જંગલેશ્ર્વરમાં ઈદ-દિવાળી જેવા માહોલના સાચા શિલ્પી
હાઈકોર્ટે ડિમોલિશન નોટિસો રદ્દ કરી હજારો પરિવારોના આશ્રય બચાવ્યા
- Advertisement -
જંગલેશ્ર્વરના રહીશોને મોટી રાહત, પુન:વસવાટનો માર્ગ ખુલ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના જંગલેશ્ર્વર વિસ્તારોમાં 6 દાયકાથી આશરે 4,000 પરિવાર વસવાટ કરી રહ્યા છે. પેઢીઓથી અહીં રહેતા 20,000થી વધુ નાગરિકોના રહેણાંક અને અસ્તિત્વ પર જ્યારે તંત્ર દ્વારા તોડફોડની કાર્યવાહીનું જોખમ ઊભું કરવામાં આવ્યું હતું, ત્યારે રહીશોમાં ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો હતો. આ બાબતે સ્થાનિકોએ સરકાર અને વહીવટી તંત્રને રજૂઆત કરી હતી કે, દાયકાઓ જૂના આ વસવાટને માન્યતા આપી વિસ્તારોને કાયદેસર કરવામાં આવે અને અહીંના નાગરિકોને યોગ્ય ન્યાય આપી તેમના ઘર બચાવવામાં આવે. અહીં વસવાટ કરતા મોટાભાગના પરિવારો અત્યંત આર્થિક પછાત વર્ગના છે, જેઓ દિવસ-રાત કાળી મજૂરી કરીને માંડ-માંડ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ લોકો છૂટક મજૂરી, સફાઈ કામ કે નાની-મોટી નોકરીઓ કરીને પોતાનું અને પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. દાયકાઓની સખત મહેનત અને સંઘર્ષ બાદ તેઓએ પોતાના માથા પર એક નાનકડી છત ઉભી કરી છે, જે તેમના જીવનનો એકમાત્ર આધાર છે. જ્યારે ડિમોલિશનની નોટિસો આવી ત્યારે રહીશોમાં એવી લાગણી હતી કે વહીવટી તંત્ર માટે આ માત્ર ઈંટોના મકાન હોઈ શકે, પરંતુ વાસ્તવમાં આ ગરીબ પરિવારોના જીવનભરની કમાણી, તેમના સપનાઓ અને તેમના અસ્તિત્વનો આધાર હતો. આ વિસ્તારના ભૌગોલિક અને સામાજિક સંતુલન તરફ જોઈએ તો, અહીં 65% હિન્દુ પરિવારો અને 35% મુસ્લીમ પરિવારોના સહ-અસ્તિત્વ સાથેનું એક વિશિષ્ટ જનસંખ્યા માળખું વર્ષોથી જળવાયેલું છે.
કાનૂની મોરચે રહીશોએ જણાવ્યું હતું કે, તેઓ લાંબા સમયના કબ્જાને આધારે ’એડવર્સ પઝેશન’ થી માલિકી હક્ક ધરાવે છે. જ્યારે આ મામલે માલિકીનો વિવાદ હતો, ત્યારે ગુજરાત લેન્ડ રેવન્યુ કોડની કલમ 37(2) હેઠળ સક્ષમ ઓથોરીટી કે સિવિલ કોર્ટે નિર્ણય કરવાનો હોય છે. તેમ છતાં, મામલતદાર દ્વારા કલમ 61 હેઠળ તોડફોડની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જે કાયદાકીય રીતે અયોગ્ય હતી. આ બાબતે હાઇકોર્ટમાં વિવિધ પિટિશનો દ્વારા લડત આપવામાં આવી હતી. રહીશોએ માંગ કરી હતી કે જ્યાં સુધી માલિકી હક્કનો નિર્ણય ન આવે ત્યાં સુધી સરકારના 18/07/2013 ના પરિપત્ર મુજબ તેઓને પુન:વસન અને પુન:વિકાસ યોજના હેઠળ લાભ આપવામાં આવે. ભારતમાં ’સ્લમ એરિયાસ ઇમ્પ્રૂવમેન્ટ એન્ડ ક્લિયરન્સ એક્ટ, 1956’ તેમજ ’રાઇટ ટુ ફેઇર કોમ્પન્સેશન એક્ટ, 2013’ જેવા કાયદાઓ ગરીબોના આ હક્કોને મજબૂત ટેકો આપે છે.
અંતે, જંગલેશ્ર્વરના રહેવાસીઓએ લાંબા કબજાની રૂએ માલીકી મેળવવા દાવો સીવીલ કોર્ટ રાજકોટમાં કર્યો તેમજ મામલતદાર દ્વારા બાંધકામ, કબજો દુર કરવા આપવામાં આવેલી નોટીસ રેવન્યુ ટ્રીબ્યુનલમાં પડકારી તેમજ હાઇકોર્ટમાં પણ મમાલતદારે કરેલા હુકમો પડકારેલ અને સરકારની પુન:વસવાટ યોજના હેઠળ લાભ આપવાની દાદ માંગી હતી. જે પીટેશનમાં નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા બાંધકામ / કબજો દુર કરવાની આપવામાં નોટીસો રદ કરવામાં આવેલ છે તેમજ 90 દિવસમાં અપીલનો નિર્ણય કરવા હુકમ ફરમાવવામાં આવ્યો છે તેમજ સરકારની પુન:વસવાટ યોજના હેઠળ અરજદારોની રજુઆત સાંભળી નિર્ણય શકય તેટલો વહેલો કરવા હુકમો કર્યા છે. જંગલેશ્ર્વર નદી કાંઠાની આજુબાજુમાં આવેલ સોસાયટીના રહીશોમાં રાહતની લાગણી પ્રસરી ગઇ છે.
