વર્લ્ડ કપ દરમિયાન મોદી સ્ટેડિયમમાં ખાલિસ્તાની ઝંડા ફરકાવવાની ધમકી આપી હતી
પન્નુની ઑડિયો ક્લિપ વાયરલ થતાં ખુદ પોલીસ જ ફરિયાદી બની
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત આગામી 4 ઓક્ટોબરથી થઈ રહી છે. જેમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમની યોજાવાની છે અને 5 ઓક્ટોબરના રોજ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચ રમાવવાની છે. ત્યારે વર્લ્ડ કપ પર આતંકવાદી હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે. કારણ કે, વર્લ્ડ કપની મેચ દરમિયાન હુમલો કરવા અંગેનો ઓડિયો જાહેર કરી ખાલીસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુ દ્વારા ધમકી આપવામાં આવી હતી. જેના પગલે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આજે ગુનો નોંધ્યો છે. વર્લ્ડ કપની મેચ દરમિયાન હુમલો કરવા અંગેની આ ધમકીને પોલીસે પણ ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું છે કે, તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક પ્રિરેકોર્ડેડ વોઇસ ક્લિપ ફરતી કરવામાં આવી છે. જેમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની મેચ દરમિયાન હુમલો કરવા અંગેની ધમકી આપવામાં આવી હતી. શીખ ફોર જસ્ટિસ (જઋઉં)ના આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુએ ભારતમાં યોજાનારા ક્રિકેટ વર્લ્ડ કપને લઈને ધમકી આપી હતી. તેની તરફથી એક ઓડિયો જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે, ક્રિકેટ વર્લ્ડ કપ નહીં, પરંતુ આતંકવાદ વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે. ગુજરાતના અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચના દિવસે માત્ર ખાલિસ્તાની ઝંડાઓ જ જોવા મળશે. હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો બદલો લેવામાં આવશે. પન્નુનો ઓડિયો તેના સમર્થકો અલગ-અલગ આઈડી પરથી વાઇરલ કરી રહ્યા છે. આ સાથે એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે, આ ઓડિયો પન્નુએ પોતે જાહેર કર્યો હતો.
ઓડિયો ક્લિપ જુદા-જુદા વ્યક્તિને મોકલી
એક અજાણ્યા મોબાઈલ નંબર પરથી ધમકીભરી ઓડિયો ક્લિપ જુદા-જુદા વ્યક્તિઓને મોકલવામાં આવ્યો હતો. આ ઓડિયો ક્લિપમાં છેલ્લે ગુરપતવંતસિંહ પન્નુ બોલવામાં આવે છે. ગુરપતવંતસિંહ પન્નુ ભારત બહાર રહી ખાલિસ્તાન ચળવળના નામે ‘શીખ ફોર જસ્ટિસ’ (જઋઉં)ના નામથી ઓર્ગેનાઇઝેશન ચલાવતો મુખ્ય સૂત્રધાર છે. જેને ભારત સરકાર દ્વારા આંતકવાદી જાહેર કરવામાં આવ્યો છે.
સાયબર ક્રાઈમ દ્વારા તપાસ શરૂ
ગુરપતવંતસિંહ પન્નુ દ્વારા ભારત દેશની એકતા-અખંડિતતા, સાર્વભૌમત્વને નુકસાન થાય અને લોકોમાં કોમી વૈમનસ્ય ફેલાય તેવા પ્રકારની અને ભારતના મહાનુભાવોને ચીમકી આપતા જુદા-જુદા વીડિયો અને ટિપ્પણીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ કરવામાં આવી હતી. ખાસ કરીને ડ્ઢ ટ્વિટર ઉપર આવા વીડિયો અને ટિપ્પણીઓ કરી દેશમાં આતંકવાદી પ્રવૃત્તિનું કાવતરું કરી ગુનો કરતા સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.