ચેમ્બર પ્રમુખ વી.પી. વૈષ્ણવ પર મનપા મહેરબાન: વૈષ્ણવે ગેરકાયદે બાંધકામ દૂર કરવા 30 દિવસ માગ્યા, તો મનપાએ સીલ ખોલી પાંચ માસ આપ્યા!
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શહેરના ડો.યાજ્ઞિક રોડ પર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવના ગેરકાયદે બાંધકામને તોડી પાડવા રાજકોટ મહાનગરપાલિકાએ કલમ 260(1) મુજબની અને ત્યારબાદ 260(2) મુજબની નોટિસ આપ્યાના સવા વર્ષ બાદ પણ હજુ સુધી આ ગેરકાયદે બાંધકામ દૂર કર્યું નથી અને આટલું ઓછું હોય તેમ ચેમ્બર પ્રમુખે એક માસમાં પોતે ગેરકાયદે બાંધકામ તોડી પાડશે તેવું સોગંદનામું કર્યા બાદ પાંચ માસથી તેનું ગેરકાયદે બાંધકામના સીલ ખોલી આપ્યા છે અને હજુ સુધી મહાનગરપાલિકાના ટીપી શાખાના એકપણ અધિકારી ગેરકાયદે બાંધકામ દૂર થયું કે નહીં તે જોવા ડોકાયા નહીં હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકાએ ડો.યાજ્ઞિક રોડ પર આવેલા વી.પી.વૈષ્ણવના ગેરકાયદે બાંધકામ તોડી પાડવા માટે તા.08-02-2023ના રોજ 260(1) મુજબ અને ત્યારબાદ તા.01-09-2023ના રોજ 260(2) મુજબ નોટિસ આપી હતી. આ નોટિસ મુજબ વી.પી.વૈષ્ણવની માલિકીની જગ્યામાં પૂર્વ મંજૂરી મેળવ્યા વગર હયાત બાંધકામમાં આંતરિક ફેરફાર કરી નવા પાયાનું બાંધકામ કરાયાનું અને તે તોડી પાડવાનો હુકમ ટાઉન પ્લાનિંગ ઓફિસરે કર્યો હતો.
સામાન્ય નાગરિકના બાંધકામ તોડી પાડવામાં જેટ ગતિએ કામ કરતી મનપાની ટાઉન પ્લાનિંગ શાખાએ નોટિસના સવા વર્ષ બાદ પણ હજુ સુધી વી.પી.વૈષ્ણવના ગેરકાયદે બાંધકામની એક કાંકરી પણ ખેરવી નથી. તેમજ વી.પી.વૈષ્ણવે ગત તા.5-8-2024ના રોજ પોતાનું અનધિકૃત બાંધકામ દૂર કરી નિયમબદ્ધ કરવા અને ફાયર સાધનો ઇન્સ્ટોલ કરવા માટે એક મહિનાની મુદત માગતું સોગંદનામું કરતાં જ મનપાના અધિકારીઓએ તેની મિલકતના સીલ ખોલી આપ્યા હતા. જેને આજે પાંચ માસ જેટલો સમય વીતવા છતાં ટાઉન પ્લાનિંગ શાખાનો એકપણ અધિકારી તેમના ગેરકાયદે બાંધકામ બાજુ ફરક્યો નથી અને બીજીબાજુ વી.પી.વૈષ્ણવ દ્વારા ખુલ્લેઆમ તેના ગેરકાયદે બાંધકામમાં ફર્નિચર સહિતના બાંધકામો બિનધાસ્ત રીતે મનપાના આશીર્વાદથી કરવામાં આવી રહ્યા છે ત્યારે સવાલ એ થાય છે કે, સિદ્ધાંતની વાત કરતામનપાના કમિશનર તુષાર સુમેરા અને ટાઉન પ્લાનિંગ ઓફિસર સુમરા વી.પી.વૈષ્ણવના ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં કોની લાજ કાઢી રહ્યા છે?
- Advertisement -
ટીપી શાખાના ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદથી યાજ્ઞિક રોડ પર જોરશોરથી ચાલી રહેલી વૈષ્ણવના શૉ-રૂમની કામગીરી: ગેરકાયદે બાંધકામને દૂર કરવા નોટિસ આપ્યાના સવા વર્ષ બાદ પણ બાંધકામ યથાવત