ખાસ-ખબર સંવાદદાતા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર સ્મારક સમિતિ – મોરબી શાખા દ્વારા મોરબી જિલ્લામાં સેવા કાર્ય દ્વારા સુવાસ ફેલાવતી જુદી જુદી સંસ્થા તથા વ્યક્તિગત સેવા કરતા કાર્યકરોનું સેવા સંસ્થા સ્નેહમિલન ગત તારીખ 18 ડિસેમ્બરના રોજ ખોખરા હનુમાન, હરિહર ધામ ખાતે યોજવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઋષિ કુમારો દ્વારા મંત્રોચ્ચાર કરીને દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને આર્ય સમાજ ટંકારા દ્વારા દરેક વ્યક્તિને મહર્ષિ દયાનંદજીના જીવન ચરિત્રનું પુસ્તક ભેટમાં આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત સંઘચાલક મુકેશભાઈ મલકાણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ સેવા સંસ્થાઓના સેવાકાર્યને બિરદાવીને સમાજ ઉત્થાન માટે સતત કાર્યરત રહેવાની હાકલ કરી હતી.
રાજકોટ વિભાગના સહ કાર્યવાહ વિપુલભાઈ અઘારાએ વ્યક્તિગત સેવાને પણ મહત્વ આપી કાર્યકરોને સતત સેવામય બની કાર્ય કરવા પ્રેરક ઉદબોધન આપ્યું હતું. મહામંડલેશ્વર 1008 પુજ્ય કનકેશ્વરી દેવીજીએ આ પ્રસંગે પૂર્ણ સમય ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જે જે સેવાકાર્ય થાય છે તે ખૂબ જ સારી રીતે સમાજના બધા વર્ગ માટે થાય છે તે વંદનીય છે.
ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી દ્વારા સ્નેહમિલન યોજાયુ



