CM રૂપાણીએ આજથી ગુજરાતમાં લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટની અમલવારીની જાહેરાત કરી: ક્રાંતિકારી, સખત કાનૂનથી લેન્ડ માફિયાઓના મોતિયા મરી જશે
જમીન હડપ કરી જનારા તત્વોને ૧૦થી ૧૪ વર્ષ સુધીની જેલ-સજા થશે : જમીનની જંત્રી કિંમત જેટલો શિક્ષાત્મક દંડ ભરવો પડશે
- Advertisement -
કાયદા મુજબ જમીન કૌભાંડનો ભોગ બનનાર વ્યક્તિએ જે-તે વિસ્તારનાં કલેકટરને અરજી કરવાની રહેશે, આવી અરજીઓને સાત અધિકારીઓની પેનલ તપાસશે, આ પેનલની દર પંદર દિવસે ફરજીયાત મિટિંગ થશે
ફરિયાદમાં તથ્ય જણાય તો આ પેનલ એ પોલીસને મોકલી આપશે, પોલીસે સાત દિવસમાં કેઇસ નોંધવો પડશે અને ખાસ કોર્ટમાં છ મહિનાની અંદર તેનો ચુકાદો આવશે, આ કાયદા મુજબ લેન્ડ માફિયાએ પોતાનો હક્ક પુરવાર કરવો પડશે
ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કે જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાનકો, ખેડૂતો કે ખાનગી વ્યક્તિની માલિકીની જમીન પર ગેરકાયદે કબજો જમાવનારા ભૂમાફિયા તત્વો સામે કડકાઈથી પેશ આવવાનો સખ્ત એક્ટ – કડક કાયદો આજથી અમલમાં મુક્યો છે. આજે CM રૂપાણીએ પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે, આ કાયદા મુજબ જમીન કૌભાંડનો ભોગ બનનાર વ્યક્તિએ જે-તે વિસ્તારનાં કલેકટરને અરજી કરવાની રહેશે. આવી અરજીઓને સાત અધિકારીઓની પેનલ તપાસશે. આ પેનલની દર પંદર દિવસે ફરજીયાત મિટિંગ થશે. ફરિયાદમાં તથ્ય જણાય તો આ પેનલ એ પોલીસને મોકલી આપશે, પોલીસે સાત દિવસમાં કેઇસ નોંધવો પડશે અને ખાસ કોર્ટમાં છ મહિનાની અંદર તેનો ચુકાદો આવશે. આ કાયદા મુજબ લેન્ડ માફિયાએ પોતાનો હક્ક પુરવાર કરવો પડશે.
- Advertisement -
વૈશ્વિક વિકાસની હરણફાળ ભરી રહેલા દેશના અગ્રેસર રાજ્ય તરીકે ગુજરાત દેશ-દુનિયાના રોકાણકારો, ઊદ્યોગો, વેપાર-રોજગાર માટે બેસ્ટ ચોઈસ ફોર ઈન્વેસ્ટમેન્ટ અને લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી બન્યું છે. છેલ્લા બે દાયકામાં ગુજરાતના સર્વાંગી વિકાસને કારણે રાજ્યમાં આર્થિક, સામાજીક અને વ્યાપારી અને ખેતીવાડીની પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થયો છે. સાથોસાથ આ બધી પ્રવૃત્તિઓના વેગને કારણે જરૂરી તેવું માળખું ઉભુ કરવા જમીનની માંગમાં પણ ઉત્તરોત્તર નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને રાજ્યના મહાનગરપાલિકા વિસ્તારો અને ઔદ્યોગિક વિસ્તારોમાં તથા રહેણાંકના હેતુ માટે જમીનની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. તેથી જમીનના બજાર મૂલ્યમાં વધારો થઈ રહ્યો છે. જમીનની લે-વેચ સાથે સંકળાયેલા કેટલાક તત્વો તેમજ વ્યક્તિગત રીતે તેમાં હિત ધરાવતા તત્વો દ્વારા પરિસ્થિતિનો લાભ લઈ અને રાતો રાત આર્થિક ઉપાર્જન કરી લેવાના બદ ઈરાદા સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિ હાથ ધરી રાજ્ય સરકારની માલિકીની કે સ્થાનિક સત્તા મંડળની માલિકીની જમીનો બળજબરીથી, ગુનાહિત ધાક-ધમકીથી કે છેતરપીંડીથી બનાવટી દસ્તાવેજો ઉભા કરી પ્રત્યક્ષ કબ્જો કે માલિકી હક ન હોય છતા ગેરકાયદેસર કબ્જો જમાવી અને કેટલાક કિસ્સામાં વહીવટી તંત્ર સાથે મેળાપણું કરી આવી જમીન પચાવી પાડી અન્યોના નામે તબદીલ કરાવી, વેચાણ કરાવી તેમજ ભાડે આપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. રૂપાણી સરકારને પણ ધરતીપુત્રોની તેમજ ધાર્મિક સંસ્થાઓની જમીન પચાવી પાડી તેના પર બાંધકામ કરી વેચી દેવા સુધીની ગેરકાયદે પ્રવૃત્તિઓ સુધીની ફરીયાદો વખતો વખત મળેલ છે. વ્યક્તિગત કિસ્સાઓમાં પણ રાજ્યમાં અનેક લોકો આવા તત્વોનો શિકાર બન્યાનું ધ્યાન પર આવેલ છે. આ કારણે કેટલીકવાર રાજ્ય સરકાર માટે કાયદો અને વ્યવસ્થા સંબંધી પ્રશ્નો પણ ઉભા થતા હોય છે. તે સંજોગોમાં કોઈપણ સ્વરૂપમાં જમીન પચાવી પાડવા પર આ કાયદાથી પ્રતિબંધ મુકાયો છે. અને આવી પ્રવૃત્તિને ગેરકાયદે જાહેર કરેલ છે.
