રાજકોટમાં રઘુવંશી સમાજના યુવકોએ સ્વામીના પૂતળાને લાતો મારી સળગાવવાનો પ્રયાસ કર્યો, 2 મહિલા સહિત 10ને ડિટેઈન કરાયાં
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશ દ્વારા જલારામ બાપા વિશે કરેલ વિવાદિત ટિપ્પણીને લઇ લોહાણા સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે (4 માર્ચે) વીરપુર બંધ રહ્યા બાદ આજરોજ (5 માર્ચે) રાજકોટમાં ભૂપેન્દ્ર રોડ પર આવેલ વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિર ખાતે લોહાણા સમાજના યુવાનો વિરોધ કરવા આવી પહોંચ્યા હતા અને સ્વામી જ્ઞાનપ્રકાશના પૂતળા પર પાટા મારી પૂતળું સળગાવવામાં આવ્યું હતું. જો કે તુરંત પોલીસ પહોંચી જતા પૂતળું સળગતું ઠારી વિરોધ કરી રહેલા યુવાનોને ડિટેઈન કરાયા હતા.
વિરોધને પગલે પોલીસે રઘુવંશી સમાજનાં 10 યુવકો તેમજ 2 મહિલાઓને પણ ડિટેઈન કરી હતી. વિરોધના પગલે અગાઉથી જ ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે એ ડિવિઝન પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. મીડિયા સાથેની વાતચીતમા લોહાણા સમાજના યુવકે જણાવ્યું હતું કે, વીડિયો કોલિંગના માધ્યમથી માંગવામાં આવેલી માફી અમને મંજૂર નથી. જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર રૂબરૂ આવીને માફી નહીં માંગે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે.
ગઈકાલે જ સમગ્ર મામલો થાળે પડી ગયો હતો
‘જ્યાં ટુકડો ત્યાં હરિ ઢૂંકડો’ સૂત્રને સાર્થક કરનાર વિશ્ર્વપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરના સંત જલારામ બાપા વિશે સુરતના અમરોલીના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલા નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. એને લઈને સમગ્ર રઘુવંશી સમાજમાં અને જલારામ બાપાના ભક્તોમાં રોષ ફેલાયો હતો તેમજ જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાની જગ્યામાં આવી માફી માગે એવી ભાવિકોએ માગ કરી હતી. રાજકોટના સાંસદ રૂપાલાએ પણ કહ્યું હતું કે જલારામ બાપા વિશે બોલવાની સ્વામીની હેસિયત નથી. આ માગને લઈ મંગળવારે (4 માર્ચે) સવારે અગિયાર વાગ્યે વીરપુર ગ્રામપંચાયત કચેરી ખાતે બેઠક યોજી હતી તેમજ જલારામ બાપાના મંદિર સુધી ભક્તોએ પદયાત્રા કરી હતી. ત્યાર બાદ 4 માર્ચ, 2025 વીરપુર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે સાંજે આ વિવાદ થાળે પડ્યો હતો. અખિલ ગુજરાત લોહાણા સમાજના ઉપપ્રમુખ યોગેશ અનડકટે જણાવ્યું હતું કે, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના દેવ સ્વરૂપ સ્વામી અને લોહાણા સમાજ વચ્ચે સમજૂતી થઈ છે. જેમાં દેવ સ્વરૂપ સ્વામીએ લોહાણા સમાજના લેટરપેડ પર માફી માંગી છે. અનુકૂળતાએ જ્ઞાનપ્રકાશ સ્વામી મંદિર અને પરિવારની માફી માંગશે. સ્વામીએ પોતાના ફોલોઅર્સ વધારવા માટે આ બફાટ કર્યો હતો. વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા લેખિત અને વીડિયો મારફતે માફી મંગાવવામાં આવશે. સમાજના આગેવાનના આ નિવેદન બાદ પણ આજે રાજકોટમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું અને જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર આવી માફી માગે તેવી માગ કરવામાં આવી હતી.