અમેરિકામાં રહેતા 44% ભારતીય તેમની નાગરિકતા છોડી દે છે
2015 અને 2020ની વચ્ચે 8 લાખથી વધુ લોકોએ તેમની ભારતીય નાગરિકતા છોડી દીધી હતી. 2020માં કોરોનાને કારણે આ આંકડામાં ઘટાડો થયો હતો. વર્ષ 2023ના આંકડા કહે છે કે, 1.25 કરોડ ભારતીય નાગરિકો વિદેશમાં રહે છે, જેમાંથી 37 લાખ લોકો OCI (ઓવરસીઝ સિટિઝનશિપ ઑફ ઈન્ડિયા) કાર્ડધારક છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ભારતીયોનું દેશ છોડીને વિદેશમાં સ્થાયી થઈ જવું, ત્યાંની નાગરિકતા લઈ લેવી, હવે કોઈ નવાઈની વાત નથી રહી. અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં સ્થાયી થયેલા ભારતીયો મોટી સંખ્યામાં તેમની ભારતીય નાગરિકતા છોડી રહ્યા છે. વર્ષ 2023માં ભારતીય નાગરિકત્વનો ત્યાગ કરનારા લોકોની સંખ્યા 2 લાખને પાર થઈ ગઈ હતી. કોરોના રોગચાળા દરમિયાન ભારતીયો દ્વારા ભારતની નાગરિકતાનો ત્યાગ કરવામાં ઘટાડો થયો હતો, પરંતુ એ પછી એમાં સતત વધારો થતો રહ્યો છે. ભારતીયોમાં દેશ છોડવાનું પ્રમાણ કેમ વધી રહ્યું છે? તેના કારણ ઘણા છે.અમેરિકામાં રહેતા સરેરાશ 44 ટકા ભારતીયો તેમની નાગરિકતા છોડી દે છે. કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં રહેતા 33 ટકા ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે. બ્રિટન, સાઉદી અરેબિયા, કુવૈત, યુએઈ, કતાર, સિંગાપોર જેવા દેશોમાં પણ મોટી સંખ્યામાં ભારતીયો સ્થાયી થઈ રહ્યા છે. વિદેશી નાગરિકતા મેળવ્યા પછી અરજદારે પોતાનો ભારતીય પાસપોર્ટ રદ કરવા માટે ભારતીય કોન્સ્યુલેટને આપી દેવો પડે છે. એની સાથે વિદેશી પાસપોર્ટની નકલ પણ આપવી પડે છે. કોન્સ્યુલેટ ભારતીય પાસપોર્ટ રદ કરે છે અને તેને ‘ત્યાગ પ્રમાણપત્ર’ સાથે અરજદારને પરત કરે છે. અરજદારે 3 વર્ષની અંદર ત્યાગ પ્રમાણપત્ર મેળવી લેવાનું હોય છે.
OIC કાર્ડ શું છે?
ભારતમાં બેવડી નાગરિકતાની જોગવાઈ નથી. એટલે જો તમે અન્ય કોઈ દેશની નાગરિકતા લેવા માંગતા હો, તો તમારે ભારતીય નાગરિકતા છોડવી પડે છે. OCI કાર્ડ એ વિદેશમાં સ્થાયી થનાર અને ત્યાંની નાગરિકતા લેનાર ભારતીય લોકો માટેની ખાસ સુવિધા છે. OCI ભારતમાં જીવનભર રહેવા, કામ કરવા અને તમામ પ્રકારના આર્થિક વ્યવહારો કરવાની સુવિધા આપે છે. OCI ધારક જ્યારે પણ ઈચ્છે ત્યારે વિઝા વિના ભારત આવી શકે છે. તે આજીવન માટે માન્ય છે.
- Advertisement -
ભારતની નાગરિકતા છોડવાના પાછળ કયા કારણો છે?
