કેટલાક બંદરોના માછીમાર ગ્રુપોની ફિશીંગ બોટો દ્વારા ગેરકાયદે લાઈન ફિશીંગ, લાઈટ ફીશીંગની પ્રવૃત્તિઓ થાય છે
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ ખારવા સંયુક્ત માચ્છીમાર બોટ એસોસીએશન અને સાગરપુત્ર ફાઉન્ડેશન વેરાવળનાં પ્રમુખ તુલસીભાઈ ગોહેલજણાવ્યું હતું કે, ગુજરાતનાં અને ખાસ કરીને વેરાવળ સહિતના ગુજરાતના દરિયામાં કેટલાક બંદરોના માછીમાર ગ્રુપોની ફિશીંગ બોટો ધ્વારા ગેરકાયદેસર લાઈન ફિશીંગ, લાઈટ ફીશીંગ તેમજ ધેરા ફિશીંગની પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવેલ છે.
આ ફિશિંગથી સામુહિક અને નાના માછીમારોનાં હિતો જોખમાતા હોઈ તેમજ આ પ્રકારે ફિશીંગ કરવાથી દરિયામાં રહેલી નાનામાં નાની માછલી પણ બચવા પામતી ન હોવાથી અને દરિયાઈ જીવસૃષ્ટિ સદંતર નાશ થતા તેની સીધી અસર દરિયાઈ મત્સ્ય ઉત્પતિ ઉપર થતી હોવાનાં કારણે આ બાબતે આ સંસ્થા ધ્વારા તેમજ માંગરોળ પોરબંદર સહિતના ગુજરાતના માછીમાર સમાજ દ્વારા અગાઉ પણ સરકાર તેમજ સંબંધિત સરકારી એજન્સીઓમાં લેખિત તેમજ રૂબરૂ રજૂઆતો કરવા છતાં આવી રાક્ષસીકૃતિથી કરવામાં આવતી ગેરકાયદેસર લાઈન, લાઈટ, ધેરા ફીશીંગની પ્રવૃત્તિ બંધ ન થતા ઉલ્ટાનું વધવા પામી છે. તદુપરાંત આવા તત્વોને સ્થાનિક માછીમારો રોકવાનો પ્રયત્ન કરે તો તેઓને જાનથી મારી નાંખવાની તેમજ બોટો સળગાવી દેવાની ધમકીઓ આપવાના બનાવો પણ છાશવારે બનવા લાગતા વેરાવળ કોસ્ટગાર્ડની ઓફીસમાં કોસ્ટગાર્ડના સીઓની અધ્યક્ષ સ્થાને મરીન પોલીસ, એસઓજી, તેમજ ફીશરીઝ ડીપાર્ટમેન્ટનાં સ્થાનિક અધિકારીઓની ઉપરિસ્થતિમાં વેરાવળ, માંગરોળ ચોરવાડ સહિતના માચ્છીમાર સમાજના પ્રમુખ આગેવાનોએ આ બાબતે રજૂઆતો કરીને આવી પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરાવવા તેમજ તેમની ઉપર કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી યોગ્ય પગલા લેવા રજૂઆતો કરવામાં આવી હતી. અને આવી પ્રવૃત્તિઓ બંધ કરાવવામાં નહીં આવે તો માછીમારો જે દિન પ્રતિદીન આ ગેરકાયદેસર થતી ફિશિંગના કારણે પાઇ માલ થતા જાય છે તે પોતાની રોજગારી બચાવવા અને પોતાનું અસ્તિત્વ ટકાવવા મજબૂરી વસ ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે.