પરિક્રમામાં 10 લાખ જેટલા પરિક્રમાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં યાત્રા પૂરી કરી
પરિક્રમામાં ભવેભવનું ભાથું બાંધીને ભાવિકો વતન તરફ રવાના
- Advertisement -
વહીવટી તંત્ર, મનપા, વન વિભાગ અને પોલીસ તંત્ર સતત ખડેપગે રહ્યાં
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
ગિરનાર લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસના એક દિવસ વેહલી શરુ થઇ હતી ત્યારે આજે રાત સુધીમાં વિધિવત રીતે પરિક્રમા પૂર્ણ થશે સૂર્યાસ્ત પછી ગિરનાર અભિયારણના તમામ ગેટ બંધ કરી દેવામાં આવશે જયારે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ભાવિકોનો ઘટાડો જોવા મળ્યો છે ગત વર્ષે 14 લાખ જેટલા ભાવિકો પરિક્રમા જોડાયા હતા જયારે આ વર્ષે અંદાજિત 10 લાખ ભાવિકો પરિક્રમામાં પધાર્યા હતા પરિક્રમામાં પધારેલા ભાવિકો ગિરનાર જંગલના સૌંદર્ય સાથે ભજન, ભોજન અને ભક્તિના માહોલ વચ્ચે શાંતિપૂર્ણ રીતે પરિક્રમા પૂર્ણ કરીને ભાવિકો વતન તરફ રવાના થયા પરિક્રમાના અંતિમ પડાવ બોરદેવી પણ આજે સાંજ સુધીમાં ખાલી થઇ જશે લાખોની સંખ્યમાં ઉમટી પડેલ ભાવિકોની સુખાકારી માટે વહીવટી તંત્ર, મનપા, વન વિભાગ અને પોલીસ વિભાગ સહીત તમામ સામાજિક સંસ્થાઓ અને અન્નક્ષેત્ર દ્વારા અવિરત ખડેપગે રહીને ભાવિકોની સેવા કરીને પૂર્ણયનું ભાથું બાંધ્યું.
સૌરાષ્ટ્ર- સોરઠના સંતોએ શરૂ કરેલી ભજન અને ભોજનની પરંપરા આજે આધુનિક સમયમાં પણ વિસરાય નથી.ગિરનાર લીલી પરિક્રમા હોય કે પ્રસિદ્ધ મહાશિવરાત્રીનો મેળો અહીં અન્નક્ષેત્રો -સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભાવિકોને મીઠા આવકાર અને ભાવપૂર્વક ભોજન કરાવવામાં આવ્યું હતું ગિરનાર લીલી પરિક્રમાના 36 કિલોમીટરના રૂટ ઉપર જુદા જુદા પડાવ ખાતે યાત્રિકોને ભોજન મળી રહે તે માટે જૂનાગઢ વન વિભાગ દ્વારા 75 જેટલા અન્નક્ષત્રોને મંજૂરી આપવામાં આવી હતી પ્રકૃતિ અને કુદરતના ખોળે પુણ્યનું ભાથું બાંધવા આવતા ભાવિકોના હૈયે અનેરો આનંદ અને ભક્તિ ભાવ રહેલો હોય છે.
આ સંદર્ભે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના વડા પ્રોફેસર- ડો વિશાલ જોશી કહે છે કે, સૌરાષ્ટ્ર સોરઠ ભૂમિના સંતો મહંતોએ ભજન સાથે ભોજનની શરૂ કરેલી પરંપરા આજે પણ અવિરત ચાલી રહી છે. જે ગિરનાર લીલી પરિક્રમા અને મહાશિવરાત્રીના મેળામાં બખૂબી જોવા મળે છે. આ ભૂમિના પરબના દેવીદાસ બાપુ અને અમર માં, સતાધારના આપાગીગા, વીરપુરના જલારામ બાપા, મેકરણ દાદા, અમૃતગીરી બાપુ, ત્રિલોકનાથ બાપુ, કશ્મીરી બાપુ વગેરે સંતોએ ભજન સાથે ભોજનની પરંપરાને ઉજળી કરી છે.
- Advertisement -
ગિરનાર લીલી પરિક્રમા અને મહાશિવરાત્રીના મેળામાં જ્ઞાતિ- જાતિના ભેદભાવ વગર ચાલતા અને સમરસતાના શ્રેષ્ઠત્તમ પ્રતીક એવા અન્નક્ષેત્રો સૌરાષ્ટ્રની આગવી સંસ્કૃતિની પણ ઝાંખી કરાવે છે. તેમ પણ ડો. જોષીએ ઉમેર્યું હતું.ગિરનાર પણ દત્ત ભગવાનની ઉપાસનાનું કેન્દ્ર છે, ગિરનાર પર કમંડળ કુંડ ખાતે ભારતના પ્રાચીનતમ અને સૌથી વધુ ઊંચાઈ પર આવેલા અન્નક્ષેત્ર તરીકે ગણના થાય છે. ઉપરાંત અખાડાઓમાં પણ ભજન સાથે ભોજનની પરંપરા રહી છે. તેનો પણ ડો. જોશીએ ઉલ્લેખ કર્યો હતો.પૌરણિક માન્યતાઓ અનુસાર ભગવાન શ્રીકૃષ્ણએ શરૂ કરેલી ગિરનાર લીલી પરિક્રમા અને ભક્ત નરસિંહ મહેતાએ પોષેલી પરંપરા આજે પણ અવિરત ચાલુ છે. એક સમયે લીલી પરિક્રમા સાધુ સંતો અને તેમના ભક્તો-સેવકો પૂરતી મર્યાદિત હતી. જેમાં આજે લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે.સૌરાષ્ટ્ર- સોરઠની ભૂમિનો કવિઓએ પણ એટલે જ મહિમાગાન કરતા કહ્યું છે કે, સોરઠ દેશ ન સંચર્યો, ન ચડ્યો ગઢ ગિરનાર; ન નાહ્યો દામો-રેવતી, તેનો અફળ ગયો અવતાર.
14672 યાત્રિકોને આરોગ્ય સારવાર આપી
ગિરનાર લીલી પરિક્રમાના 36 કિલોમીટર લાંબા રૂટ પર તંત્ર દ્વારા 10 જેટલા હંગામી દવાખાનાઓ યાત્રિકોની સારવાર માટે શરૂ કરવામાં આવ્યા છે. યાત્રિકોના આરોગ્યની દરકાર માટે 16 જેટલી મેડિકલ ટીમ સાથે સેવારત છે.ગિરનાર લીલી પરિક્રમામાં તા.11,12 અને 13 નવેમ્બર સુધીમાં 14672 યાત્રિકોને તાવ, શરદી-ઉધરસ, શરીરના દુ:ખાવા વગેરે દર્દોમાં જરૂરી આરોગ્ય સારવાર આપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે ગિરનાર લીલી પરિક્રમાના રૂટ પર જીણાબાવાની મઢી, સરકડિયાના ઘોડી વિસ્તાર, માળવેલા વિસ્તાર, માળવેલાની ઘોડી ઉપરના પોઇન્ટ, શ્રવણની કાવડના નળપાણી વિસ્તાર, નળપાણીની ઘોડી ઉપરના પોઇન્ટ, બોરદેવી વિસ્તાર, બળદેવી મંદિર, ભવનાથ અને ગિરનાર અંબાજીની ટૂંક પર હંગામી દવાખાના કાર્યરત છે. ઉપરાંત ભવનાથના નાકોડા ખાતે તાત્કાલિક સારવાર ઉપલબ્ધ છે.આકસ્મિક સંજોગોમાં દર્દીને નજીકના દવાખાના પહોંચાડવા 12 જેટલી એમ્બ્યુલન્સ પણ પરિક્રમા રૂટ પર ડેપ્યુટેડ રહી.