ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભૂકંપના આંચકાઓ યથાવત, કચ્છમાં સવારે 10 વાગ્યા આસપાસ તો અમરેલીમાં મોડીરાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભૂકંપના આંચકાઓ યથાવત છે. જેમાં ખાસ કરીને કચ્છ અને અમરેલીમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. વાત જાણે એમ છે કે, આજે સવારે કચ્છમાં ફરી એકવાર ધરતીકંપ આવ્યો હતો. નોંધનીય છે કે, આ અગાઉ ગઈકાલે મોડીરાત્રે અમરેલી પંથકમાં પણ ધરતી ધ્રુજી હતી. મહત્વનું છે કે, ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો પોતપોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા.
- Advertisement -
કચ્છની ધરા ફરી ધ્રુજી
કચ્છમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. માહિતી મુજબ આજે સવારે 10 વાગ્યા આસપાસ કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.8 નોંધાઈ છે. આ સાથે ભૂકંપનું કેન્દ્રબિંદુ લખપતથી 62 કિલોમીટર દૂર નોંધાયું છે. જોકે આ આંચકાથી હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
અમરેલીના ભૂકંપના આંચકાના CCTV આવ્યા સામે
છેલ્લા ઘણાં સમયથી અમરેલી અને સાવરકુંડલા પંથકમાં ભૂકંપના હળવા આંચકા આવતા રહે છે. જોકે હવે અમરેલીના મીતીયાળામાં ગઈકાલે મધરાત્રે આવેલા ભૂકંપના CCTV સામે આવ્યા છે. ગઈકાલે રાત્રે આવેલ ભૂકંપની તીવ્રતા રિક્ટેર સ્કેલ પર 3.3ની નોંધાઈ હતી. આ તરફ હવે ખાંભાના વાંકિયામાં ભૂકંપના આંચકાના CCTV વાયરલ થઈ રહ્યા છે. વાંકીયાના રહેણાંક વિસ્તારમાં ભૂકંપના CCTV વાયરલ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
અમરેલીના મીતીયાળામાં મધરાત્રે ભૂકંપ
અમરેલીના મીતીયાળામાં ફરી ભૂકંપનો આંચકો આવ્યો છે. મધરાત્રે 1.42 વાગ્યે આવેલા ભૂકંપની ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે પુષ્ટિ કરી છે. મહત્વનું છે કે, અમરેલી પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી ભૂકંપના આંચકાઓ સતત વધી રહ્યા છે. જોકે રાત્રિના સમયે અમરેલીના સાવરકુંડલાના મીતીયાળામાં આવેલા ભૂકંપની રિક્ટેર સ્કેલ પર 3.3ની તીવ્રતા નોંધાઈ છે. આ સાથે મીતીયાળા અને સાકરપરાની વચ્ચે ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે.
- Advertisement -
અનેક ગામોમાં અનુભવાયા ભૂકંપના આંચકા
અમરેલીના મીતીયાળામાં મધરાત્રે આવેલા ભૂકંપની અસર આસપાસના ગામોમાં થઈ હતી. વિગતો મુજબ પંથકના મીતીયાળા, સાકરપરા, ધજડી, ખાંભાના ભાડ, વાંકીયામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રાત્રિના 1.42 મિનિટે ધરતીકંપનો આંચકો આવ્યો હોવાની ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે પુષ્ટિ કરી છે.