મહાનુભાવોએ ફાર્મમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉગેલા સ્વાદિષ્ટ ફળ કમલમ અને જામફળની મજા માણી
ખાસ-ખબર સંવાદદાતા
પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ અને ત્રણ રાજ્યોના રાજ્યપાલ; હરિયાણાના રાજ્યપાલ બાંડારુ દત્તાત્રેયજી, પંજાબના ગવર્નર અને ચંડીગઢના પ્રશાસક બનવારીલાલ પુરોહિતજી, તથા હિમાચલ પ્રદેશના ગવર્નર શિવ પ્રતાપ શુક્લા અને હરિયાણાના કૃષિ મંત્રી જે. પી. દલાલજીએ આજે સાંજે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વતન હરિયાણાના કુરુક્ષેત્રમાં આવેલા પ્રાકૃતિક કૃષિ ફાર્મ અને ગુરુકુળ કુરુક્ષેત્રની મુલાકાત લીધી હતી.
- Advertisement -
પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામ નાથ કોવિંદે પ્રાકૃતિક કૃષિ ફાર્મ અને ગુરુકુલની મુલાકાત બદલ પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે હું ઈચ્છું છું કે, આખો દેશ ધીમે ધીમે પ્રાકૃતિક કૃષિ તરફ વળે. પહેલાં આપણે યુરીયા અને પેસ્ટીસાઈડ્સનો બેફામ ઉપયોગ કર્યો. એ પછી આપણે જૈવિક ખેતી તરફ વળ્યા તેમાં પણ આપણને સફળતા નથી મળી. ભારતની ખેતીની જે મૂળભૂત પ્રાચીન પરંપરા છે તે પ્રાકૃતિક ખેતી છે. પ્રાકૃતિક ખેતીને આપણે શક્ય તેટલી ઝડપથી સ્વીકારીશું તો સમગ્ર દેશને લાભ થશે.
મહાનુભાવોએ પ્રાકૃતિક કૃષિ ફાર્મમાં દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી તૈયાર થતા જીવામૃતનો પ્લાન્ટ જોયો હતો અને ફાર્મમાં બેસીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉગેલા ફળ કમલમ અને જામફળનો સ્વાદ માણ્યો હતો.