અમનવીરસિંઘ ઉર્ફે સન્નીપાજીની શૈતાની, પત્નીને કહ્યું: ‘તલવાર વડે મારી નાખીશ’
સન્નીપાજી પત્નીને માર મારી રિવોલ્વર તેમજ તલવાર વડે મારી નાખવાની ધમકી આપતો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના ‘સન્ની પાજી દા ઢાબા’ આ નામ સાથે બોલિવૂડ અભિનેતાને નહાવા કે નિચોડવાનો પણ સંબંધ નથી. રાજકોટની જાણીતી રેસ્ટોરાં ‘સન્ની પાજી દા ઢાબા’નો માલિક પત્ની પરના અત્યાચારોના કારણે ચર્ચામાં છે. અમનવીરસિંઘ ઉર્ફે સન્નીપાજી ખેતાન અને તેના પિતા તેજેન્દ્રસિંઘ ખેતાન વિરુધ્ધ પરિણીતાએ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં પતિ સન્નીપાજી નશાની હાલતમાં તેની પત્નીને માર મારી રિવોલ્વર તેમજ તલવાર વડે મારી નાખવાની ધમકી આપતો હોવાની ફરિયાદ મહિલા પોલીસે નોંધી છે. પોલીસે સન્નીપાજી અને તેના પિતા વિરુધ્ધ આઇપીસી કલમ 498(ક), 506(2) અને 114 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે તેના માતા-પિતા તથા દીકરા સાથે છેલ્લા બે વર્ષથી મારા માવતરના ઘરે રહું છું. તે 2014માં રાજકોટ ડાન્સ ક્લાસમાં ડાન્સ શીખવા જતી ત્યારે તે અમનવીરસિંઘ ઉર્ફે સન્નીપાજી ખેતાન સાથે સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમસંબંધ થતાં એકબીજાની સહમતીથી પરિવારજનોની હાજરીમાં ગુરુદ્રારા ખાતે તા. 22.01.2017ના રોજ શીખ જ્ઞાતિના રીત-રીવાજ મુજબ લગ્ન કર્યા હતા આ લગ્નજીવનથી સંતાનમાં બે દીકરા છે. જેમા મોટો દીકરો રાજવીરસિંઘ જેની ઉંમર સાડા ચાર વર્ષ છે અને નાનો દીકરો યુવરાજ જેની ઉંમર 3 વર્ષ છે. જે બંન્ને બાળકો હાલ તેની પાસે છે.
ફરિયાદમાં પરિણીતાએ વધુમાં જણાવ્યું હતું કે, લગ્નબાદ તેનો પતિ, સસરા તથા દાદાજી સસરા સાથે સંયુકત પરિવારમાં રાજકોટ રહેતા હતા. લગ્ન બાદ બે માસ મારુ લગ્નજીવન સારુ ચાલ્યું હતું. પરંતુ ત્યારબાદ અવારનવાર તેનો પતિ તેને નશો કરી મારકુટ કરતો અને તેના સસરા પણ પુત્રને સપોર્ટ કરતા અને મારા સસરા દારુ પીને અપશબ્દો બોલતા અને તે અવારનવાર આવું ગેરવર્તન કરતા રહેતા હતા. પંરતુ પોતાના બંન્ને બાળકોના ભવિષ્યને વિચારીને તે સહન કરતી હતી. તેને એમ હતું કે ભવિષ્યમા આ તેના બાળકો મોટા થતાં પતિ સુધરી જશે પરંતુ તેનો વિશ્વાસ ખોટા સાબિત થયેલો અને તેનો પતિ સુધર્યો ન હતો.
અમનવીરસિંઘને પરસ્ત્રી સાથે સબંધ હોવાનો પત્નીનો આરોપ
પરિણીતાએ વધુમાં જણાવ્યું હતું કે, તેના પતિ અમનવીરસિંઘને અન્ય સ્ત્રી સાથે સંબંઘ હતા. જે વાતની જાણ તેને લગ્નના બે માસ પછી થઈ હતી. આ વાતની જાણ તેના સસરા તથા દાદાજી સસરાને હોવા છતાં તેઓ આ બાબતે કંઈ કહેતા નહી અને આવું કરશે નહીં તેવુ કહેતા. પંરતુ પતિ સુધરતો ન હતો અને મારકૂટ કરતો હતો. એટલું જ નહીં, અન્ય યુવતી સાથે વાતો કરતો હતો. જે બાબતે કહેતા તેને તેનો પતિ કહેતા કે હું વાતો તો કરીશ જ અને આ બાબતમાં પરિણીતાના સસરા તેજેન્દ્રસિંઘ તેને સપોર્ટ કરતા અને કહેતા કે આવું બધું તો તારે સહન કરવું પડશે.