સાણંદમાં ટ્રિપલ અકસ્માત બાદ વાહનો ભડભડ સળગ્યા: ગોધરા હાઈવે પર શૃંખલાબદ્ધ ટક્કરમાં લુણાવાડાના એક જ પરિવારના 9 સભ્યો ઇજાગ્રસ્ત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતના સ્ટેટ હાઈવે પર ગઈકાલની રાત કાળમુખી સાબિત થઈ છે. સાણંદ-વિરમગામ અને ગોધરા-વડોદરા હાઈવે પર સર્જાયેલા બે અલગ-અલગ ગમખ્વાર અકસ્માતોમાં કુલ 4 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 8થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ બંને ઘટનાઓએ હાઈવે પરની સુરક્ષા અને વાહનોની ગતિ મર્યાદા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
સાણંદ-વિરમગામ હાઈવે પર વિરોચનનગર પાસે એક કપચી ભરેલી ટ્રક વળાંક લઈ રહી હતી, ત્યારે પુરપાટ ઝડપે આવતા દૂધના ટેન્કર સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી. આ અથડામણ એટલી ભીષણ હતી કે બાજુમાંથી પસાર થઈ રહેલી એક થાર કાર પણ તેની અડફેટે આવી ગઈ હતી. ટક્કરની ગણતરીની સેક્ધડોમાં જ ત્રણેય વાહનોમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ દુર્ઘટનામાં થાર કારમાં સવાર વ્યક્તિ અને ટ્રકનો ક્લીનર આગની જ્વાળાઓમાં જીવતા હોમાઈ ગયા હતા. સાણંદ અને વિરમગામ ફાયર વિભાગે લાંબી જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં બે જિંદગીઓ ખાખ થઈ ગઈ હતી.
બીજી તરફ, પંચમહાલ જિલ્લાના વેજલપુર-ખરસલીયા ચોકડી પાસે ચાર વાહનો (ક્ધટેનર, આઈશર, ટ્રેલર અને વાન) વચ્ચે શૃંખલાબદ્ધ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં વેજલપુર ખાતે ફરજ પર તૈનાત 32 વર્ષીય ઝછઇ જવાન જગદીશ મફતભાઈ બારિયા અને લુણાવાડાના 30 વર્ષીય વાન ચાલક અશરફ રશીદ પઠાણનું કરુણ મોત નીપજ્યું છે. અકસ્માત સમયે લુણાવાડાનો એક જ પરિવાર વાનમાં સવાર થઈ ગોધરા તરફ જઈ રહ્યો હતો. આ પરિવારના 9 સભ્યો (4 બાળકો, 4 મહિલા અને 1 પુરુષ) ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી એકની હાલત નાજુક જણાતા તેમને વડોદરા રિફર કરવામાં આવ્યા છે.
બંને ઘટનાસ્થળે સ્થાનિક પોલીસ કાફલો પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાણંદ અને વેજલપુર પોલીસે અકસ્માતના ગુના નોંધી વધુ તપાસ શરૂ કરી છે. હાઈવે પર વારંવાર સર્જાતા આવા અકસ્માતો અને ખાસ કરીને સાણંદની ઘટનામાં વાહનોમાં લાગેલી આગે વાહનચાલકોમાં ભારે ફફડાટ ફેલાવ્યો છે. રાત્રિના સમયે હાઈવે પર થતા ભારે વાહનોના પરિવહન અને ઓવરસ્પીડિંગ સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.



