હવામાન વિભાગે 7 અને 8 ઓગસ્ટ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું, ઉત્તરાખંડમાં કેદારનાથ ધામ અને તેના માર્ગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કામ હવામાન સાફ થયા પછી વેગ પકડ્યું
હિમાચલ પ્રદેશમાં કેટલાક દિવસોથી ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં વિવિધ સ્થળોએ અચાનક પૂર અને ભૂસ્ખલનને કારણે મનાલી-લેહ નેશનલ હાઈવે અને 87 અન્ય રસ્તાઓ બંધ થઈ ગયા છે. આ તરફ આગામી ત્રણ દિવસ સુધી મુશળધાર વરસાદની અપેક્ષા છે અને હવામાન વિભાગે 7 અને 8 ઓગસ્ટ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરાખંડમાં કેદારનાથ ધામ અને તેના માર્ગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કામ હવામાન સાફ થયા પછી વેગ પકડ્યું છે.
- Advertisement -
હિમાચલ પ્રદેશ પોલીસે જણાવ્યું કે ભારે વરસાદને કારણે ચંદ્રભાગ નદીનું જળસ્તર વધી ગયું છે. લાહૌલ અને સ્પીતિ જિલ્લામાં બે સ્થળોએ અચાનક પૂર આવ્યું હતું અને જિંગ જિંગબાર પાસે મનાલી-લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 3 પર પાણી અને કાટમાળ હતો. જેના કારણે આગામી આદેશ સુધી દારચા અને સરચુ પોલીસ ચેકપોસ્ટ પર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) હાઈવે પરથી કાટમાળ હટાવવામાં વ્યસ્ત છે. હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં ખાસ કરીને કાંગડા, હમીરપુર અને ચંબા જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપી છે અને ખરાબ હવામાનને લઈને બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના અન્ય ભાગો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
કેદારનાથ માર્ગ પર ફસાયેલા વધુ 1,401 મુસાફરોને બચાવાયા
આ તરફ કેદારનાથ પદયાત્રાના માર્ગ પર ભારે વરસાદને કારણે વિવિધ સ્થળોએ ફસાયેલા પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને બચાવવાની કામગીરી પાંચમા દિવસે પણ ચાલુ રહી હતી. સોમવારે 1,401 લોકોને બચાવવામાં આવ્યા હતા. 645 મુસાફરો અને સ્થાનિક લોકોને Mi-17, ચિનૂક અને અન્ય હેલિકોપ્ટર દ્વારા, 584ને પગપાળા, 172ને ભીમ્બલી-લિંચોલી-ચૌમાસી માર્ગે બહાર કાઢવામાં આવ્યા હતા. પાંચ દિવસમાં 11,775 મુસાફરોને બચાવવામાં આવ્યા છે.
- Advertisement -
ગુજરાતના નવસારી- વલસાડ જિલ્લાના અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ વિસ્તારોમાંથી 1,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં 229 મીમી વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં ઔરંગ નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.