બ્રહ્મ મુહૂર્ત માં ધ્યાન કરવાની અનેરી મજા હોય છે. સૂર્યોદયને વાર હોય છે. ચોમેર અંધકાર વ્યાપ્ત હોય છે. આઠ અબજ ની વસ્તીમાં આપણા માટે માત્ર આપણું એકલાનું જ અસ્તિત્વ હોય છે. રાત ખૂલે છે, જાત ખુલે છે અને વાત ખુલે છે. મારા મનમાં એકાંતમાં મેડીટેશન કરતી વખતે બે ત્રણ પ્રશ્નો અચૂક સ્ફુરે છે. હું કોણ છું? મારા જીવનનો અંતિમ ધ્યેય શું છે? પરમ સત્ય પ્રાપ્ત કેવી રીતે કરવું? આ ત્રણેય સવાલોનો જવાબ એક જ છે. જ્ઞાન પ્રાપ્ત કરવું. સાચુ જ્ઞાન આપણને બતાવશે કે આપણે કોણ છીએ. સાચું જ્ઞાન પ્રાપ્ત થવાથી આપણને એ ખબર પડશે, કે આપણા જીવનનું અંતિમ ધ્યેય શું છે? અને આપણને એ જવાબ પણ મળશે કે આત્માની મુક્તિ કેવી રીતે સાધવી. પૂજ્ય રમણ મહર્ષિ આ છેલ્લા સવાલનો જવાબ ખૂબ સરસ રીતે સમજાવી ગયા છે. આત્માની મુક્તિ સાધવાનો કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી, કારણ કે આપણો આત્મા મુક્ત જ છે.
એક માણસ ઊંઘતો હતો. એને સ્વપ્ન આવ્યું. સપનામા તે વિશ્વના વિવિધ દેશોના પ્રવાસે નીકળી પડ્યો. વિમાનોમાં, જહાજોમાં, બસોમાં ટ્રેનોમાં ,નદી – નાળા પહાડો, દરિયાઓ ઓળંગતો ઓળંગતો છ મહિનાને અંતે પોતાના ઘરે પાછો ફર્યો. એને થયું, હાશ! આખરે મને મારું ઘર મળી ગયું. અચાનક જ તેની આંખ ખુલી તો તેને સમજાયું કે એ પોતે તો એના ઘરમાં જ હતો. સપનામાં આટલું બધું થાકી જવાની જરૂર ન હતી. આવું જ મનુષ્યની પોતાના આત્માની મુક્તિની ખોજ માટેનું હોય છે. આખી જિંદગી તપ- સાધના યાત્રા -પૂજા , પ્રાર્થના, બાહ્યાચાર , વિધિ- વિધાન આ બધું કર્યા પછી મનુષ્યને સમજાય છે, કે મારો આત્મા તો મુક્ત જ હતો .એ તો ક્યારેય બંધનમાં હતો જ નહીં. ફોગટમાં આખી જિંદગી વેડફી નાખી. જાગ્યા ત્યારથી સવાર. આજથી જ આપણે સ્વીકારી લઈએ કે આપણો આત્મા મુક્ત જ છે, હું પોતે શરીર નથી પણ આત્મા છું અને આત્મા એ જ પરમ સત્ય છે.