ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
રાજકોટમાં વીજળી ગૂલ થતા PGVCLના અધિકારીઓને ખખડાવતા મહાનગરપાલિકાના સેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર સામે મોરચો માંડ્યો છે. ગત ગુરૂવારે રાત્રે 2 વાગ્યે જયમીન ઠાકર પ્રદ્યુમનનગર (જામટાવર) સબ ડિવિઝન કચેરીએ પહોંચ્યા હતા અને ચાર દિવસથી લાઈટ જતી હોવાથી ફરિયાદ કરી હતી. આ સમયે PGVCLના અધિકારીઓને તમારા બાપુજીની પેઢી નથી તેમ કહ્યું હતું.
- Advertisement -
ગઇકાલે (2 જૂન 2025) આ મામલે જીબીઆના PGVCLના જનરલ સેક્રેટરીની આગેવાનીમાં રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી અને PGVCLના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશીને લેખિત રજૂઆત કરી હતી અને જયમીન ઠાકરે અપમાનજનક અને બિન સંસદીય શબ્દોમાં તોછડાઈ ભર્યું વર્તન કર્યું હોવાની ફરિયાદ કરી હતી. જેથી આ વ્યક્તિ સામે ઉચ્ચ કક્ષાએ અને સરકારમાં રજૂઆત કરવા માગ કરી હતી.
ગુજરાત ઇલેક્ટ્રીક બોર્ડ એન્જિનિયર્સ એસોસિએશન (જીબીઆ) PGVCLના જનરલ સેક્રેટરી એમ.એમ. કડછાએ જિલ્લા કલેક્ટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, પ્રદ્યુમનનગર (જામટાવર) સબ ડિવિઝન હેઠળ આવતા વોર્ડ નં. 2નો વિસ્તાર આવે છે. જે વિસ્તારમાં 11 કેવી ભોમેશ્વર ફીડર અને 11 કેવી ઇન્કમટેક્ષ ફીડર હેઠળ આવે છે. 11 કેવી ભોમેશ્વર ફીડરમાં મારૂતીનગર, રેસકોર્સ પાર્ક, ગીતગુર્જરી, પેટ્રીયા હોટેલ આસપાસનો વિસ્તાર, જસાણી પાર્ક, સિંચાઈ નગર, ગોકાળીયાપરા વિગેરે આવે છે. તેમજ 11 કેવી ઈન્કમટેક્ષ ફીડરમાં રામેશ્વર ચોક આસપાસનો વિસ્તાર, આદર્શ સોસાયટી, રેસકોર્સ રિંગ રોડમાં મેયર બંગલાથી, કનકાઈ હોટેલ, જિલ્લા પંચાયત ચોક વિગેરે વિસ્તાર આવે છે.
આ બનાવ અંગે જણાવવાનું કે તા. 27 મેના રોજ મોડી રાત્રે 3.20થી 4.40 સુધી 11 કેવી ઇન્કમટેક્ષ ફીડરમાં અન્ડર ગ્રાઉન્ડ કેબલમાં નેચરલ ફોલ્ટ થવાથી પાવર બંધ થયો હતો, પરંતુ રેસકોર્સ પાસે આવેલી યુનિયન બેંકની બાજુમાં કેબલ ફોલ્ટવાળા ભાગને શોધી, તાત્કાલિક અસરથી ફોલ્ટ રીપેર થઈ શકે તેમ ન હોય અને ગ્રાહકોને ઈમરજન્સી વીજ પુરવઠો મળી રહે તે બાબતને ધ્યાનમાં રાખી, આ ફોલ્ટ વાળા અન્ડર ગ્રાઉન્ડ કેબલના ભાગને તાત્કાલિક તેના બંને બાજુથી કેબલ છોડાવી, અન્ય ફીડરમાં જોડીને પાવર ચાલુ કરવામાં આવ્યો હતો તેમજ તા. 28 મેના ફરીથી 11 કેવી ઇન્કમટેક્ષ ફીડરમાં મેઈન લાઈનમાં અન્ડર ગ્રાઉન્ડ કેબલ જે 66 કેવી લક્ષ્મીનગર સબ સ્ટેશનથી મહાકાલેશ્વર મંદિર સુધીના 2.5 કિમી ભાગમાં નેચરલ ફોલ્ટ થયો હતો અને રાત્રે 10.25થી 11.40 સુધી પાવર બંધ થઈ ગયો હતો.
