રાજયમાં વધુ ને વધુ વૃક્ષોનું વાવેતર કરી “ગ્રીન ગુજરાત” બનાવવાના સંકલ્પમાં રાજકોટ શહેર પણ સહભાગી બને: કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા
પર્યાવરણનું જતન કરવા વૃક્ષોનું વાવેતર કરી જન્મદિવસની ઉજવણી કરીએ: મેયર ડૉ.પ્રદિપ ડવ
- Advertisement -
તા.૫ જુન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાજય સરકાર દ્વારા પર્યાવરણની સુરક્ષા કરવા અને રાજ્યને હરીયાળું બનાવવા “ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત”ના સુત્ર સાથે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે આજ તા.૫ જુન વિશ્વ પર્યાવરણ વોર્ડ નં.૩ મહર્ષિ અરવિંદ ટાઉનશીપ, સાધુ વાસવાની કુંજ રોડના બગીચામાં સવારે ૧૦:૦૦ કલાકે રાજયના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી જયેશભાઈ રાદડિયાના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડૉ.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેલ.
આ પ્રસંગે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, રાજયના વન વિભાગના ડી.સી.એફ.ઓ. અશ્વિનભાઈ પરમાર, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, ડે. કમિશનર સિંઘ, નંદાણી, પ્રજાપતિ, બાગ બગીચા કમિટીના ચેરમેન અનિતાબેન ગોસ્વામી, વોર્ડ નં.૩ના કોર્પોરેટર કુસુમબેન ટેકવાણી, અલ્પનાબેન દવે, નરેન્દ્રસિંહ જાડેજા (ટીકુભા), બાબભાઈ ઉઘરેજા, પ્રભારી મનુભાઈ વઘાસીયા, પ્રમુખ હેમુભાઈ પરમાર, મહામંત્રી રાજુભાઈ દરીયાનાણી, હિતેશભાઈ રાવલ તથા સંબંધક અધિકારીશ્રીઓ તેમજ આ વિસ્તારના ભાઈ-બહેનો ઉપસ્થિત રહેલ.
રાજયના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી જયેશભાઈ રાદડિયાએ જણાવેલ કે, રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે રાજયમાં વધુ ને વધુ વૃક્ષોનું વાવેતર કરી “ગ્રીન ગુજરાત” બનાવવાના સંકલ્પમાં રાજકોટ શહેર પણ સહભાગી બને તેવી અપીલ કરું છું. તેમણે કહ્યું હતું કે, કોરોના મહામારી દરમ્યાન ઓક્સિજનનું મહત્વ અનુભવ્યું છે ત્યારે રાજયમાં વધુ ને વધુ વૃક્ષો વાવીએ અને તેનું જતન કરીએ તે જરૂરી છે. તાજેતરમાં વાવાઝોડાના કારણે ૪ જીલ્લાઓમાં અસંખ્ય વૃક્ષો ધરાશયી થઇ ગયા હતા. આ સ્થળે રાજય સરકાર દ્વારા વૃક્ષો વાવવાનો તેમજ જંગલ વિસ્તારની બહાર પણ વૃક્ષો વાવવાનો નિર્ધાર કરેલ છે. છેલ્લા કેટલાક વર્ષોથી કલાઈમેટ ચેન્જની અસર જોઈ રહ્યા છીએ. ભૂતકાળમાં આવી અસર જોવા મળતી ન હતી કેમ કે, ત્યારે વૃક્ષોની સંખ્યા વધુ હતી. તેવું આપણા વડીલો કહેતા હતા. જેથી વર્તમાન સંજોગોમાં મહત્તમ વૃક્ષો વાવી પર્યાવરણનું જતન કરવાની આપણા સૌની ફરજ છે, તેમ અંતમાં મંત્રીએ જણાવેલ.
- Advertisement -
આ પ્રસંગે મેયર ડૉ.પ્રદિપ ડવએ જણાવેલ કે, આજે વિશ્વ પર્યાવરણ દિન ઉજવવામાં આવી રહેલ છે. સમગ્ર વિશ્વ છેલ્લા કેટલાક વર્ષોથી જળવાયું પરિવર્તન (ક્લાઈમેટ ચેન્જ)ની વિપરીત અસરો અનુભવી રહ્યું છે. જેના પગલે વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ ક્રમશ: ઘટે અને શુદ્ધ ઓક્સિજનનું પ્રમાણ ઉત્તરોતર વધે, તેવી સ્થિતિનું નિર્માણ કરવા મહત્તમ વૃક્ષારોપણ થાય તેવી લોકોને અપીલ કરું છું. વિશેષમાં, મેયર ડૉ.પ્રદિપ ડવએ જણાવેલ કે, પર્યાવરણનું જતન કરવા વૃક્ષોનું વાવેતર કરી જન્મદિવસની ઉજવણી કરીએ તેમજ વડીલોની યાદમાં પણ વૃક્ષો વાવીએ. તેમજ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ શહેરને ૪૭ એકર જેટલી વિશાળ જગ્યામાં “રામવન”ની ભેટ આપેલ છે. જ્યાં ૭૦ હજાર જેટલા વૃક્ષો વાવવાનું આયોજન છે. આ “રામવન”માં આયુર્વેદીક વૃક્ષો, પક્ષીઓને ખોરાક મળી રહે તે પ્રકારના વૃક્ષો વાવવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ૧૫૦ જેટલા બગીચાઓ બનાવવામાં આવેલ છે અને અગામી સમયમાં ૬ ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત આગામી ચોમાસા દરમ્યાન શહેરમાં વધુ ને વધુ વૃક્ષોનું વાવતેર થાય તેવું આયોજન હાથ ધરેલ છે. ચાલો આજે વિશ્વ પર્યાવરણ દિવસે પ્રકૃતિનું જતન કરવા સંકલ્પ લઈએ તેમ અંતમાં મેયરએ જણાવેલ.
કાર્યક્રમની શરૂઆતમાં મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમજ શરૂઆતમાં મ્યુનિસિપલ કમિશનર અને વન વિભાગના અધિકારી અશ્વિનભાઈ પરમાર દ્વારા મંત્રીનું પુસ્તકથી સ્વાગત કર્યું અને બાગ બગીચા કમિટીના ચેરમેન અનિતાબેન ગોસ્વામી દ્વારા અન્ય મહાનુભાવોનું પુસ્તકથી સ્વાગત કરેલ જયારે કાર્યક્રમના અંતમાં વન વિભાગના અધિકારી અશ્વિનભાઈ પરમાર દ્વારા આભારવિધિ કરવામાં આવેલ. ત્યારબાદ તમામ મહાનુભાવોના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ. તેમજ તુલસી તથા અન્ય રોપાઓનું વિતરણ કરવામાં આવેલ છે.