આંતરરાષ્ટ્રીય મેન્ગ્રુવ સંરક્ષણ દિવસ: રાષ્ટ્રીય સ્તરે ગુજરાત મેન્ગ્રુવ કવરની દ્રષ્ટિએ બીજા ક્રમે
રાજ્યમાં કચ્છ જિલ્લો 799 ચો. કિ.મી. મેન્ગ્રુવ કવર સાથે અગ્રેસર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત સૌથી વધુ લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય છે. ગુજરાતના દરિયાકાંઠે સમુદ્રની લહેરોની સાથે લીલોતરી ખીલી રહી છે. દરિયાકાંઠાના રક્ષક કહેવાતા મેન્ગ્રુવ એટલે કે ચેરના વૃક્ષોનું વાવેતર નોંધપાત્ર રીતે વધી રહ્યું છે. આ વૃક્ષો ખારા પાણીમાં પણ પોતાનું અસ્તિત્વ સ્થાપીને પ્રકૃતિની સ્થિતિસ્થાપકતાનું પ્રતીક બની રહ્યાં છે. દર વર્ષે વિશ્વભરમાં 26 જુલાઈએ આંતરરાષ્ટ્રીય મેન્ગ્રુવ સંરક્ષણ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે પ્રોટેકેટીંગ વેટલેન્ડ ફોર અવર ફ્યુચરની થીમ પર આ દિવસની ઉજવણી કરવામાં આવશે.
“MISHTI- Mangrove Initiative for Shoreline Habitats Tangible Incomes’ યોજના હેઠળ, ગુજરાતે 19,520 હેક્ટરમાં ચેરનું વાવેતર કરીને દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે, જેમાંથી માત્ર કચ્છ જિલ્લામાં જ 6,000 હેક્ટરનું વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતનું મેન્ગ્રુવ કવર વર્ષ 1991માં 397 ચોરસ કિલોમીટરથી વધીને 2021માં 1,175 ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે, જે રાજ્યની મહત્વપૂર્ણ દરિયાઇ ઇકોસિસ્ટમને બચાવવા અને તેને પુન:સ્થાપિત કરવા માટે ગુજરાત સરકારના નક્કર પ્રયાસો દર્શાવે છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકામાં મેન્ગ્રુવના વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયો છે. મેન્ગ્રુવ વૃક્ષોના સંરક્ષણમાં ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાંનું એક છે. રાષ્ટ્રીય સ્તરે ગુજરાત મેન્ગ્રુવ વિસ્તારની દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળ બાદ બીજા ક્રમે આવે છે. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા (ઋજઈં) 2023ના અહેવાલ મુજબ, ગુજરાતના મેન્ગ્રુવ વિસ્તારમાં 241.29 ચોરસ કિલોમીટરનો નોંધપાત્ર વધારો નોંધાયો છે. આ વૃદ્ધિ માત્ર આંકડાની વાત નથી, તે પર્યાવરણીય સંરક્ષણ અને ટકાઉ વિકાસ પ્રત્યે ગુજરાતની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. મેન્ગ્રુવ વૃક્ષો દરિયાકાંઠાના ધોવાણને રોકવામાં, જૈવવિવિધતાને પ્રોત્સાહન આપવામાં અને કુદરતી આફતો સામે રક્ષણ આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ગુજરાતમાં ચેરના વૃક્ષોનું વાવેતર વધારવા માટેના સંનિષ્ઠ પ્રયાસો પરિણામ સ્વરૂપે આજે ચેરનું આવરણ 1,175 ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે. રાષ્ટ્રીય સ્તરે પણ ગુજરાત મેન્ગ્રુવ કવરની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. ગુજરાતનું મેન્ગ્રુવ કવર વ્યૂહાત્મક રીતે રાજ્યના ચાર મુખ્ય વિસ્તારમાં વહેંચાયેલું છે. રાજ્યનો કચ્છ જિલ્લો 799 ચોરસ કિલોમીટર મેન્ગ્રુવ કવર સાથે અગ્રેસર છે, જે રાજ્યના મેન્ગ્રુવ કવરનો મોટાભાગનો હિસ્સો ધરાવે છે. મરીન નેશનલ પાર્ક અને અભયારણ્ય સહિત કચ્છનો અખાત, જામનગર, રાજકોટ (મોરબી), પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જેવા વિસ્તારોને આવરી લઇને 236 ચોરસ કિલોમીટરનો મેન્ગ્રુવ કવર ધરાવે છે. ખંભાતના અખાત અને ડુમસ-ઉભરાટ વિસ્તારો સહિત રાજ્યનો મધ્ય અને દક્ષિણ ગુજરાત વિસ્તાર કે જેમાં ભાવનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓનો સમાવેશ થાય છે, તે વિસ્તાર 134 ચોરસ કિલોમીટર મેન્ગ્રુવ કવર ધરાવે છે. ઉપરાંત, અમરેલી, જૂનાગઢ અને ગીર-સોમનાથ જેવા જિલ્લાઓને આવરી લેતો રાજ્યનો સૌરાષ્ટ્ર વિસ્તાર 6 ચો. કિ.મી.નું મેન્ગ્રુવ કવર ધરાવે છે. વર્ષ 2014-15 થી 2022-23 દરમિયાન મેન્ગ્રુવ વૃક્ષોના વાવેતરનું વ્યાપક અભિયાન હાથ ધર્યું હતું. વિવિધ વિસ્તારોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વૃક્ષારોપણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વર્ષ 2023-24માં રાજ્યમાં 6,930 હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રુવ વાવેતર કરાયું હતું અને વર્ષ 2024-25 દરમિયાન કુલ 12 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં મેન્ગ્રુવ વાવેતર કરવાનું આયોજન કરાયું છે.
