દર્દીને O પોઝિટિવને બદલે B પોઝિટિવ બ્લડ ચડાવી દેતાં રીએકશન
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબની બેદરકારીને કારણે દર્દીને અન્ય ગ્રુપનું બ્લડ ચડાવી દીધાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં 62 વર્ષીય દર્દી દિનેશભાઈ ગોંધીયા બાઈક ચલાવતા સ્લીપ થઈ જતાં તેમને જાંઘમાં ઈજા થઈ હતી. જેથી તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનાં ઓપરેશન દરમિયાન ઘ પોઝિટિવને બદલે ઇ પોઝિટિવ બ્લડ ચડાવી દેવામાં આવતા રીએકશન થયું હોવાનો દર્દીના પરિવાર દ્વારા આક્ષેપ કરવામા આવ્યો છે.
હસમુખભાઈ ગોંધિયાએ જણાવ્યું હતું કે, મારા નાના ભાઈ દિનેશ ગોંધિયા 62 વર્ષના છે અને ડ્રાઈવિંગ કરી ઘરનું ગુજરાન ચલાવે છે. સોમવારે બાઇક ચલાવતા સ્લીપ થઈ જતાં જાંઘમાં 2 હાડકા તૂટી ગયા હતા. જેથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 4 દિવસની સારવાર બાદ આજે ઓપરેશન હતું. જોકે, મારા ભાઈને ઘ પોઝિટિવને બદલે ઇ પોઝિટિવ બ્લડ ચડાવી દીધું. જેથી તેને ઠંડી ચડી અને રીએકશન આવ્યું. જોકે, તેમને પોતાની ભૂલ સમજાતાં લોહીની કોથળી કાઢી નાખી હતી. હાલ મારા ભાઈની હાલત ગંભીર છે. પરિવારજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, તબીબોની ગંભીર બેદરકારીને કારણે દર્દીની હાલત ખરાબ છે. બ્લડ રીએક્શનને કારણે દર્દીની હાલત ગંભીર બની ગઈ છે જેથી તબીબોની બેદરકારી મામલે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ કરવામા આવશે. ઉલ્લેખનીય છે કે, દર્દી કાલાવડ રોડ પર આવેલા આવાસમાં રહે છે અને ડ્રાઇવિંગ કરી ઘરનું ગુજરાન ચલાવે છે. તેમના પત્ની પણ ઘરકામ કરવા જાય છે. ત્યારે આર્થિક નબળી પરિસ્થિતિ ધરાવતો આ પરિવાર હાલ ચિંતામાં મૂકાઈ ગયો છે.
- Advertisement -
જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે
રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ રાધેશ્યામ ત્રિવેદી સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, બ્લડ ચડાવવામાં બેદરકારીના મામલે તપાસના આદેશ આપી હાઈ લેવલ કમિટીની રચના કરવામા આવી છે. ડોક્ટર, પેરા મેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ જે કોઈ જવાબદાર હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. 62 વર્ષે દિનેશભાઈ ગોંધિયાની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે.