ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
જૂનાગઢનાં ગણેશનગર વિસ્તારની ગેસ લીકેજ ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા મહિલાનું પણ સારવાર દરમિયાન મોત થતાં મૃત્યુ આંક વધીને 3 થયો છે. શહેરના ગિરનાર દરવાજા પાસે આવેલ ગણેશનગરમાં રહેતા કાનજીભાઈ માવજીભાઈ કટારીયાના મકાનના રસોડામાં તા. 3 સપ્ટેમ્બર ની રાત્રે 11 વાગ્યે ગેસ લીકેજ થતા બ્લાસ્ટ થવાથી પરિવારના 55 વર્ષીય મોભી કાનજીભાઈ તથા તેમના 35 વર્ષીય પુત્ર વિજયભાઈ, 32 વર્ષીય પુત્રવધુ મનિષાબેન તથા 7 વર્ષીય પૌત્ર દત દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાના બીજા દિવસે તા. 4 સપ્ટેમ્બરના રોજ માસુમ દતનું મૃત્યુ નિપજ્યું હતું. જેની ચિતા હજુ ઠરી ન હતી ત્યાં બાળકના પિતા વિજયભાઈએ પણ તા. 7 સપ્ટેમ્બરના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ હતા. જ્યારે મૃતક વિજયભાઈના પત્ની મનિષાબેન રાજકોટ ખાતે સારવાર હેઠળ હતા. તેમનું પણ પતિની પાછળ તા. 9 સપ્ટેમ્બરના રોજ સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતુ. આમ ત્રણેય વ્યકિતના 6 દિવસમાં મૃત્યુ થતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું. પરિવારના મોભી કાનજીભાઈ કટારીયાની તબિયત સુધારા પર છે.