ખાસ-ખબર સંવાદદાતા
મોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા વીજ ચેકિંગ કામગીરી અર્થે વાંકાનેર વિભાગીય કચેરી હેઠળનાં વાંકાનેર તાલુકાના જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારમાં આવેલ રહેણાંક, મરઘા ઉછેર કેન્દ્ર અને અન્ય વાણીજ્ય હેતુના વિજજોડાણોમાં વીજચોરીનું પ્રમાણ વધારે હોય જામનગર, ભુજ, અંજાર તથા મોરબી જીલ્લાની વિવિધ વિજીલન્સ ટીમોને સામેલ કરી વીજ ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું જેમાં કુલ 17 ટીમો દ્વારા રહેણાંકનાં 27 વીજ જોડાણો ચેક કરવામાં 4 કનેક્શનોમાં ગેરરીતી હોવાનું માલુમ પડતા અંદાજે રૂ. 1.05 લાખ તેમજ વાણીજ્ય હેતુના 51 વીજ જોડાણો ચેક કરવામાં આવતા 8 કનેક્શનોમાં ગેરરીતી હોવાનું માલુમ પડતા અંદાજે 20.60 લાખનાં ગેરરીતી અંગેના બીલો ફટકારવામાં આવ્યાં હતા.
આમ, વાંકાનેર પંથકના રહેણાક અને વાણિજ્યના કુલ 12 વીજ કનેક્શનોમાં ગેરરીતી હોવાનું માલુમ પડતા અંદાજે રૂ. 21.65 લાખનાં ગેરરીતી અંગેના બીલો ફટકારવામાં આવ્યા હતા. મોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા વધુમાં જણાવવામાં આવતું હતું કે, વાંકાનેર વિભાગીય કચેરી હેઠળનાં શહેર, ગ્રામ્ય-1 અને ગ્રામ્ય-2 પેટા વિભાગીય કચેરી હેઠળનાં રહેણાંક, મરઘા ઉછેર કેન્દ્ર, અન્ય વાણીજ્ય હેતુ તથા ખેતીવાડીના વિજજોડાણોમાં વીજ ચોરીનું પ્રમાણ વધારે હોય ભવિષ્યમાં પણ આવી જ રીતે વીજ ચેકિંગ ડ્રાઈવનું આયોજન સમયાંતરે કરવામાં આવશે.