ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. હવે તેઓ કઈ પાર્ટીમાં જોડાશે તે અંગે ચર્ચાઓ તેજ બની છે.
ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો છે. જયનારાયણ વ્યાસે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ લાંબા સમયથી ભાજપથી નારાજ હતા. હવે જયનારાયણ વ્યાસ કઈ પાર્ટીમાં જોડાશે તે અંગે ચર્ચાઓ તેજ બની છે.
- Advertisement -
પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે ઠાલવી વેદના
તેમણે પાટણ જિલ્લા ભાજપથી કંટાળીને રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. જયનારાયણ વ્યાસે જણાવ્યું કે, પાટણ જિલ્લા ભાજપ પર ચાર પાંચ લોકો કબજો જમાવીને બેઠા છે. જે પાર્ટીને આગળ વધારવાનું નહી પણ ટાંટીયા ખેંચનુ કામ કરે છે. કોંગ્રેસમાંથી આવેલા નેતાઓએ પાર્ટીનું વાતાવરણ બગાડ્યું છે. મારી સતત અવગણના થતી હતી. હું સતત ફરિયાદી બનીને પાર્ટીમાં રહેવા માંગતો નથી.
હું ચૂંટણી જરૂર લડીશઃ જયનારાયણ વ્યાસ
તેમણે ચૂંટણી લડવાનો હુંકાર કરતા જણાવ્યું કે, હું ચૂંટણી લડીશ. સિદ્ધપુરના ગરીબ લોકો માટે કામ કરવા રાજકારણમાં આવ્યો છું. મારા માટે કોંગ્રેસ અને આપ બન્નેમાં દ્વાર ખુલ્લા છે. મારી પાસે કોંગ્રસ અને આમ આદમી પાર્ટી બંને ઓપ્શન છે.
અશોક ગેહલોત સાથે કરી હતી મુલાકાત
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ જયનારાયણ વ્યાસે અમદાવાદના સર્કિટ હાઉસમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાતના ચૂંટણી પ્રભારી અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. આ બન્ને રાજકારણીઓ વચ્ચે 45 મિનિટ જેટલી ચર્ચા થઇ હતી. ત્યારે જ તેઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં જતા રહેશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું.
- Advertisement -
મુલાકાત અંગે કરી હતી સ્પષ્ટતા
જોકે, બાદમાં તેઓ આ મુલાકાત અંગે સ્પષ્ટતા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, નર્મદાને લઇને તેઓ જે પુસ્તક લખી રહ્યા છે તે માટે પરામર્શ અર્થે તેઓ ગેહલોતને મળ્યા હતા. ચાર મહિના પહેલા જયનારાયણ વ્યાસે સિદ્ધપુરના સ્વામિનારાયણ મંદિરમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું અને સિદ્ધપુરનો વિકાસ રૂંધાયો હોવાનો આક્ષેપ કર્યો હતો.