ખીરનો પ્રસાદ શ્રીફળ સુંદડી અને મોડીઓ સમુદ્રમાં પધરાવી રક્ષાની કરાઈ કામના
ખાસ-ખબર સંવાદદાતા
સુત્રાપાડા તાલુકા દરિયાકાંઠે વસેલ ગામડાઓમાં રહેતા અને દરિયોખેડી જીવન નિર્વાહ ચલાવતા માછીમાર પરિવારો દ્વારા દર વર્ષે શ્રાવણસુદ પૂર્ણિમા-નાળીયેરી પૂનમે સમુદ્રનું પૂજન કરી દરિયો ખેડવાનો પ્રારંભ કરતાં હોય છે જે અંતર્ગત આ વર્ષે સુત્રાપાડા તાલુકાનાં ધામળેજ ગામનાં માછીમાર પરિવારો દ્વારા દરિયાનું પૂજન કરવામાં આવ્યું હતું. હજુ પણ સુત્રાપાડાના દરિયાકાંઠે આવેલાં અનેક ગામડાઓમાં વસતાં કેટલાક પરિવારોએ પેઢી દર પેઢીનો વ્યવસાયી વારસો અકબંધ જાળવી રાખ્યો છે ત્યારે સુત્રાપાડા તાલુકાનાં ધામળેજ ગામે વસતાં કેટલાક માછીમાર પરિવારો આ વ્યવસાય સાથે આજે પણ જોતરાયેલા હોય આથી દર વર્ષે શ્રાવેણી પૂનમ કે જે માછીમારોમાં નાળીયેરી પૂનમ તરીકે ઓળખાય છે આ દિને માછીમારો પોતાના ઘરે ખીરનો પ્રસાદ તૈયાર કરી સહ પરિવાર દરિયાકાંઠે પહોંચે છે જયાં નૈવેદ્ય તરીકે ખીરના પ્રસાદનો ચડાવો ચડાવી સમુદ્રમાં નાળીયેર, ચૂંદડી, મોડીયો, અક્ષત, પૂષ્પ વગેરે દ્રવ્યો પધરાવી દરિયાદેવને પ્રાર્થના ઓ કરી રક્ષણની કિમનાઓ કરે છે. ત્યારબાદ વિવિધ તહેવાર ઉજવવામાં આવે છે આજરોજ ધામળેજ ગામના માછીમાર પરીવારો દ્વારા દરિયામાં ભરતી આવ્યે પૂજા-સામગ્રી સાથે સમુદ્ર તટે પહોંચ્યા હતા જયાં પ્રથમ દરિયાદેવનુ પૂજન કર્યાં બાદ હોડીઓની પૂજા કરી હાર-તોરાથી શણગારવામાં આવી હતી અને શુભ મહૂર્તમાં દરિયો ખેડવાનો પ્રારંભ કર્યો હતો.આતકે માછીમાર સમાજના અગ્રણી રામભાઈ સોલંકી, જિલ્લા પંચાયતના સદસ્ય અરશીભાઈ ચાવડા સહિતના પટેલો અને યુવાનો હાજર રહ્યા હતા.