પક્ષકારોના વકીલોએ દલીલો રજૂ કરી, જમીન તકરાર, વારસાઈ મિલકત અને હેતુફેરના અનેક અરજી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દર બુધવારે મહેસૂલી અપીલ બોર્ડ યોજાય છે. ત્યારે આજે બોર્ડમાં 22 કેસનો સમાવેશ થયો છે. જેને લઈને આજે કલેક્ટર કચેરી ખાતે પક્ષકારો અને વકીલો ઉમટી પડ્યા હતા. જમીન તકરાર, જમીન માપણી, વારસાઈ મિલકત, દસ્તાવેજમાં ભૂલ, જમીનનો હેતુફેર તથા સરકારી ખરાબાના કેસો યોજાતા હોય છે ત્યારે આજે 22 કેસોની સુનાવણી હાથ ધરાઈ છે. જ્યારે ગત બુધવારે અપીલ બોર્ડ અચાનક રદ કરી દેતા દેકારો બોલી ગયો હતો અને પક્ષકારો અને વકીલોને ધરમનો ધક્કો ખાવો પડ્યો હતો. રેવન્યુ બોર્ડમાં કલેક્ટર ઘણી અરજીઓ રિવીઝનમાં લઈ ખરીદ અથવા વેચાણ અટકાવી સ્ટે લાવી શકે છે. જ્યારે અપીલ બોર્ડમાં હાજર ન રહેનારા આસામીઓને નોટિસ પણ ફટકારવામાં આવે છે. ગત કેસમાં ચોટીલાના બામણબોરની જમીન કૌભાંડ કેસમાં કલેક્ટરે સ્ટે પાઠવી દીધો હતો.
રાજકોટ કલેક્ટર કચેરીમાં મહેસૂલી અપીલ બોર્ડમાં 22 કેસની સુનાવણી
