78 કિલો અખાદ્ય સામગ્રીનો નાસ કરાયો અને જરૂરી વસ્તુઓના સેમ્પલ લેવાયા
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રના સૌથી મોટા અને પ્રખ્યાત એવા રાજકોટના લોકમેળામાં પ્રથમ બે દિવસમાં 2 લાખથી વધુ લોકોએ મેળાની મોજ માણી છે. બે વર્ષ બાદ યોજાયેલ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે લોકમેળો 5 દિવસ સુધી ચાલવાનો છે ત્યારે આજે મેળાના ત્રીજા દિવસે રાજકોટ મહાનગર પાલિકાની આરોગ્ય શાખા દ્વારા આઝાદી કે અમૃત મેળામાં આવેલ ખાણીપીણીના સ્ટોલ પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં કુલ 35 સ્ટોલ પર ચેકીંગ હાથ ધરી સ્થળ પર જ 78 કિલો અખાદ્ય સામગ્રીનો નાસ કરવામાં આવ્યો હતો અને જરૂરી વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
- Advertisement -
રાજકોટ મહાનગર પાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરના રેસકોર્સ મેદાન ખાતે યોજાયેલ લોકમેળામાં દરોડા પાડવામાં આવ્યા હતા. બે વર્ષ બાદ યોજાયેલ રાજકોટના લોકમેળામાં કુલ 92 જેટલા ખાણીપીણીના સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. ત્યારે રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ ભરમાંથી લોકમેળાની મજા માણવા આવતા લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે દરોડા કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફૂડ વિભાગના અધિકારી અમિત પંચાલના જણાવ્યા મુજબ મનપાની આરોગ્ય શાખા લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે મેળામાં ખાણીપીણીના સ્ટોલ પર ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે.
સાતમ-આઠમના મેળામાં લોકો મજા માણવા માટે આતુર હોય છે અને આ વર્ષે બે વર્ષ બાદ મેળો આવતા લોકો મેળાની મન મૂકી મજા માણી રહ્યા છે. ત્યારે કેટલાક વેપારીઓ પોતાના રૂપિયાના નફાને લઇ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. હાલતો આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 13 જેટલા વેપારીઓને નોટીસ ફટકારવામાં આવી છે પરંતુ આગળ પણ તેઓ વાસી કે અખાદ્ય ચીજ વસ્તુ નું વેચાણ કરશે તો તેમના સ્ટોલને સીલ કરવાની પણ તૈયારી મનપા દ્વારા દાખવવામાં આવી છે.