ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વડાપ્રધાન મોદીએ હેમાબહેનના દુ:ખદ અવસાનના સમાચાર જાણી તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી ઊંડા દુ:ખની લાગણી વ્યક્ત કરીહતી. જનસંઘ સમયનાં, ભાજપ સ્થાપના સમયના વરિષ્ઠ નેતાઓ પૈકીના વરિષ્ઠ નેતા શ્રીમતી હેમાબેન હતાં. એ કપરો સમય રાષ્ટ્ર વિરોધી પરિબળો તેમજ હિન્દુહિત વિરોધી શાસન- સત્તા પ્રભાવ અને વિરોધની વચ્ચે સમાજકાર્ય કરવું ઘણું અઘરું અને કઠિન હતું. હિન્દૂ હિત- રાષ્ટ્રહિતને કેન્દ્રમાં રાખી રાષ્ટ્રવાદી વિચારધારા આધારિત જનસંઘ-ભાજપના રાષ્ટ્રવાદી સિદ્ધાંતો મૂલ્યો સાથે લઈ પક્ષકાર્ય માટે સાધન-સુવિધા- સંશાધનોનાં અભાવ વચ્ચે જનસંઘના દીવડાને જલતો રાખનાર સુર્યકાન્તભાઇ આચાર્ય અને હેમાબેન સૌરાષ્ટ્રમાં અગ્રેસર રહ્યા હતા.
- Advertisement -
ગુજરાતમાં પહેલી બે નગરપાલિકા જનસઘે કબજે કરી તેમા માણાવદરનો સમાવેશ થયો, તેમા સુર્યકાન્તભાઈની મહેનત અને પ્રેરણાનું બળ હતું.1968માં જૂનાગઢ નગરપાલિકામાં પ્રથમ મહિલા અધ્યક્ષ બનનાર હેમાબહેન 1975માં જૂનાગઢ ખાતેથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને ગુજરાત સરકારમાં આરોગ્ય વિભાગના મંત્રી બની ખૂબ યશસ્વી કામગીરી કરી હતી.
જનસંઘ-ભાજપ ના સંસ્થાપક સદસ્ય, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન, પૂર્વ આરોગ્ય મંત્રી શ્રીમતી હેમાબેન આચાર્યના દુ:ખદ અવસાનથી આજે જૂનાગઢ-સૌરાષ્ટ્ર-ગુજરાતે ઍક વિરલ વ્યક્તિત્વને ગુમાવ્યું છે તેનું ભારોભાર રંજ અને ઊંડું દુ:ખ છે. તેમ રાજુભાઇ ધ્રુવે જણાવ્યું હતું.