સૌથી મોટું કારણ – પૈસા ! : ભારતીયોનું ભારત છોડવા પાછળનું સૌથી મોટું કારણ પૈસા છે. જાપાન અને જર્મનીને પાછળ છોડીને ભારત 2030 સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર છે, પરંતુ માથાદીઠ આવકની દ્રષ્ટિએ આપણે હજુ પણ લાંબી મજલ કાપવાની બાકી છે. ભારતની સરખામણીમાં વિદેશમાં વધુ આવક રળવાની તક મળતી હોવાથી ભારતીયોને વિદેશનું ઘેલું લાગ્યું છે. ભારતમાં પ્રતિ કલાક સરેરાશ મજૂરી દર રૂપિયા 170 છે જ્યારે બ્રિટનમાં 945 અને અમેરિકામાં 596 રૂપિયા મળે છે. ઉપરાંત, આ દેશોમાં શ્રમ કાયદાનું પણ કડકપણે પાલન કરવામાં આવે છે. તેથી ભારતીયો આ દેશોમાં કામ કરવાનું પસંદ કરી રહ્યા છે.
ઉચ્ચ શિક્ષણ પણ આકર્ષણ જગાવે છે : ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જાય છે. એમ કરવામાં પણ ભણ્યા બાદ વિદેશમાં સ્થાયી થઈ જવાની ગણતરી હોય છે. ભારતીય વિદ્યાર્થીઓમાંથી 60 ટકાથી વધુ ભારત પાછા નથી આવતા. વિદેશમાં નોકરી મેળવ્યા પછી ત્યાંની નાગરિકતા મેળવી લે છે.
બહેતર સ્વાસ્થ્ય સેવાઓ મળે છે : ભારતની સરખામણીમાં વિદેશમાં ઘણી સારી સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ ઉપલબ્ધ હોવાથી પણ ભારતીયો દેશ છોડી રહ્યા છે.
સારું જીવનધોરણ : રહેઠાણથી લઈને કામનું સારું વાતાવરણ અને સરકારી સેવાઓથી લઈને ખાનગી સગવડો સુધીની તમામ સુવિધા બાબતે અન્ય દેશો ભારત કરતાં આગળ હોવાથી પણ ભારતીયો વિદેશમાં સ્થાયી થવાનું પસંદ કરે છે.
ઓછું પ્રદૂષણ : ભારતમાં કેટલું પ્રદૂષણ છે, એ સૌને ખબર છે. વિદેશના મોટાભાગના દેશો ભારત જેટલા પ્રદૂષિત ન હોવાથી પણ વિદેશ કમાવા માટે ગયેલા ભારતીયો પછી ત્યાંની નાગરિકતા લઈને કાયમ માટે ત્યાં જ સ્થાયી થઈ જવાનું પસંદ કરે છે.
રોકાણના સારા વિકલ્પ : પોતે કરેલી બચતના વધુ સારા વિકલ્પ વિદેશમાં ઉપલબ્ધ હોવાથી પણ ભારતીયો વિદેશી નાગરિકતા લઈ રહ્યા છે.
કયા દેશમાં કેટલા ભારતીયોએ નાગરિકતા લીધી?
અમેરિકા
78,284
ઓસ્ટ્રેલિયા
23,533
કેનેડા
21,597
બ્રિટન
14,637
ન્યૂઝીલેન્ડ
2,643
સિંગાપોર
2,516
જર્મની
2,381
નેધરલેન્ડ
2,187
દેશ છોડવાના મુખ્ય કારણો
રોકાણના સારા વિકલ્પ
શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સેવા
સારું જીવનધોરણ
ઉચ્ચ શિક્ષણ
વધારે આવક
2014થી 2022 સૌથી વધુ કયા રાજ્યના લોકોએ દેશની નાગરિકતા છોડી?
દિલ્હી- 60,414
પંજાબ-28,117
ગુજરાત-22,300
5 વર્ષમાં 8,34,482 ભારતીયે નાગરિકતા છોડી
2019
1,44,017
2020
85,256
2021
1,63,370
2022
2,25,620
2023
2,16,219