ગાંધીનગર કમલમથી આદેશ છૂટતાં જ પક્ષવિરોધીઓને હાંકી કઢાયા
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
ગુજરાતમાં પાલિકા-પંચાયતની ચૂંટણીમાં પ્રચાર ચાલી રહ્યો છે. ટિકિટ ન મળતાં કેટલીય પાલિકા-પંચાયતમાં ભાજપના બળવાખોરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે જેના પગલે ભાજપ એક્શન મોડમાં આવ્યુ છે. કમલમથી આદેશ છૂટતાં જ પક્ષવિરોધીઓને હાંકી કાઢવામાં આવ્યા છે.
ગુજરાતમાં ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસિમાએ છે. ટિકિટ ન મળતાં ભાજપમાં અસંતોષનો ચરુ ઊકળ્યો છે. પાલિકા-પંચાયતની ચૂંટણીમાં ભાજપના અસંતુષ્ટોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ઘણાં ઠેકાણે તો કોંગ્રેસ અને આપનો સાથ કરી ચૂંટણીમાં ઝુકાવ્યુ છે. આ જોતાં પરિસ્થિતીને પાલિકા-પંચાયતમાં ભાજપના ઉમેદવારોની સામે ભાજપના અસંતુષ્ટો ચૂંટણી મેદાને છે. રાજકીય સ્થિતી બેકાબુ બનતાં જ પ્રદેશ ભાજપ નેતાગીરીએ બળવાખોરો પર કાર્યવાહી કરવા નક્કી કર્યુ હતું. કમલમથી આદેશ છૂટતાં જ જિલ્લા પ્રમુખોએ બળવાખોરો સામે કાર્યવાહી કરવાનું શરૂ કર્યુ છે. દાહોદમાં ભાજપના 18 હોદ્દેદારોને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયા હતાં. આ ઉપરાંત ખેડા જિલ્લામાં મહેમદાવાદ-ચકલાસીના કુલ 34 નેતાઓને પક્ષમાંથી હાંકી કઢાયા હતાં. જૂનાગઢમાંથી પણ 10 હોદ્દેદારોને ઘરનો રસ્તો દેખાડી દેવાયો હતો. આણંદ અને ધંધુકામાંથી કુલ 4 નેતાઓને પક્ષમાંથી હાંકી કાઢવા આદેશ કરાયો હતો. આમ કુલ મળીને 60થી વધુ ભાજપના હોદ્દેદારો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ પાલિકા-પંચાયતની ચૂંટણીમાં ભાજપમાં આંતરિક ઘુઘવાટ ચાલી રહ્યો છે તે જોતાં આગામી દિવસોમાં વધુ બળવાખોરો સામે કાર્યવાહી થાય તેવી શક્યતા જોવાઈ રહી છે. પ્રદેશ ભાજપ નેતાગીરી અસંતુષ્ટો પર નજર રાખી રહી છે.
જામજોધપુર-કાલાવડ અને ધ્રોલ પાલિકાની ચૂંટણીમાં ભાજપમાંથી બળવો કરીને ચૂંટણી લડનારા 7 કાર્યકર સસ્પેન્ડ
જામનગર જિલ્લાની ધ્રોલ, જામજોધપુર અને કાલાવડ નગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપની સામે ઉમેદવારી કરનાર પક્ષના 7 કાર્યકરો વિરૂદ્ધ જિલ્લા ભાજપ દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા છે. આ તમામને છ વર્ષ માટે પાર્ટીના પ્રાથમિક સભ્યેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં જામનગર જિલ્લામાં જામજોધપુર, કાલાવડ અને ધ્રોલ નગર પાલિકાઓની સામાન્ય ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના આદેશની વિરુદ્ધ જઈ, પક્ષના અધિકૃત ઉમેદવાર સામે જે કાર્યકરોએ ઉમેદવારી નોંધાવેલી છે, તેઓની સામે પ્રદેશ સંગઠનની સુચના અનુસાર આકરા પગલા લીધા છે. ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાએ આવા તમામ 7 કાર્યકરોને આગામી છ વર્ષ માટે પક્ષના પ્રાથમિક સભ્ય સહિત તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ કરાયેલા સભ્યોમાં (1) કાલાવડ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર હરિશચંદ્રસિંહ જાડેજા (2) એ.પી.એમ.સી. જામજોધપુરના રાજુભાઈ કાલરીયા (3) જામજોધપુર મહિલા મોરચાના પ્રમુખ ચંદ્રિકાબેન ખાંટ (4) વિરાભાઈ કટારા (5) જિલ્લા આર્થિક સેલના સહક્ધવીનર હિતેષ ભોજાણી (6) ધ્રોલના કાર્યકર્તા ચન્દ્રકાંતભાઈ વલેરા (7) અનુ.જાતી મોરચાના પૂર્વ પ્રમુખ લાલજીભાઈ વિંઝુડા છે.