વાલકેશ્ર્વર સોસાયટીમાં લૂંટ વિથ મર્ડરને અંજામ આપનાર આરોપીની શોધખોળ
હત્યાનો ભોગ બનનારના ભાઈએ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં લૂંટ વિથ મર્ડરની ઘટના પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી જવા પામી છે વાલ્કેશ્ર્વર સોસાયટીના શ્રીનગરમાં રહેતા 70 વર્ષીય વૃધ્ધ બરકતભાઇ લાખાણીએ હાથની આંગળીમાં પહેરેલ 8 સોનાની વીંટી, લક્કી, ઘડિયાળ સહિતના દાગીના લૂંટી ગળું કાપી કરપીણ હત્યા કરી નાખવામાં આવતા રાત્રે ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવા, ભક્તિનગર પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા, ક્રાઈમ બ્રાંચ, એલસીબીની ટીમો દોડી ગઈ હતી અને મૃતકના ભાઈની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં દૂધની ડેરી સામે અર્શ એપાર્ટમેન્ટમાં રહેતા અને નિવૃત જીવન જીવતા રમજાનભાઇ ગુલામહુશેન લાખાણી ઉ.67એ તેના ભાઈ બરકતભાઈની હત્યા કરી દાગીના લૂંટી લેવા અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે અગાઉ હું થોરાળાની બકાલા માર્કેટ ચોકમાં ફુટનો વેપાર ધંધો કરતો હતો અમે પાંચ ભાઇઓ તથા અમારે ત્રણ બહેનો છે. જેમાં સૌથી મોટા ભાઇ પ્યારઅલીભાઇ જેઓ લાલપુર રહેતા હતા અને વીસેક વર્ષ પહેલા અવસાન પામેલ છે તેનાથી નાના હાકમભાઇ જેઓ રાણાવાવ રહેતા હતા અને આશરે ત્રણેક વર્ષ પહેલા અવસાન પામેલ છે. તેનાથી નાના કરીમભાઇ તેઓ પણ પંદરેક વર્ષ અવસાન પામેલ છે. તેનાથી નાના બરકતભાઇ ગુલામહુશેનભાઇ લાખાણી જેઓ વાલ્કેશ્ર્વર સોસાયટી મેઇન રોડ ઉપર આવેલ શ્રીનગરમાં એકલા રહેતા હતા તેમના પત્ની ઝરીનાબેન ઘણા વર્ષો પહેલા અવસાન પામેલ હતા.બરકતભાઈનો દિકરો ઇકબાલ જે તેના પરીવાર સાથે આફ્રીકાના લુમ્બાસામાં રહે છે અને સૌથી નાનો હું છું. મારે ત્રણ બહેનો છે જેમાં ઝરીનાબેન તથા રોશનબેન અવસાન પામેલ છે તથા નાના રસીદાબેન જે અહી રાજકોટમાં તેના પરીવાર સાથે રહે છે. ગઇ કાલ તા.6/6ના રાત્રીના સાડા આઠ પોણા નવેક વાગ્યાના અરસામાં હું મારા ઘરે હતો.
ત્યારે મને મારા ભત્રીજા રાજેશભાઇ પ્યારઅલીભાઇ લાખાણીનો ફોન આવેલ અને મને વાત કરેલ કે, બરકત કાકા તેના ઘરે પડી ગયેલ છે. જેથી આપણે જવુ પડશે. આમ વાત થતા હું સીધો મારા ઘરેથી શ્રીનગર શેરી નં.3 માં મારા મોટાભાઇ બરકતભાઇના રોહીત નામના મકાને ગયેલ. ત્યા આજુબાજુમાં રહેતા માણસો તથા અમારા ખોજા સમાજના ઘણા બધા માણસો ભેગા થયેલ હતા ત્યારબાદ હું મારા ભાઇ બરકતભાઇના ઘરની અંદર ગયેલ અને જોયેલ તો મારાભાઇ ઘરમાં હોલમાં સોફાની બાજુમાં લોહી લોહાણ હાલતમાં પડેલ હતા. ત્યા નીચે ઘણુ બધુ લોહી નીકળેલ હતુ. જેથી મેં ત્યા જોયેલ તો મારા ભાઇ બરકતભાઇને ગળામાં વચ્ચેના ભાગે તથા પેટમાં જમણી બાજુ તથા વાસામાં ડાબી બાજુ એમ કોઇ છરી જેવા તીક્ષ્ણ હથીયારથી ઘા મારેલ હોય તેવુ ત્યા જોવામાં આવેલ હતુ. બરકતભાઇ બન્ને હાથોની આઠેય આંગળીઓમાં સોનાની વીટીઓ પહેરતા હતા તથા હાથમાં ઘડીયાળ તથા લક્કી પહેરતા હતા તે જોવામાં આવેલ ન હતી આમ આ મારા ભાઇ બરકતભાઇ ગુલામહુશેન લાખાણી ઉ.70 એકલા રહેતા હોય તેના ઘરમાં કોઇ અજાણ્યા વ્યકિતએ રાત્રીના સાડા આઠેક વાગ્યા પહેલા કોઇપણ સમયે પ્રવેશ કરી બરકતભાઇને ગળામાં વચ્ચેના ભાગે તથા પેટમાં જમણી બાજુ તથા વાસામાં ડાબી બાજુ એમ કોઇ છરી જેવા તીક્ષ્ણ હથીયારથી માર મારી ગંભીર ઇજાઓ કરી તેનું મોત નીપજાવેલ હતું ફરિયાદ પરથી ભક્તિનગર પીઆઇ એમ.એમ.સરવૈયાએ બીએનએસ કલમ 103(1), 332(ક), 223 તથા જી.પી.એકટ કલમ 135 મુજબ ગુનો દાખલ કરી આરોપીઓની સીસીટીવી આધારે શોધખોળ હાથ ધરી હતી.