પ્રથમ દિવસે સહકારનો સપ્તરંગી ધ્વજઆરોહણ: બાદમાં ચારેય ઝોનમાં પ્રશિક્ષણ કાર્યક્રમો તથા સહકાર મિલન, જુદી-જુદી બેન્કોનો સંપર્ક, સ્નેહમિલન જેવા સમારોહ યોજાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સહકાર સપ્તાહ નિમિત્તે સહકાર ભારતી રાજકોટ મહાનગર દ્વારા સહકાર સપ્તરંગી ધ્વજઆરોહણ, 4માં ઝોનમાં ભવ્ય સહકાર સંમેલન, સ્નેહમિલન અને જુદી જુદી બેંકોનો સંપર્ક જેવા ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા. જેમાં રાજકોટની જુદી જુદી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી, કર્મચારી મંડળી, જુદી જુદી બેંકના ડિરેક્ટરોે, હાઉસિંગ સોસાયટી, સહકારી અગ્રણીઓ હાજર રહ્યા હતા.
તારીખ 14ના રોજ સહકાર ધ્વજારોહણ ડો. પ્રકાશભાઈ મોઢાના અધ્યક્ષસ્થાને માધવ શરાફી મંડળી સ્વામિનારાયણ મંદિર સામે કરવામાં આવેલ હતું. ઉત્તર ઝોન 71 વિસ્તાર કમલેશભાઈ બલભદ્ર કુટુંબ પ્રબોધન સંયોજક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આન ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી ખાતે જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્રે વિશ્ર્વનું શ્રેષ્ઠ સંગઠન છે. પૂર્વ ઝોન 68 વિસ્તાર સ્નેહ મિલનમાં પંકજભાઈ રાવલ, પૂર્વ પ્રચારક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અરિહંત શરાફી સહકારી મંડળી ખાતે જણાવ્યું હતું કે સહકાર ભારતી પણ સમાજજીવન સાથે સંકળાયેલી વિવિધ કો-ઓપરેટીવ સંસ્થાને આ જ સમર્પણ અને સેવાના ઉમદાભાવ થકી જોડવાનુ કાર્ય કરે છે. જેમાં ગ્રાહક અને સભાસદ બંનેના વિકાસની ભાવના નિહિત છે.
રાજકોટના પશ્ર્ચિમ ઝોન 69 વિસ્તારમાં સંમેલન યોજાઈ ગયું. નરેન્દ્રભાઈ દવેએ તેમના પ્રવચનમાં કહેલ કે કોઈપણ સંસ્થા કે સંગઠનની સફળતાનો આધાર તેના ત્રણ પાયા ઉપર રહેલો છે. સાધ્ય, સાધન અને સાધક એ ત્રણ પાયા છે. આપણું સાધ્ય છે રાષ્ટ્રને પરમ વૈભવના માર્ગે લઈ જવાનું. આપણું એક એક કાર્ય, એક એક ડગલું રાષ્ટ્રને સમૃદ્ધ કરનારૂં અને સેવાભાવથી પ્રેરિત હોવું જોઈએ. આપણા ધ્યેય પ્રાપ્ત કરવા સહકારી મંડળીઓ દ્વારા થતાં નફાને સહકારી મંડળીના દરેક સભ્યોને ડીવીડન્ડ તથા સભાસદો ભેટરૂપે સરખા ભાવે વહેંચી દઈએ છીએ. આપણે તો ફક્ત ટ્રસ્ટીઓ જ છીએ. મંડળી એ પંચ છે, સનાતન છે, કાયમી છે. આપણી જગ્યાએ કાલે બીજા કોઈ હોય શકે. બીજો પાયો છે સાધન, આપણે સાધનોના શુદ્ધિકરણમાં માનીએ છીએ. મંડળીઓ દ્વારા નાના ધીરાણદારોને સન્માનપૂર્વક અપાતી લોન, ઓછું વ્યાજ, સરળતાભર્યું ધિરાણ અને પરિવાર ભાવનાથી કરવામાં આવતો વસુલાત એ આપણા સાધન છે. બીજી બધી મંડળીઓ કરતાં ઓછા વ્યાજ દર, વધુ ડિવિડન્ડ અને સારી એવી સભાસદ ભેટ દ્વારા આપણે આપણે મંડળીની પ્રસિદ્ધિ વધુ કરી શકીએ. ત્રીજું મહત્વનો પાયો છે સાધક. સાધક એટલે કે આપણે કાર્યકર્તાઓ, ડિરેક્ટર મિત્રો અને મંડળીના કર્મચારીઓ. જો આ લોકો સંસ્કારી હશે તો જ આપણે મંડળી દ્વારા કરવામાં આવતા કાર્યને લોકસ્વીકૃતિ મળશે, પ્રતિષ્ઠા મળશે. સહકાર ભારતીયના સભ્ય તરીકે આપણા સૌનો એક જ દે છે ભારત માતાની ફરીથી સમૃદ્ધ બનાવી આપણા એ આરાધ્ય છે.
દક્ષિણ ઝોન 70 વિસ્તાર શિવ જ્યોત ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી ખાતે સંમેલનના મુખ્ય વક્તા સહકાર ભારતીના પૂર્વ પ્રાંત મહામંત્રી વિનોદભાઈ બરોચીયાએ જણાવ્યું કે સહકારથી સમૃદ્ધિ લાવી ચાલો ભારતને વિશ્ર્વ ગુરુ બનાવીએ. વિનોદભાઈ બરોચીયા ભારતીના દક્ષિણ ઝોન સંમેલનમાં પધારેલ મંડળીઓ અને વ્યક્તિગત સભ્યો આ વિસ્તારમાં રહેતા કાર્યકર્તાઓ અને તેમની નિષ્ઠાનું દર્શન કરાવે છે. આજે રાષ્ટ્રની જીડીપીના 23% સહકારી ક્ષેત્રનો હિસ્સો છે જે વધારીને આપણે 40% સુધી કરી શકીએ એવી શક્યતાઓ છે. કેન્દ્રમાં સહકાર મંત્રાલય સ્વતંત્ર થતાં આ અંગેના કાયદાકીય ફેરફારો થયા. દરેક મંડળીનો એકસરખો પેટા કાયદો હોય. દરેક મંડળી ઉચ્ચ ટેકનોલોજી વાપરતી હોય. એ.આઇ.ની મદદ લેતી હોય. વિવિધ ક્ષેત્રોમાં પોતાનું કામ શ્રેષ્ઠતા પૂર્વક કરતી હોય તો આ અપેક્ષા વધારે પડતી ન કહેવાય.