લોકસભા ચૂંટણી મુલાકતના સ્મરણો યાદ કરતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
જૂનાગઢ પૂર્વ ધારાસભ્ય અને વયો વૃદ્ધ કિસાન અગ્રણી રત્નાભાઇ મનજીભાઈ ઠુંમરના અવસાન બદલ પૂર્વ કૃષિ અને શિક્ષણ મંત્રી તથા ભાજપ ગુજરાત પ્રદેશના પ્રદેશ અગ્રણી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઊંડા શોક અને દુ:ખની લાગણી વ્યક્ત કરી છે. તેઓએ તેમના પરિવારને પાઠવેલ શોકસંદેશમાં જણાવ્યું છે કે શ્રી રત્નાભાઇ એક સમર્પિત ધારાસભ્ય તરીકે આજીવન પ્રજાને સમર્પિત રહીને લોકકલ્યાણના કાર્યોમાં પ્રવૃત્ત રહ્યા હતા. કોરોના જેવા કપરા કાળમાં પણ તેઓએ જન સેવાને કેન્દ્રમાં રાખીને પોતાનું યથોચિત પ્રદાન નોંધાવ્યું હતું તથા ધારાસભ્ય તરીકે તેઓ હંમેશ પોતાના કર્તવ્યને વળગી રહીને પ્રજાપરાયણ રહ્યા હતા.
ચુડાસમાએ જણાવ્યું હતું કે હમણાં જ થોડા દિવસો પહેલા લોકસભાની ચૂંટણીઓ દરમિયાન હું તેઓને તેમના નિવાસસ્થાને મળવા ગયો ત્યારે સ્વાભાવિક રીતે જ મેં તેમના સ્વાસ્થ્ય સંબંધી પૃચ્છા કરતા તેઓએ ખૂબ જ ઉમળકાભેર અને નિખાલસતા પૂર્વક જણાવ્યું હતું કે બાપુ, શરીરનું ગમે તે હોય પરંતુ હું ભાજપને મત આપ્યા પહેલા જવાનો નથી અને જુઓ યોગાનુયોગ પણ કેવો તેઓનો સંકલ્પ પણ પરમાત્માએ જાણે કે સિદ્ધ કર્યો.