ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ભારતની આસ્થા અને સનાતન ધર્મનું કેન્દ્ર એવા અયોધ્યા ધામમાં જ્યારે 500 વર્ષની કાળરાત્રી બાદ 22 જાન્યુઆરીના રોજ સોનેરી સૂરજ ઉગી રહ્યો છે અને ભવ્યાતિ ભવ્ય રામમંદિરમાં આપણાં પ્રભુ શ્રીરામ બિરાજમાન થયા ત્યારે આ શુભ અવસરે દરેક સનાતની ભારતીય ગૌરવની અનુભૂતિ કરે એ સહજ છે. દેશ-વિદેશમાં શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં, ગરીબ હોય કે તવંગર દરેકના ધરોમાં એક ઉત્સવનો માહોલ છે અને અત્ર, તત્ર, સર્વત્ર ઉજવણી ચાલી રહી છે.
પ્રભુ શ્રીરામની નિજમંદિરમાં આગમન સમયે પ્રસ્થાન ગ્રુપ દ્વારા એક ભવ્ય બાઈક રેલીનું આયોજન કરેલ જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહીને ગિરનાર દરવાજા પાસે આવેલ અતિ પૌરાણિક એવા શ્રીરામ ઝરૂખા આશ્રમ પાસે પૂજાવિધિ કરી રેલી ની શરૂઆત કરી. જય શ્રી રામના ગગનભેદી નાદ તથા સનાતની ભગવા ધ્વજ લહેરાવતા પ્રસ્થાન ગ્રુપના રામ ભક્તોએ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ભ્રમણ કરી પ્રભુ શ્રી રામના આગમનને વધાવ્યું.
જૂનાગઢ પ્રસ્થાન ગ્રુપ દ્વારા શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી
