દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલી પર્લ હોસ્પિટલ પાસે પ્રૌઢને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો
મિત્રનું મૃત્યુ નિપજાવી ભાગી રહેલા આરોપીને સ્થાનિક અને માલવિયા પોલીસ સ્ટેશનના કુલદીપસિંહે ઝડપી પાડ્યો
ખાસ-ખબર સંવાદદાતા
શહેરના દોઢસો ફૂટ રીંગ રોડ ઉપર આવેલા પર્લ હોસ્પિટલ નજીક ભાણેજ પાસેથી ઉછીના રૂપિયા લઈ દારૂ પાર્ટી કરવા બેઠેલા બંને મિત્રોમાં બોલાચાલી થતાં મામલો હત્યામાં પલટાયો હતો, જેમાં મિત્રએ પ્રૌઢને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા બાદ ત્યાંથી નાસી જતાં એક સ્થાનિક આ ઘટનાને જોઈ જતાં આરોપીનો પીછો કરી આ અંગેની જાણ માલવિયા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ કુલદીપસિંહને કરતાં બંનેએ સાથે મળી આરોપીને પુનિતનગરના ટાંકા પાસેથી ઝડપી પાડ્યો હતો અને આ ઘટનાની જાણ થતાં માલવિયા પોલીસ સ્ટેશનના પી.આઈ. કે. એન. ભૂકણ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

- Advertisement -
મેંગણીના વતની અને હાલ ખોડિયાર પરામાં તેની બહેનના ઘરે રહેતાં દિનેશભાઈ પોપટભાઈ ખાંટે તેના ભાણેજ પાસેથી પાંચસો રૂપિયા શનિવારે સાંજના પાંચ વાગ્યાની આસપાસ હાથ ઉછીના લઈ તેનો મિત્ર જયંતિ જોટાણીયા સાથે દારૂની પાર્ટી કરવા બેઠા હતા. જેમાં સામાન્ય બોલાચાલી થતાં દિનેશભાઈ તેના ઘર ખોડિયાર પરા જવા રવાના થયા હતા ત્યારે પર્લ હોસ્પિટલની આગળ પહોંચ્યા ત્યાં કોઈ લોકોની અવરજવર ન હોવાથી તેનો પીછો કરી રહેલ તેનો મિત્ર દિનેશ ખાંટને બોલાચાલીનું લાગી આવેલ હોવાથી મોટો પથ્થર ગોતી દિનેશભાઈ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટના ત્યાંથી પસાર થઈ રહેલા સ્થાનિક મહેન્દ્રગિરિ ગૌસ્વામીએ જોઈ જતાં તેણે આરોપી દિનેશ ખાંટનો પીછો શરૂ કરી આ ઘટનાની જાણ માલવિયા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં કુલદીપસિંહ જાડેજાને કરતાં સ્થાનિક મહેન્દ્રગિરિ અને કોન્સ્ટેબલ સંકલન કરી આરોપીને પુનિતનગરના ટાંકા પાસેથી ઝડપી પાડ્યો હતો. મૃત્યુના બનાવ અંગેની જાણ થતાં પી.આઈ. કે. એન. ભૂકણ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઝડપાયેલા આરોપી દિનેશ ખાંટની પૂછપરછ કરતાં તેણે મૃત્યુ કર્યુ હોવાની કબૂલાત આપતાં પોલીસે આરોપી વિરૂદ્ધ મૃત્યુ અંગેનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
‘પપ્પા ગમે તેમ આ અંકલને પકડો’ : છ વર્ષની દીકરીની હઠ
દોઢસો ફૂટ રીંગ રોડ પર મિત્રએ જ મિત્રને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધાની સમગ્ર ઘટના ત્યાંથી એક્ટિવા પર પસાર થઈ રહેલા પિતા-પુત્રીએ જોઈ હતી ત્યારે આરાધ્યાબેન મહેન્દ્રગિરિ ગૌસ્વામી (ઉ.વ.6) નામની બહાદૂર દીકરીએ તેના પિતા મહેન્દ્રગિરિ પ્રભાતગિરિ ગૌસ્વામીને હઠ કરી હતી કે પપ્પા ગમે તેમ થાય આ અંકલે બીજા અંકલને પથ્થરના ઘા ઝીંક્યા છે ગમે તેમ થાય આપણે આ અંકલને પકડી પાડવા છે જેથી દીકરીના પિતા મહેન્દ્રગિરિએ આ ઘટના અંગેની જાણ માલવિયા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં કુલદીપસિંહને જાણ કરી હતી અને બંનેએ સંકલન કરી આરોપીને પુનિતનગરના ટાંકા પાસેથી ઝડપી પાડ્યો હતો.

- Advertisement -



