ઈનડાયરેકટ ટેકસ વિભાગનો દેશભરના અધિકારીઓને લેખિત આદેશ
મિલ્કત જપ્તી, બેંક ખાતા ટાંચમાં લેવા સહિતના કડક પગલા લેવાની સુચના
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જીએસટી કાયદામાં નવી-નવી છટકબારીઓ શોધીને કૌભાંડીયાઓ નવા-નવા કારસ્તાનો આચરતા હોવાના ખુલાસાને પગલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીયસ્તરે બોગસ રજીસ્ટ્રેશન સામે મસમોટી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. સરકારે અનેક ત્રુટીઓ દુર કરી હોવા છતાં નવી તરકીબો અપનાવીને ખોટી ઈનપુટ ટેકસ ક્રેડીટ મેળવીને સરકારી તિજોરીને કરોડોનો ચુનો ચોપડાતો હોવાનુ સરકારના ધ્યાને આવ્યુ છે. કેન્દ્ર સરકારના ટોચના સૂત્રોએ કહ્યું કે બોગસ દસ્તાવેજોના આધારે રજીસ્ટ્રેશન મેળવી લેનાર કંપનીઓની ઓળખ કરીને રજીસ્ટ્રેશન રદ કરવા સમગ્ર દેશના જીએસટી વિભાગને સૂચના આપવામાં આવી છે. આ સિવાય કંપની મારફત બોગસ ઈનપુટ ટેકસ ક્રેડીટ મેળવાઈ હોય તો તે રીકવર કરવા તથા જરૂર પડયે કૌભાંડીયાઓની મિલ્કતો તથા બેંક ખાતા ટાંચમાં લેવાના પણ આદેશ કરાયા છે. ઈનપુટ ટેકસ ક્રેડીટની ચેઈનમાં સામેલ વેપારીઓ પાસેથી પણ નાણાં રીકવર કરવા કહેવાયુ છે. સૂત્રોએ કહ્યું કે ભૂતકાળની ઝુંબેશમાં અનેક કૌભાંડીયાઓનો ભાંડો ફુટયો હતો. એટલું જ નહી તેમની સાથે વ્યવહારો કરનારી મોટી કંપનીઓ પર પણ સિકંજો કસાયો હતો છતાં કૌભાંડો ચાલુ જ છે. કૌભાંડ આચરતા તત્વો બનાવટી વિજબીલથી માંડીને બોગસ મિલ્કતવેરા બીલ-ભાડા કરારના આધારે ધંધાની જગ્યા બતાવીને કંપની-પેઢીનુ રજીસ્ટ્રેશન મેળવી લેતા હોવાનું ધ્યાને આવ્યુ છે.સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેકસ એન્ડ કસ્ટમ દ્વારા દેશભરના જીએસટી અધિકારીઓને પાઠવાયેલી લેખિત સૂચનામાં ગુજરાતના કૌભાંડીયાઓની મોડસ ઓપરેન્ડીના ઉદાહરણ પણ ટાંકવામાં આવ્યા છે. આધારકાર્ડ સેવા કેન્દ્રમાં જઈને ગરીબ-મજુરના આધારકાર્ડના ફોન નંબર બદલાવીને ડમી નંબર નાખી દેવામાં આવે છે.