ગિરનાર શક્તિ પીઠ અંબાજી મંદિરના ગાદીપતિનો વિવાદ વધુ વકર્યો
અંબાજી મંદિરના ગાદીપતિ તરીકે પ્રેમગિરિજી મહારાજનું નામ જાહેર
- Advertisement -
મંદિર મહંતની નિમણૂંકમાં સ્થાનિક સંતોની સહમતી નથી : મહેશગીરી
સરકાર અને વહીવટી તંત્ર હસ્તક્ષેપ કરી મામલાને થાળે પાડે તેવી માંગ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
જૂનાગઢ ગિરનાર અંબાજી મંદિર શક્તિ પીઠના શ્રીમહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ મંદિરના ગાદીપતિ મુદ્દે ભારે વિવાદ વકર્યો છે.મહંત તનસુખગિરી બાપુ દેવ લોક પામ્યા બાદ તેના ઉત્તરાધિકારી તરીકે કોઈની નિમણૂંક થઇ ન હતી ત્યારે મહંતાઈને લઈને સ્થાનિક સંતો અને અખાડા પરિષદના હરીગીરી મહારાજ સહીત સંતોમાં ભારે ખેંચતાણ જોવા મળી રહી છે ગત ભીડભંજન મહાદેવ મંદિર જગ્યા ખાતે બ્રહ્મલીન મહંતના સમાધિ સ્થળે ધૂળલોટ વિધી સમયે ગિરનાર અંબાજી મંદિરના ગાદીપતિ તરીકે પ્રેમગીરીજી મહારાજની જાહેરાત થતા બ્રહ્મલીન મહંત તનસુખગિરી બાપુના અનુયાયીઓ એ ભારે હોબાળો મચાવ્યો હતો અને આ નિમણૂંક ખોટીરીતે થઇ હોવાની વાત લઇને ધમાલ મચાવતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બે દિવસ પૂર્વે ગિરનાર પર્વત પર આવેલા શક્તિપીઠ પૈકી અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ દિવંગત થયા હતા. બાદ ગત રોજ તેમની સંન્યાસી પરંપરા અનુસાર વિધિ કરવામાં આવી હતી. વિધિ પૂર્વે જુના અખાડાની બેઠક શકરીયા ટીંબામાં યોજવામાં આવી હતી. જેમાં ગિરનાર મંડળના સાધુ-સંતો, હરિગીરી મહારાજ, ઇન્દ્રભારતી મહારાજ, પ્રેમગીરી મહારાજ અને સિદ્ધેશ્વર ગીરીની સાથે શેલજા દેવી અને અન્ય ગિરનાર મંડળના સાધુ સંતો હાજર રહ્યા હતા.
- Advertisement -
જેમાં ગિરનાર મંડળના મહામંત્રી તરીકે રહેલા તનસુખગીરી બાપુની જગ્યા પર ભવનાથ મંદિરના મહંત હરિગીરી મહારાજની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ અંબાજી મંદિરના મહંત તરીકે જુના અખાડાની પરંપરા અનુસાર પ્રેમગીરી મહારાજને જાહેર કર્યા હતા.ગત બપોરે ધૂળલોટ વિધિ દરમિયાન તનસુખગીરી બાપુની સમાધિનું પૂજન થઈ રહ્યું હતું. આ સમયે જુના ખાડાના સાધુ સંતોની હાજરીમાં પ્રેમગીરી મહારાજને મહંત તરીકે જાહેર થતાં જ તનસુખગીરીબાપુના પરિવારજનો કુંદનગીરી અને દુષ્યંતગીરીએ ભારે વિરોધ કર્યો હતો.અને પ્રેમગીરી બાપુની નિમણૂંકને અયોગ્ય ગણાવીને અંબાજી મંદિરની ગાદી પર તેમનો અધિકાર છે અને તેમને મળવી જોઈએ અન્યથા તેમનો સમગ્ર પરિવાર આત્મવિલોપન કરશે આવી ચિમકી આપતા મામલો વધુ ગૂંચવાયેલો જોવા મળી રહ્યો છે હાલ તો અખાડા ની પરંપરા અનુસાર પ્રેમગીરી મહારાજને તનસુખગીરી બાપુના ઉતરાધિકારી તરીકે નિમણૂંક કરાય છે સમગ્ર મામલામાં વિરોધ વ્યાપક બની રહ્યો છે. જેને પગલે મંદિરના મહંતનો મામલો કાયદાકી આંટી ઘૂંટીમાં પણ આગામી દિવસોમાં ગુંચવાતો જોવા મળશે.
ગઈકાલે ભુતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ તનસુખગીરી બાપુ દ્વારા તેમને શિષ્ય બનાવ્યો હોવાનો દાવો કર્યો હતો. તેની વચ્ચે આજે ગિરનાર મંડળ અને જૂના અખાડાની બેઠકમાં પ્રેમગીરી મહારાજને તનસુખગીરી બાપુના સમાધિ શિષ્ય તરીકે જાહેર કરીને તેમને અંબાજીના મહંત બનાવી દેવામાં આવ્યા હતા. તેની વચ્ચે તનસુખગીરી બાપુના પરિવારજનોમાંથી પણ મહંત પદને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે મંદિરના મહંતને લઈને ગુરુ શિષ્ય પરંપરા જુના અખાડાની વ્યવસ્થાની સાથે પરિવારના દાવા જેવા ત્રિકોણીય જંગમાં અંબાજી મંદિરનું મહંત પદ ફસાયેલું જોવા મળે છે.
અંબાજી મંદિરના ગાદીપતિની નિમણૂંક ખોટી રીતે થઇ હોવાનો મહેશગિરિનો દાવો
ગિરનાર અંબાજી મંદિરના મહંત શ્રીતનસુખગિરી બાપુ દેવલોક પામ્યા બાદ મહંતાઈને લઈને સાધુ – સંતો આમને સામાને આવી ગયા છે ત્યારે કમંડળ કુંડના અને ભવનાથ મહેદવ મંદિરના મહંત મહેશગિરી બાપુએ મીડિયા સમક્ષ વાત કરતા કહ્યું હતું કે, હાલ જે નિમણૂંક કરવામાં આવી છે તેમાં સ્થાનિક સંતોની સહમતી નથી તેમજ હું પણ અંબાજી મંદિર સહીતની જગ્યા માટે મહંત પદની મારી દાવેદારી પણ નથી ત્યારે મહંતને લઈને જે વિવાદ થયો છે તે ખોટી રીતે થઇ રહ્યો છે.બીજી તરફ જે રાજકોટ હોસ્પિટલમાં જે કાગળો પર સહી સિક્કા થયા છે તે બાબતે મહેશગિરી બાપુએ જણાવ્યું કે, સમયે આવશે ત્યારે બતાવશું તેમ કહ્યું હતું.