59940 સ્કવેર કિલોમીટરનો વિસ્તાર પસંદ કરવામાં આવ્યો, પર્યાવરણ શાસ્ત્રી માધવ ગાડગિલની ભલામણનો 13 વર્ષ બાદ અમલ કરવા તૈયારી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વાયનાડ ભૂસ્ખલનમાં 300થી વધુ લોકોના મોત બાદ મોદી સરકારે મોટું પગલુ ભર્યું છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે પશ્ચિમી ઘાટના ઇકોલોજિકલી સેન્સેટિવ એરિયા (ESA) જાહેર કરવા માટે ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કર્યું છે જેમાં વાયનાડના બે ગામ પણ સામેલ થશે જ્યા ભૂસ્ખલનને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે કેરળના વાયનાડમાં રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.
ESA માટે 6 રાજ્યના 59940 સ્કવેર કિલોમીટર વિસ્તારને પસંદ કરવામાં આવ્યો છે. આ પશ્ચિમી ઘાટનો 37 ટકા ભાગ છે. આ રીતનો ડ્રાફ્ટ 2022માં પણ જાહેર કરવામાં આવ્યો હતો. જાણીતા પર્યાવરણશાસ્ત્રી માધવ ગાડગિલની પેનલે 2011માં જ તેની ભલામણ કરી હતી. 13 વર્ષ બાદ સરકારે તેમના રિપોર્ટ પર એક્શન લીધુ છે. જોકે, આ રિપોર્ટમાં 75 ટકા વિસ્તારને ઊજઅ અંતર્ગત લાવવાની ભલામણ કરવામાં આવી હતી જે હવે 37 ટકા જ રહી ગઇ છે. મંત્રાલયના એક સીનિયર અધિકારી અનુસાર, પ્રથમ ડ્રાફ્ટના એક્સપાયર થવાને કારણે નવું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.
મંત્રાલયે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. હવે કેરળ સહિત અન્ય રાજ્યો પાસેથી પ્રતિક્રિયા મળ્યા બાદ ફાઇનલ રિપોર્ટ તૈયાર કરાશે. જાણકારોનું કહેવું છે કે વાયનાડમાં આવેલી આફતને કારણે આ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે.આ ડ્રાફ્ટમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ અને તમિલનાડુના પશ્ચિમી ઘાટના વિસ્તારોને સામેલ કરવામાં આવ્યા છે. હવે રાજ્યો પાસે આ પ્રસ્તાવને મોકલવામાં આવ્યો છે, તેમની પાસે તેને સ્વીકારવાનો કે અસ્વીકાર કરવાનો વિકલ્પ છે. કેરળના પર્યાવરણ મંત્રી એકે શશિધરને કહ્યું કે તે આફત બાદની સ્થિતિની દેખરેખમાં વ્યસ્ત છે માટે આ ડ્રાફ્ટ નોટિફિકેશનને જોઇ શક્યા નથી, તેમને કહ્યું કે આ એક જટિલ મુદ્દો છે. પહેલા રાજ્યની સરકાર ડ્રાફ્ટ પર કેટલાક સવાલ ઉઠાવી ચુકી છે. કેન્દ્ર સરકારે કેટલીક વખત રાજ્યો સાથે આ મુદ્દાને લઇને કેટલીક બેઠક પણ કરી હતી. મહત્ત્વપૂર્ણ છે કે પશ્ચિમી ઘાટને જૈવ વિવિધતાના હિસાબથી ઘણુ મહત્ત્વનું માનવામાં આવે છે. આ વિસ્તારમાં ઘણા પ્રકારની વનસ્પતિ, માછલી, પક્ષી અને અન્ય જીવ જોવા મળે છે.