- Advertisement -
જેથી આ કેબલ ફોલ્ટ વાળા ભાગને બંને બાજુથી કેબલ છોડાવી ફીડરનો ભાગ 11 કેવી ભોમેશ્વર ફીડર અને 11 કેવી જંકશન ફીડરમાં એમ અલગ અલગ બે ફીડરમાં જોડીને ઈમરજન્સી પાવર ચાલુ કરવામાં આવ્યો હતો. વિશેષ તા. 29 મેના રોજ 11 કેવી ભોમેશ્વર ફીડરમાં જમ્પર ફોલ્ટ થતા અને રાત્રે 12.30થી 1 વાગ્યા સુધી પાવર બંધ રહ્યો હતો અને ફોલ્ટને રીપેર કરીને 11 કેવી ભોમેશ્વર ફીડર ચાલુ કરવામાં આવ્યું હતું. પીજીવીસીએલમાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા રાત-દિવસ સખત મહેનત કરી પાવર સપ્લાય સતત મળી રહે તે રીતે કામગીરી કરવામાં આવે છે. પરંતુ કોઈ કારણોસર ફોલ્ટ થાય તેને રીપેર કરવા માટે આ પાવર નરી આંખે જોઈ શકાતો ન હોય પ્રથમ ફોલ્ટને શોધી વીજ અકસ્માતની સલામતી ધ્યાને રાખી પાવર બંધ કરી જરૂરી અર્થિગ, શોર્ટ, ડીસ્ચાર્જ વગેરે કરી અને વેરીફાય કર્યા પછી અને રીપેર કરવામાં આવે છે. આમ તા. 29 મેના રોજ 11 કેવી ભોમેશ્વર ફીડરમાં મોડી રાત્રે 12.30થી 1 વાગ્યા સુધીમાં ફોલ્ટ થયો હોય તે દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર પ્રદ્યુમનનગર (જામટાવર) સબ ડિવિઝન ખાતે રાત્રે અંદાજીત 1 વાગ્યે, પૂર્વ તૈયારી સાથે અન્ય માણસો તથા પ્રેસ-મીડિયા સાથે આવ્યા હતા અને અધિકારીઓને ફોન કરી ઓફિસ ખાતે ફરજીયાત આવવા દબાણ પૂર્વક જણાવ્યું હતું. આથી પ્રદ્યુમનનગર સબ ડિવિઝનના નાયબ ઈજનેર જે.યુ ભટ્ટ, એચટી-2 સબ ડિવિઝનના નાયબ ઈજનેર આર. જે. પ્રજાપતિ, જુનિયર ઈજનેર એચ.બી. સાજકા, રાજકોટ શહેર વિભાગીય કચેરી 2ના કાર્યપાલક ઈજનેર જી. કે. સરવૈયા તેમજ પીજીવીસીએલ રાજકોટ શહેર વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર બી.સી. રાઠોડ તાત્કાલિક પ્રદ્યુમનનગર સબ ડિવિઝન ખાતે દોડી ગયા હતા. તેમજ આ તમામ અધિકારીઓ સામે ખુબ જ અપમાનજનક અને બિન સંસદીય શબ્દોમાં તોછડાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું જે સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે અને તેમના દ્વારા પાવર સપ્લાય બંધ ન થાય તે અંગેનું દબાણ પૂર્વક લખાણ કરવા ફરજ પાડ્યું છે.
આમ જયમીન ઠાકરના આ ગેરવર્તણૂકથી પીજીવીસીએલ રાજકોટ શહેર વર્તુળ કચેરીના તમામ અધિકારી તથા કર્મચારીઓની ગરિમા ખરડાઈ હોય તેવી લાગણી અનુભવે છે. ઉપરાંત આ વીડિયોના વાઇરલ થવાથી સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારોમાં રાષ્ટ્રીય કક્ષાએ નામાંકિત પીજીવીસીએલ કંપની તેમજ સરકારની પણ છબી ખરડાઈ છે.
શું હતો વિવાદ ?
રાજકોટમાં પીજીવીસીએલ તંત્રનો કડવો અનુભવ ખુદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને ભાજપના વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર જયમીન ઠાકરને ગુરુવારે થયો હતો. આ વિસ્તારમાં ચાર દિવસથી રાત્રિના સમયે લાઇટ ગૂલ થતી હોવાથી તેમને સ્થાનિકોને સાથે રાખીને ગુરુવારે રાત્રે 1 વાગ્યે ઙૠટઈકની પ્રદ્યુમનનગર (જામટાવર) કચેરીએ જનતા રેડ પાડી હતી. આ દરમિયાન અધિકારીઓનો ઉધડો લીધો હતો અને તેમના ઉદ્ધતાઈભર્યા વર્તન સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો તો હવે રાત્રિના લાઈટ ન જવી જોઈએ તેવી લેખિતમાં બાયેંધરી પણ લીધી હતી.