મેન્ગ્રુવ ઇકોસિસ્ટમનું મહત્વ
મેન્ગ્રોવ્સ એ દરિયાકાંઠાના જંગલો છે, જેમાં ખારા પાણીમાં ઉગે તેવા વૃક્ષોનો સમાવેશ થાય છે. આ વૃક્ષો પોષકતત્વો અને કાંપને ફિલ્ટર કરીને પાણીની ગુણવત્તા સુધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ ઇકોસિસ્ટમ દરિયાઇ જીવસૃષ્ટિને ટેકો આપવા, દરિયાકાંઠાની જમીનને સ્થિર કરવા, ખારાશને વધતી અટકાવવા અને વાવાઝોડાં જેવી કુદરતી આફતોની અસરને ઘટાડવા માટે મહત્વપૂર્ણ છે. એવો અંદાજ છે કે માછલીઓ અને પક્ષીઓ સહિત અંદાજે 1,500 પ્રકારના છોડ અને પ્રાણીઓની પ્રજાતિઓ મેન્ગ્રોવ્સ પર નિર્ભર છે.
- Advertisement -
હરિયાળો પ્રયાસ: કાલાવાડ રોડ પર આવેલા જલ ભવનમાં 23 હજાર વૃક્ષોનું વાવેતર
પાણી પુરવઠા વિભાગ હસ્તકના હેડ વર્કસ તથા કચેરીમાં નિર્માણ કરાયા વન કવચ
ભૂતપૂર્વ વન અધિકારી ચુનીલાલ વર્ષાણી તથા વર્તમાન કાર્યપાલક ઇજનેર ગોહિલના સંયુક્ત પ્રયાસથી હજારો પક્ષીઓને મળ્યું નવું ઘર
રાજકોટના કાલાવડ રોડ પાસે આવેલી સરિતા વિહાર સોસાયટી પાસેથી પસાર થતાં ઘટાટોપ વનરાજીને જોઈને જંગલ જેવો અનુભવ થાય પણ આ જંગલ નથી. આ તો પાણી પુરવઠા વિભાગનું જલભવન કાર્યાલય છે. રાજકોટ જિલ્લાના પાણી પુરવઠા વિભાગ હસ્તકના અનેક હેડ વર્કસ અને મુખ્ય કચેરી ખાતે ભૂતપૂર્વ વન અધિકારી ચુનીલાલ વર્ષાણી તથા વર્તમાન કાર્યપાલક ઇજનેર ગોહિલે બહોળી સંખ્યામાં વૃક્ષારોપણ તથા ઉછેરની કાળજી સાથે નવા વન કવચોનું નિર્માણ કર્યું છે. આવો જ નજારો પાણી પુરવઠા વિભાગના ન્યારા, રફાળા, કુવાડવા, હડાળા, સણોસરા, મોટા ખીજડીયા વગેરે હેડ વર્કસ ખાતે પણ જોવા મળે. આ તમામ વનરાજીઓના ઉછેર માટે અંગત રસ લઈને કામગીરી કરી રહ્યા છે રાજકોટ જિલ્લાના હરિયાળા વ્યકિતત્વ ધરાવતા 2 સરકારી અધિકારીઓ પાણી પુરવઠા વિભાગના વર્તમાન કાર્યપાલક ઈજનેર અંકિત ગોહેલ તથા પૂર્વ વન અધિકારી ચુનીલાલ વર્ષાણી. આ સફળતા બાદ ન્યારા હેડ વર્કસ ખાતે અધિકારીઓ અને એચ.ડી એફ સી બેન્કની મદદથી 5000થી વધુ, રફાળા અને કુવાડવા હેડ વર્કસ ખાતે અંદાજે 2000-2000 વૃક્ષો, દડલી, મોટા ખીજડીયા, સોનટેકરા અને સણોસરા જેવા અતિ પથરાળ વિસ્તારમાં પણ 500 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ સાથે જ હડાળા હેડવર્કસ ખાતે વિશાળ જમીન પ્રાપ્ય થતા 10000 જેટલા વૃક્ષો ગત ઓક્ટોબર માસમાં જ વાવવામાં આવ્યા છે. આ કામગીરીમાં સરકારી સાધનો સિવાયનો જરૂરી સહકાર સદભાવના ટ્રસ્ટ દ્વારા મળ્યો હતો. આ સાથે જ અન્ય હેડ વર્કસ ખાતે પણ આવનારા દિવસોમાં સઘન વૃક્ષારોપણ દ્વારા વન કવચનું નિર્માણ કરવામાં આવશે.



