– છેલ્લા એક દશકામાં જ 1.69 કરોડ વ્હીકલ્સનો વધારો
– દાયકામાં વસતીવધારો 14 ટકા, વાહનોની સંખ્યામાં વૃદ્ધિ 122 ટકા
- Advertisement -
ગુજરાતના માર્ગો પર વાહનોનો કાફલો તથા રાજયભરમાં ટ્રાફિક સમસ્યાનું કારણ વાહનોની સંખ્યા છે. ગુજરાતમાં દર બીજી વ્યક્તિ પાસે પોતાનું ખાનગી વાહન છે. અર્થાત કુલ વસતીના અર્ધાઅર્ધ લોકો વાહન ધરાવે છે.
ગુજરાતમાં 2011ની વસતી ગણતરીના અંદાજ પ્રમાણે 31 માર્ચે વસતી 6.04 કરોડ હતી તેની સામે રાજયમાં વાહનોની સંખ્યા 3.07 કરોડ છે. છેલ્લા દસ વર્ષમાં વાહનોની સંખ્યામાં 12.2 ટકાનો વધારો થયો છે જયારે વસતીવધારો 14 ટકાનાં છે.
લોકોના બદલાયેલા જીવનધોરણ તથા ખર્ચ ક્ષમતામાં વધારાને કારણે છેલ્લા એક દાયકામાં ગુજરાતમાં 1.39 કરોડ વાહનો ઉમેરાયા છે. જોકે, સામાજીક આર્થિક સમીક્ષા રીપોર્ટ પ્રમાણે ગુજરાતની વસતી 2011-12માં 6.09 કરોડ હતી અને 2021-22 સુધીમાં 86 લાખ વધીને 6.95 કરોડ થવાનો અંદાજ મુકાયો છે.
- Advertisement -
અમદાવાદને લાગેવળગે છે ત્યાં સુધી દર વર્ષે 1.2 લાખ બાળકોનો જન્મ થાય છે. અર્થાત આટલો વસતી વધારો થાય છે તેની સામે દર વર્ષે નવા 2.47 લાખ વાહનો ઉમેરાય છે.
નિષ્ણાંતોના કહેવા પ્રમાણે સરકારી પરિવહન સેવા નબળી અને ઓછી હોવાને કારણે ખાનગી વાહનનો ટ્રેન્ડ છે. શહેરોમાં છેવાડાના વિસ્તારો સુધી બસ કનેકટીવીટી નથી એટલું જ નહી. ગામડાઓમાં બસ ફ્રીકવન્સી ઓછી છે. આ સ્થિતિમાં લોકોએ નાછુટકે ખાનગી વાહનોનો જ ઉપયોગ કરવો પડે છે.
રાજય સરકારના એક સીનીયર અધિકારીના કહેવા પ્રમાણે 7000 જેટલા ગામડાઓમાં આખા દિવસમાં માંડ એક કે બે દિવસ સરકારી બસ આવતી હોય છે એટલે ફરજીયાત ખાનગીવાહન અથવા અન્ય પરિવહન સુવિધાનો આશરો લેવો પડે છે. આ જ રીતે શહેરોમાં પણ 10-15 મીનીટે બસ મળે છે તેટલી વારમાં તો 6 કિલોમીટર સુધીનું અંતર કપાય જાય એટલે રાહ જોવાના બદલે લોકો ખાનગી વાહન વાપરવાનું જ પસંદ કરે છે.
અમદાવાદ-રાજકોટ જેવા મોટા શહેરોમાં બીઆરટીએસ-સીટી બસનું નેટવર્ક હોવા છતાં લોકોને યોગ્ય કનેકટીવીટી મળતી ન હોવાથી ઉપયોગ ઓછો છે. ટ્રાફિક ક્ષેત્રના નિષ્ણાંત અમીત ખત્રીના કહેવા પ્રમાણે ગુજરાત ઔદ્યોગીક અને સમૃદ્ધ રાજય છે. ગ્રામ્ય ભાગોમાં ફેકટરીઓ છે. માલિક-કર્મચારીઓ આવવા-જવામાં ખાનગી વાહનો જ વાપરે છે. કોર્પોરેટ કંપનીઓ પણ પરિવહન વ્યવસ્થા કરતી હોય છે.
રાજકોટ સહિતના મહાનગરોમાં લોકોની જરૂરિયાત મુજબનું પબ્લીક ટ્રાન્સપોર્ટ નથી
ટ્રાફિક સલાહકાર સમિતિના સભ્યએ એમ કહ્યું કે, રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા જેવા મોટા શહેરોમાં જાહેર પરિવહન લોકોની જરૂરિયાત પ્રમાણે નથી. અમદાવાદની વાત કરવામાં આવે તો સેટેલાઈટની વ્યક્તિએ મેટ્રોમાં જવુ હોય તો કોઈ કનેકટીવીટી નથી અને બે વખત વાહન બદલવા પડે તેના બદલે તે ખાનગી વાહન જ પસંદ કરે છે. માત્ર બીઆરટીએસ કે મેટ્રોની સુવિધાથી લોકો પબ્લીક ટ્રાન્સપોર્ટ તરફ આકર્ષાય ન શકે.
ધો.10 કે 12 પાસ કરતા જ બાળકોને ટુ-વ્હીલર અપાવવાનો ટ્રેન્ડ પણ જવાબદાર
ગુજરાત સમૃદ્ધ રાજય તો છે જ. લોકોની ખર્ચ કરવાની ક્ષમતામાં પણ નોંધપાત્ર વૃદ્ધિ છે. વાહનોની વધતી સંખ્યા પાછળ બાળકોને ટુ વ્હીલર લઈ દેવાનો ટ્રેન્ડ પણ જવાબદાર છે. બાળક ધો.10 કે 12 પાસ કરી લ્યે તે સાથે જ માતાપિતા-વાલીઓ તેને ટુ-વ્હીલર અપાવી દેતા હોય છે. સગાસંબંધીઓ-મિત્રોના બાળકો પાસે વાહનો જોઈને પોતાના બાળકોને પણ અપાવી દયે છે.



