ઍરપોર્ટથી સોમનાથ મંદિર સુધી નિ:શુલ્ક બસ સુવિધા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જૂનાગઢના કેશોદમાં નવાબના સમયથી ઍરપોર્ટ બનાવેલું છે. નોંધનીય છે કે, વર્ષો સુધી આ ઍરપોર્ટ પર ફ્લાઇટની અવર-જવર બંધ હતી. પરંતુ, છેલ્લાં અઢી વર્ષથી આ ઍરપોર્ટ ફરી શરુ કરવામાં આવ્યું છે. ત્યારે હવે જૂનાગઢવાસીઓ માટે આ ઍરપોર્ટને લઈને વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. પહેલા અહીં ફક્ત કેશોદથી મુંબઈની ફ્લાઇટ મળતી હતી, પરંતુ કેન્દ્ર સરકારની ઉડાની યોજના હેઠળ કેશોદ ઍરપોર્ટ પરથી 29 ઑક્ટોબરથી સપ્તાહમાં ત્રણ દિવસની ફ્લાઇટ સેવા શરુ થઈ છે. આજથી મુસાફરો અમદાવાદ-કેશોદ-દીવની ફ્લાઇટનો પણ લાભ લઈ શકાશે. આ નિર્ણયથી ખાસ કરીને સોમનાથ મહાદેવ જતા શ્રદ્ધાળુઓ ખુશખુશાલ છે.
અમદાવાદ-કેશોદ-દીવ વચ્ચે શરુ થતી આ ફ્લાઇટ અઠવાડિયાના મંગળવાર, ગુરુવાર અને શનિવારે કાર્યરત રહેશે. અમદાવાદથી આ ફ્લાઇટ સવારે 10:10 મિનિટે ઉપડશે જે સવારે 10:55 કલાકે કેશોદ પહોંચાડશે. ત્યારબાદ આ ફ્લાઇટ કેશોદથી દીવ માટે રવાના થશે. બાદમાં તે બપોરે 3:55 કલાકે દીવથી ઉપડી ફરી કેશોદ આવશે. ત્યાંથી બપોરે 4:20 મિનિટે ઉડાન ભરશે અને 5:10 વાગ્યે અમદાવાદ પહોંચશે.
- Advertisement -
જૂનાગઢ-ગિરનાર તેમજ આસપાસમાં આવેલાં સોમનાથ, માધવપુરા જેવા ધાર્મિક સ્થળો તેમજ ગીર અભયારણ્યમાં સિંહ દર્શન, ચોરવાડ હોલિડે કેમ્પ, દીવ સહિતના પર્યટન સ્થળોને પ્રોત્સાહન આપવા અને વેપાર-ધંધા તેમજ રોજગારી વધે તેને ધ્યાને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય-રાજ્ય બહાર કે વિદેશ જતાં મુસાફરોની સરળતા માટે અઠવાડિયામાં ત્રણવાર એરલાઇન્સ એર એટીઆર 72 વિમાન અમદાવાદ-કેશોદ-દીવની ઉડાન ભરશે. આ ઉપરાંત સોમનાથ ટ્રસ્ટ તરફથી નિ:શુલ્ક પીકઅપ બસ સેવા પણ શરુ કરવામાં આી છે. કેશોદ વિમાનમથક પર ઉતરતાં યાત્રિકો અને શ્રદ્ધાળુઓને ઉત્કૃષ્ટ આતિથ્ય અનુભવ આપવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક એસી પીક-અપ બસ સેવા શરુ કરવામાં આવી છે. આ સેવાથી મુંબઈ-કેશોદ ફ્લાઇટ અને નવી શરુ કરવામાં આવેલી અમદાવાદ-કેશોદ ફ્લાઇટમાં આવનાર યાત્રાળુઓને આરામદાયક અને સુગમ મુસાફરીનો અનુભવ આપશે.
નોંધનીય છે કે, કેશોદ-મુંબઈ વચ્ચે જે ફ્લાઇટ શરુ હતી, તેની ફ્રિક્વન્સીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પહેલાં કેશોદથી મુંબઈ જવા અઠવાડિયામાં ત્રણ દિવસ ફ્લાઇટ મળતી હતી, જે હવે ચાર દિવસ મળશે.
કેશોદથી મુંબઈ જતી ફ્લાઇટ હવે રવિવાર, સોમવાર, બુધવાર અને શુક્રવારે મળશે. કેશોદ ઍરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, મુંબઈ જતાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, 72 મુસાફરોની કેપેસિટી સાથે આ ફ્લાઇટ શરુ કરવામાં આવી છે.



