ગુજરાતમાં તહેવારોની સિઝન શરૂ થઇ રહી છે, આ સાથે જ સામાન્ય માણસ અને ગૃહિણીઓને મોટી રાહત મળી છે, રાજકોટમાં આજે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. રાજકોટમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ ઘટ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, સાતમ-આઠમના તહેવારો આવી રહ્યાં છે, આ પહેલા ગૃહિણીઓ માટે સારા સમાચાર આવ્યા છે, રાજકોટમાં સિંગતેલમાં ડબ્બે 10 રૂપિયા અને કપાસિયા તેલમાં ડબ્બે 5 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આજે ખાદ્યતેલ માર્કેટમાં સિંગતેલનો ડબ્બો 2950 થી 3000 રૂપિયામાં વેચાઇ રહ્યો છે, જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1610 થી 1660 રૂપિયા સુધીનો છે. આ બન્ને તેલના ભાવમાં ઘટાડો આવ્યો છે. જોકે, હજુ પણ વેપારીઓનો અંદાજ છે કે ભાવમાં ઘટાડો આવી શકે છે.
- Advertisement -
ગુજરાત ખાદ્યતેલ અને તેલીબિયાં સંગઠનનોએ પ્રધાનમંત્રીને પત્ર લખી ખાદ્યતેલના આયાત પર અંકુશ મુકવા માંગ કરી છે. ખરીફ પાકની સિઝન નવેમ્બરથી શરૂ થાય તે પહેલાં અમલ કરવા માંગ કરવામાં આવી છે. નવેમ્બર 2022થી ઓક્ટોબર 2023 સુધીમાં ખાદ્યતેલની આયાત 160 લાખ ટન સુધી જવાની શક્યતા છે. આયાત પર નિયંત્રણ મુકવાથી ખાદ્યતેલમાં આંશિક વધારો આવશે પણ લાંબા ગાળે ફાયદો પણ થશે. ખાદ્યતેલોની આયાત પર નિયંત્રણ મૂકવામાં આવે તો સ્થાનિક તેલીબિયાના ભાવ જળવાઈ રહેશે, જેનાથી ખેડૂતો વેપારીઓ અને ઓઈલ મિલરોને ફાયદો થશે. ગત વર્ષ 17.09 લાખ હેકટર મગફળીનું વાવેતર હતું, આ વર્ષે 16.33 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. ગત વર્ષ કરતા આ વર્ષે મગફળીનું વાવેતર 4 ટકા ઘટ્યું છે. ગયા વર્ષે 24 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું હતું.