિયા સ્થિત ઘર પર ફરી હુમલો થયો છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલના જણાવ્યા અનુસાર, વડાપ્રધાનના ઘર તરફ બે ફ્લેશ (આગના ગોળા) છોડવામાં આવી હતી, જે ઘરના આંગણામાં પડી હતી. ઈઝરાયલ પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે. હુમલો ક્યાંથી થયો અને કોણે કર્યો તેની માહિતી હાલ ઉપલબ્ધ નથી. ઈઝરાયલની સુરક્ષા એજન્સી શિન બેટે એક નિવેદનમાં જણાવ્યું કે આ ઘટનામાં કોઈ નુકસાનના સમાચાર નથી. સુરક્ષા એજન્સીએ એમ પણ કહ્યું કે હુમલા સમયે નેતન્યાહૂ અને તેમનો પરિવાર ઘરે ન હતો. તેઓએ આ ઘટનાની તપાસ શરૂ કરી છે. આ પહેલાં 19 ઓક્ટોબરે નેતન્યાહુના ઘર પર હિઝબુલ્લા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નેતન્યાહુના ઘરની નજીક એક બિલ્ડિંગ પર ડ્રોન પડ્યું. કોઈ જાનહાનિ થઈ ન હતી. તે સમયે પણ નેતન્યાહૂ અને તેમની પત્ની સારા ઘરે ન હતાં. તમામ રાજકીય પક્ષોએ ઈઝરાયલના પીએમના ઘર પર થયેલા આ હુમલાની નિંદા કરી છે. વિપક્ષી નેતાઓ યાયર લેપિડ અને બેની ગેન્ટ્ઝે ગુનેગારો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન કાત્ઝે સોશિયલ મીડિયા પર કહ્યું કે દુશ્ર્મનોએ તમામ હદ વટાવી દીધી છે.
સુરક્ષા એજન્સીઓએ આ મામલે તાત્કાલિક પગલાં લેવાં જોઈએ. જેરુસલેમ પોસ્ટના અહેવાલ મુજબ સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે ઈઝરાયલને લાંબા અંતરની મિસાઈલને હરાવવામાં વધુ મુશ્ર્કેલીનો સામનો કરવો પડતો નથી. પરંતુ સુરક્ષા વ્યવસ્થા ટૂંકા અંતરના રોકેટ કે ડ્રોનને પકડવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. છેલ્લી વખત નેતન્યાહુના ઘર પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે ઇઝરાયલે માત્ર એક ડ્રોનને મારવા માટે ચાર ફાઇટર પ્લેન અને એક મિસાઇલ છોડવી પડી હતી. સંરક્ષણ નિષ્ણાત લિરાન એન્ટેબેએ જણાવ્યું હતું કે ડ્રોન ખૂબ જ ઓછી ઊંચાઈએ ઊંડે છે. તે સમયે તેને નિશાન બનાવવું ખતરનાક બની શકે છે, કારણ કે તે વિસ્ફોટકોથી ભરેલું હોય છે. જેના કારણે ઘરો અને લોકોને નુકસાન થઈ શકે છે. ઈઝરાયલના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે જો ડ્રોન કે મિસાઈલ દ્વારા મોટા પાયે હુમલો કરવામાં આવે તો પણ ઈઝરાયલ પાસે તેનો સામનો કરવા માટે પૂરતી વ્યવસ્થા નથી. તેમણે કહ્યું કે કેટલીક મિસાઇલોને રોકી શકાય છે, પરંતુ આયર્ન ડોમ માટે પણ ઘણા અચાનક હુમલાને રોકવું શક્ય નથી.