જૂનાગઢ યાર્ડના વેપારીને 1.59 કરોડનો ધુંબો મારતા પિતા-પુત્રની અટક
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
જૂનાગઢ યાર્ડમાં વેપારીઓ પાસેથી માલ લઈ જઈ 1.59 કરોડનો પૂંબો મારનાર વેપારી પિતા-પુત્રને પોલીસે પકડી પૂછપરછ કરતા ધંધામાં મંદી એને વ્યાજના વિષચક્રમાં ફસાઈ જતા વેપારીઓના પૈસા ચુકવવાના બદલે ધુંબો માર્યાનું જણાવ્યું હતું. ગત જૂન માસમાં વેપારીએ પોણા બે કરોડના સવા ત્રણ કરોડ વસુલ કરનાર વ્યાજખોર સામે ફરિયાદ પણ નોંધાવી હતી. હાલ પોલીસે આ બાબતે વધુ પૂછપરછ કરી રહી છે.
- Advertisement -
શહેરના જોષીપરામાં રહેતા અને યાર્ડમાં પેઢી ધરાવતા તેમજ કમિશન એજન્ટ તરીકે કામ કરતા ડેનીશ નરેશભાઈ પટોળીયા તેમજ અન્ય 59 વેપારીઓ અને કમિશન એજન્ટ પાસેથી જસ્મીન મનસુખ બોરડ અને મનસુખ દેવશી બોરડે કુલ 1.59 કરોડની કિંમતના ધાણા લઈ જઈ પૈસા આપ્યા ન હતા. વેપારીઓની ઉઘરાણી છતાં આ વેપારી પિતા-પુત્રએ માત્ર વાયદા કર્યા હતા. ગઈકાલે આ મામલે કરિયાદ થઈ હતી. આજે એ ડીવીઝન પોલીસે જસ્મીન મનસુખ બોરડ અને તેના પિતા મનસુખ દેવશી બોરડને પકડી લઈ પૂછપરછ કરી હતી. પ્રાથમિક પૂછપરછ દરમ્યાન જસ્મીન તથા તેના પિતાએ જણાવ્યું હતું કે, ધંધામાં મંદી આવતા પૈસાની જરૂરીયાત હોવાથી વ્યાજે પૈસા લીધા હતા તે વ્યાજની ચુકવણી કરવામાં ઉંડા ઉતરતા ગયા હતા. વેપારીઓ પાસેથી માલ લઈ અન્ય સ્થળે વેચી જે રકમ આવતી તે વ્યાજમાં જ જતી હતી. આ અંગે ડીવાયએસપી હિતેષ ધાંધલિયાએ જણાવ્યું હતું કે, જસ્મીન બોરડ ગત જૂન માસમાં કાંતિ બોરડ તેના પરિવાર સામે પોણા બે કરોડના સવા ત્રણ કરોડ વસુલ કર્યા છતાં વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરી ખોટા કેસમાં ફસાવી દેવા અને જેલ બહાર નહી નીકળવા દેવા ધમકી આપ્યાની ફરિયાદ કરી હતી. હાલની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન તેઓએ બે કરોડના વ્યાજ સાથે છ કરોડ રૂપીયા ચુકવ્યા હોવાની વાત કરે છે. આ અંગે વેપારી પિતા-પુત્રની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ વેપારમાં નુકસાન જતા પૈસાની જરૂરીયાત પુરી કરવા પિતા-પુત્રએ મોટી રકમ વ્યાજે લીધી હતી અને તેની ચુકવણીમાં વધુ ઊંડા ઉતરતા ગયા હતા. બાદમાં વેપારીઓ પાસેથી માલ લઈ તેઓને ધૂંબો માર્યો હતો.