આ કાયદાની જોગવાઈથી માત્ર સરકારી કે સ્થાનિક સત્તા મંડળની માલિકીની જમીનોને જ નહીં પરંતુ ધાર્મિક સખાવતી સંસ્થા અથવા દેણગીની કે ખાનગી વ્યક્તિની જમીનના કાયદેસરના ભાડુઆતો ન હોય અને ભોગવટો ચાલું રાખે તો તેવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ વ્યક્તિઓ પણ આ કાયદા હેઠળ ગુનેગાર ગણાશે અને દોષીત ઠરેથી ઓછામાં ઓછી દસ વર્ષ અને વધુમાં વધુ ચૌદ વર્ષ સુધીની કેદ તેમજ મિલ્કતોની જંત્રીની કિંમત સુધીના દંડને પાત્ર રહેશે. આ કાયદા હેઠળના ગુનાઓની તપાસ નાયબ પોલીસ અધિક્ષકના દરજ્જાથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારી દ્વારા જ થશે.
ગુજરાતમાં આ એક્ટના અમલને પરિણામે ખેડૂતો, સામાન્ય માનવી કે ખાનગી માલિકી, જાહેર સંસ્થાની, સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની જમીનો પર ગેરકાયદેસરનો અથવા ડરાવી, ધમકાવીને કબજો જમાવી દેનારા તત્વો-ભૂમાફિયાઓ સામે આકરી સજા અને શિક્ષાત્મક પગલાં લેવાનો માર્ગ મોકળો થશે. કાયદો અમલમાં આવતા જમીન પચાવી પાડી તેમાં વેચાણ કરી દેવાનો કે આવી પ્રવૃત્તિને ઉત્તેજન આપવાનારા આ કાયદાના સકંજામાં આવવાથી જન સમાજ જમીન માલિકીના હકો ચિંતામુક્ત થઈ ભોગવી શકશે. વધુમાં ખેડૂતો, ધાર્મિક, સામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ જાહેર ટ્રસ્ટો, સંસ્થાઓ વગેરેને આ કાયદાનું પીઠબળ મળતા તેમના વહીવટમાં સરળતા રહેશે.
રૂપાણી સરકાર જમીન પચાવી પાડવાની ભૂમાફિયાની પ્રવૃત્તિઓ ડામી દેવા સંકલ્પબદ્ધ છે તેથી કાયદો આજથી જ અમલમાં આવી ગયો છે. જેના અસરકારક અમલીકરણથી જમીનોનો ગેરકાયદેસર કબ્જો લેનાર, આવી જમીનો ઉપર બાંધકામ માટે નાણાકીય સહાય કરનાર તેમજ આવી જમીનોના ભોગવટેદારો પાસેથી ગુનાહિત ધાક-ધમકીથી ભાડુ, વળતર કે અન્ય વસુલાત કરે કે તેમાં મદદગારી કરે તેવી તમામ વ્યક્તિઓ જમીન પચાવી પાડનાર વ્યક્તિની વ્યાખ્યામાં આવી જશે.
ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટ-વટહુકમની કેટલીક મહત્વપૂર્ણ જોગવાઈઓ આ મુજબ છે
રાજ્યમાં કોઈપણ સ્વરૂપે જમીન હડપવી કે જમીન હડપવાના હેતુથી કરેલી અન્ય ગતિવિધિ પ્રતિબંધિત, ગેરકાનૂની અને દંડનીય અપરાધ ગણાશે.
આવા જમીન હડપ કરવાના કેસોની ઝડપી-પારદર્શી તપાસ-સૂનાવણી માટે તેમજ ભૂમાફિયાઓને કડક સજા માટે રાજ્ય સરકાર વિશેષ અદાલતોની જિલ્લાવાર રચના કરી છે.
આવી વિશેષ અદાલત વધુમાં વધુ કેસોમાં કેસ અદાલતમાં દાખલ થયાના છ મહિનામાં નિકાલ કરશે તેવી વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે.
રાજ્ય સરકાર કેસોની ઝડપી સૂનાવણી માટે દરેક વિશેષ અદાલતમાં એક સરકારી વકીલ (પબ્લીક પ્રોસિક્યુટર)ની નિમણુંક કરશે.
આવી વિશેષ અદાલત સુઓ મોટો (suo moto) લઈ જમીન હડપનારા સામે નિયમાનુસાર કડક કાનૂની કાર્યવાહી કરી શકશે.
ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટ ૨૦૨૦ની જોગવાઈ મુજબ જમીન હડપવા સાથે સંકળાયેલા અન્ય ગુનાઓ હડપેલી જમીનને વેચાણ માટે મૂકવી કે તે માટે જાહેરાત આપવી, અન્ય વ્યક્તિને જમીન હડપવા માટે પીઠબળ પૂરું પાડનારા કે પ્રોત્સાહન-લોભ લાલચ આપનારા વ્યક્તિને પણ ૧૦થી ૧૪ વર્ષ સુધીની કેદ અને જંત્રી કિંમત જેટલો શિક્ષાત્મક દંડ ભરવો પડશે.
આ ઉપરાંત આવી હડપેલી જમીન પર બાંધકામ માટે કરાર કરવા કે અન્ય દ્વારા હડપ થયેલી જમીન ખરીદવા/હસ્તક લેનારાને પણ એટલી જ સજા થશે.