ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એટલાન્ટિસ અગ્નિકાંડ બાદ ફાયર એનઓસી ન ધરાવતા રહેણાક અને કોમર્સિયલ બાંધકામોને નોટિસ આપવાનું શરૂ કરાયું છે અને જેટલા બિલ્ડિંગોને બે-બે નોટિસ અપાઇ છે તેમને ત્રીજી અને આખરી નોટિસ આજથી આપવાનું શરૂ કરાશે ત્યારે ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યા અનુસાર આખરી નોટિસ આપ્યા બાદ હવે શું કાર્યવાહી કરવી તે મ્યુનિસિપલ કમિશનરને પૂછીને નિર્ણય કરાશે.
- Advertisement -
ટીઆરપી અગ્નિકાંડની ઘટના અને એટલાન્ટિસ અગ્નિકાંડની ઘટના બાદ ફાયર બ્રિગેડ શાખાની ટીમો દ્વારા તમામ રહેણાક અને કોમર્સિયલ હાઇરાઇઝ બિલ્ડિંગોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને લગભગ 3600 વધુ બિલ્ડિંગને અત્યાર સુધીમાં ફાયર એનઓસીના મુદ્દે નોટિસ આપવામાં આવી છે.
મહાનગરપાલિકાની ફાયર શાખાએ 2-2 વખત નોટિસ આપવા છતાં સંખ્યાબંધ બિલ્ડિંગના એસોસિએશનોએ હજુ સુધી ફાયર સેફ્ટીની સિસ્ટમ ઇન્સ્ટોલ કરી નથી અને સંખ્યાબંધે હજુ સુધી ફાયર એનઓસી લીધા નથી. આથી ફાયર શાખાએ સોમવારથી ત્રીજી અને આખરી નોટિસ આપવાની કાર્યવાહી શરૂ કરવા નિર્ણય કર્યો છે. આ નોટિસ આપ્યા બાદ જો બિલ્ડિંગના એસોસિએશનો દ્વારા ફાયર એનઓસી લેવામાં નહીં આવે તો તેમની સામે કાર્યવાહી કરાશે. શું કાર્યવાહી કરવી તેનો આખરી નિર્ણય મ્યુનિસિપલ કમિશનર કરશે તેમ ફાયર શાખાના સૂત્રોએ જણાવ્યું છે. આ કાર્યવાહી કરવામાં આવે તે પૂર્વે જો કોઇ દુર્ઘટના થાય તો તેની જવાબદારી કોની? તેવા સવાલ પણ ઊઠી રહ્યા છે.