દ્વારકા-સોમનાથની જેમ જ ધ્વજા પૂજન, મહાઆરતી અને ભોજન પ્રસાદનું આયોજન
ભક્તો માટે મંદિરે તમામ વ્યવસ્થા ફ્રી રહેશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ-મોરબી રોડ પર રતનપર પાસે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી રામચરિતમાનસ મંદિર ખાતે આગામી 21 ડિસેમ્બર, રવિવારના રોજ ભક્તિભાવપૂર્વક ધ્વજારોહણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અજોડ દેવસ્થાનમાં હવેથી તે તમામ ભાવિકો ધજા ચડાવી શકશે જેઓ સમય કે અન્ય સંજોગોના કારણે દ્વારકા કે સોમનાથ જઈ શકતા નથી.
શ્રી સિયારામ મંડળી દ્વારા જાહેર કરાયેલી વિગત મુજબ, 21મીએ સવારે 10 વાગ્યે સદ્દગુરુ ભગવાન શ્રી રણછોડદાસજી બાપુના નિજ મંદિરમાં ધજાજીનું વિધિવત પૂજન થશે. ત્યારબાદ કીર્તન મંડળીના રાસ-ગરબા અને વાજતે-ગાજતે ધ્વજાજી મુખ્ય મંદિરે લાવવામાં આવશે. રામદરબાર, રણછોડરાયજી, મહાદેવજી અને હનુમાનજીના શિખરે 9 મીટરની કુલ ચાર વિશાળ ધજાઓ ચડાવવામાં આવશે. પ્રથમ ધજા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ચડાવાશે, ત્યારબાદ કોઈપણ ભાવિક અહીં ધજા ચડાવવાનો લાભ લઈ શકશે. મહત્વની વાત એ છે કે, જે ભાવિકો અહીં ધજા ચડાવવા આવશે તેમના તમામ મહેમાનો અને પરિવારજનો માટે ભોજન મહાપ્રસાદની સંપૂર્ણ વ્યવસ્થા મંદિર તરફથી નિ:શુલ્ક રાખવામાં આવશે.
આ ગુજરાતનું પ્રથમ એવું મંદિર છે જેની દીવાલો પર આરસમાં સંપૂર્ણ રામાયણની ચોપાઈઓ કંડારવામાં આવી છે. 58 વર્ષ પૂર્વે પૂજ્ય મનહરલાલજી મહારાજની પ્રેરણાથી 22 એકર જગ્યામાં નિર્મિત આ મંદિર કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. આ મહોત્સવમાં સામાજિક અગ્રણીઓ અને ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.



