લશ્કર-એ-તૈયબાના કમાન્ડર સૈફુલ્લાહ કસૂરી સ્થાપક હાફિઝ સઈદના પુત્ર તલ્હા સઈદની સાથે લાહોરમાં ભારત વિરોધી રેલીમાં જોવા મળ્યો હતો.
જમ્મુ-કાશ્મીરના પહલગામની બૈસારન ખીણમાં આતંકી હુમલામાં હિન્દુઓની હત્યાની ઘટનાના એક મહિના બાદ આ હુમલાનો માસ્ટર માઈન્ડ અને લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર સૈફુલ્લા કસૂરી પાકિસ્તાનમાં જાહેરમાં ફરતો જોવા મળ્યો છે. બીજી બાજુ ભારતે પાકિસ્તાનમાં નવ આતંકી સ્થળોનો ખાત્મો બોલાવ્યા પછી આતંકી સંગઠનોએ ફરી એક વખત ભરતી શરૂ કરી છે અને તે માટે પોસ્ટરો લગાવ્યા છે.
- Advertisement -
પહલગામમાં આતંકી હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે સૈન્ય કાર્યવાહી કરી પાકિસ્તાનમાં નવ આતંકી સ્થળોનો ખાત્મો કરી નાંખ્યો હતો. જોકે, પાકિસ્તાન હજુ સુધર્યું નથી. પાકિસ્તાનમાં ભારત વિરોધી એક રેલી યોજાઈ હતી. આ રેલીમાં લશ્કર-એ-તોયબાનો કમાન્ડર સૈફુલ્લાહ કસૂરી અને હાફિઝ સઈદનો પુત્ર હાજર રહ્યા હતા. આ રેલીમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકી જાહેર કરાયેલા અનેક આતંકીઓ એક મંચ પર આવ્યા હતા.
પાકિસ્તાનમાં ન્યૂક્લિયર ટેસ્ટિંગની સફળતાના દિવસને પ્રત્યેક વર્ષે યૌમ-એ-તકબીર તરીકે ઊજવાય છે. તોયબાના આતંકીઓની આ રેલી આ ઊજવણીનો એક ભાગ હતી. આ પ્રસંગે પાકિસ્તાન મરકજી મુસ્લીમ લીગ દ્વારા આયોજિત આતંકીઓએ ભારત વિરુદ્ધ ખુલ્લેઆમ ઝેર ઓક્યું હતું. આ સિવાય પાકિસ્તાનમાં હયાત આતંકી જૂથોએ ભારત વિરુદ્ધ તેમની પ્રવૃત્તિઓ ઝડપી બનાવી દીધી છે. આ જૂથો હવે ખુલીને ભારત વિરોધી વાતો કરી રહ્યા છે. તેમણે ભારત વિરોધી અભિયાનો માટે સમર્થન, ફન્ડિંગ તથા નવા આતંકવાદીઓની ભરતી પણ શરૂ કરી દીધાં છે.
જૈશ-એ-મોહમ્મદે ભારત વિરુદ્ધ ઝેર ઓકવાની સાથે નવા આતંકીઓની ભરતી કરવા માટે સોશિયલ મીડિયાનો આધાર લીધો છે. આ આતંકી સંગઠન ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ, ટિકટોક, એક્સ, વ્હોટ્સએપ ગૂ્રપ્સ અને બ્લોગસ્પોટ જેવા પ્લેટપોર્મ્સ પર સક્રિય છે. તેણે ભારત વિરુદ્ધ આતંકી પ્રવૃત્તિઓ માટે ખુલીને દાન માગવાનું અને યુવાનોને ભારત વિરુદ્ધ જેહાદમાં જોડાવા ઉશ્કેરવાનું શરૂ કર્યું છે. જૈશે બહાવલપુરમાં મોટા હોર્ડિંગ્સ લગાવ્યા છે અને ઓગસ્ટમાં એક મોટા કાર્યક્રમમાં લોકોને જોડાવા આમંત્રણ અપાયું છે.
- Advertisement -