ટૂંક સમયમાં રાજકોટને મળશે ઇન્ટરનેશનલ ફ્લાઇટ
હીરાસર એરપોર્ટ પર ઇમિગ્રેશન ડિપાર્ચર-ઇન્ટરનેશનલ અરાઇવલ સહિતનાં કાઉન્ટર તૈયાર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી હવે ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થવાની શક્યતા છે. આ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર હાલ નવા ટર્મિનલનું કામ ચાલી રહ્યું છે, ત્યાં ઇન્ટરનેશનલ ફ્લાઇટના ઇમિગ્રેશન તેમજ કસ્ટમ માટેના કાઉન્ટર તૈયાર થઈ ચૂક્યા છે. રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર ચોટીલા પાસે હીરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર નવું ટર્મિનલ બિલ્ડિંગનું કામ હવે પૂર્ણ થવાને આરે છે. પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ દુબઇની શરૂ થાય તેવી શક્યતા છે. જેનો લાભ રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓને મળતા વિકાસની ગતિ તેજ બનશે.
રાજકોટ એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઇન્ટરનેશનલ ડિપાર્ચરમાં ઈમિગ્રેશનનાં 12 તો અરાઇવલના 16 ટેબલ તૈયાર થઈ ચૂક્યાં છે અને તે માટે ગૃહ મંત્રાલયને પત્ર લખી દેવામાં આવ્યો છે. આ પત્રમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને ઈમિગ્રેશન ચેકપોસ્ટ તરીકે જાહેર કરવા માટે લખ્યું છે. આ સાથે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને કસ્ટમ્સ એરપોર્ટ જાહેર કરવા માટે ગત જુલાઇ-2024માં નાણા મંત્રાલયને પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્રમાં પણ ઇન્ટરનેશનલ અરાઇવલ અને ડિપાર્ચર માટેના 1-1 કસ્ટમ કાઉન્ટર તૈયાર થઈ ચૂક્યાં છે.
- Advertisement -
રાજકોટ-અમદાવાદ હાઇવે પર ચોટીલા નજીક હીરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આગામી શિયાળામાં ફ્લાઇટની ઉડાન માટેનું શેડ્યુલ અગાઉ જાહેર કરાયું છે. જેમાં એક ચાર્ટર્ડ સહિત 16 ફ્લાઇટ ઉડાન ભરશે. હાલ રાજકોટ એરપોર્ટ પરથી દૈનિક 9 સહિત 12 ફલાઇટ ઉડાન ભરી રહી છે. જેમાં દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને સુરતની ફલાઇટ દૈનિક છે. જ્યારે ગોવા અને પુણેની ફ્લાઇટ અઠવાડિયામાં 3 દિવસ તો અમદાવાદની 15.50 વાગ્યાની ફ્લાઇટ અઠવાડિયામાં 6 દિવસ ઉડાન ભરી રહી છે. જ્યારે આગામી વિન્ટર શેડ્યુલ એટલે કે 27 ઓક્ટોબરથી 29 માર્ચ દરમિયાન 16 ફ્લાઈટ ઉડાન ભરવાની છે. જેમાં 16માંથી 13 ફ્લાઇટ દૈનિક ઉડાન ભરશે તો પુણેની 17.05 વાગ્યાની ફ્લાઇટ સોમવાર, મંગળવાર અને રવિવારે, દિલ્હીની 20.00 વાગ્યાની ફ્લાઇટ મંગળવાર, ગુરુવાર અને શનિવાર તો દિલ્હીની જ 20.30 વાગ્યાની ફ્લાઈટ સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે ઉડાન ભરશે.