હાઈકોર્ટે આ સમગ્ર પ્રકરણની ગંભીરતા અને સંવેદનશીલતાથી ધ્યાને લઈ રહીશોની તરફેણમાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. નામદાર કોર્ટે મામલતદાર દ્વારા બજાવવામાં આવેલી ડિમોલિશનની તમામ નોટિસોને તત્કાલ પ્રભાવથી રદબાતલ ઠેરવી છે. આ કપરા અને અનિશ્ચિતતાભર્યા સમયમાં, જંગલેશ્ર્વરના આશરે 20,000 થી વધુ ગરીબ નાગરિકોના બંધારણીય હક્કોની રક્ષા માટે ડો. પુરુષોત્તમ પીપરીયા અને ખ્યાતનામ એડવોકેટ રવિ બી. ગોગીયાએ કોઈ પણ આર્થિક સ્વાર્થ વગર, સંપૂર્ણપણે ’વિનામૂલ્યે’ કાયદાકીય લડત આપી ધારદાર અને સચોટ પુરાવા અને માર્ગદર્શન કરીને માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ ઉપરાંત આ કાનૂની જંગમાં એડવોકેટ આનંદ બી. ગોગીયા, મુસ્કાન એ. ગોગીયા, ગૌરવ એ. ગોગીયા, નિખિલ એસ. ગોગીયા, કરણ ભાવનાણી, ચાર્મી રાવલ, હિરેન રૈયાણી, નિશિત સોરઠીયા, વિજય પીઠવા અને વૈશાલી ચાવડાએ પણ ધારદાર અને સચોટ દલીલો રજૂ કરી હતી. આ સમગ્ર લડતને સફળ બનાવવામાં મદદનીશ તરીકે હેમાંગી રાવલ અને મીત ફળદુએ પણ રાત-દિવસ એક કરીને પાયાનું યોગદાન આપ્યું હતું, જેના પરિણામે હજારો પરિવારોના માથા પરની છત સલામત રહી છે.
જંગલેશ્ર્વરના રહીશોનો આ વિજય એ માત્ર કાનૂની વિજય નથી, પરંતુ ન્યાયતંત્રમાં સામાન્ય જનતાના અતૂટ વિશ્વાસનો વિજય છે. વહીવટી તંત્રની એકપક્ષીય કાર્યવાહી સામે ન્યાયિક ઢાલ મળતા, 25,000થી વધુ લોકોના જીવનમાં ફરીથી આશાનો નવો સૂરજ ઉગ્યો છે. આ લડતે પ્રસ્થાપિત કર્યું છે કે જ્યારે કાયદાકીય જ્ઞાન અને નિ:સ્વાર્થ સેવાભાવનો સમન્વય થાય છે, ત્યારે સમાજના છેવાડાના માનવીના મૌલિક અધિકારોનું રક્ષણ ચોક્કસપણે થાય છે. ડો. પુરુષોત્તમ પીપરીયા અને એડવોકેટ રવિ બી. ગોગીયા તથા તેમની સમગ્ર ટીમે જે રીતે હજારો પરિવારોના અસ્તિત્વ માટે લડત આપી, તે આવનારા સમયમાં સમાન ન્યાય અને માનવીય ગરિમા માટેના સંઘર્ષમાં એક માર્ગદર્શક મિસાલ બની રહેશે. ન્યાયના આ ઐતિહાસિક ચુકાદા બાદ જંગલેશ્ર્વરના ખૂણેખૂણે ખુશીની લહેર વ્યાપી ગઈ છે અને સમગ્ર વિસ્તારમાં અત્યારે દિવાળી અને ઈદ જેવો સુખદ માહોલ છવાઈ ગયો છે.
આજે રહીશોના ચહેરા પર છવાયેલી નિરાંત અને આંખોમાં હર્ષના આંસુ ન્યાયતંત્ર પ્રત્યેનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. હિન્દુ-મુસ્લિમ ભાઈચારાના પ્રતીક સમાન આ વિસ્તારમાં લોકોએ એકબીજાના મોઢા મીઠા કરાવી, ફટાકડા ફોડી અને ગળે મળીને આ જીતની ઉજવણી કરી છે. જાણે કે વર્ષો પછી આ ગરીબ પરિવારોના આંગણે સાચી દિવાળી અને મુબારક ઈદ એકસાથે આવી હોય, તેવો ઉમંગ અને ઉત્સાહ દરેક ઘરની ઉંબરે જોવા મળી રહ્યો છે. આ મહાવિજયના સાચા શિલ્પી એવા ડો. પુરુષોત્તમ પીપરીયા અને ખ્યાતનામ એડવોકેટ રવિ બી. ગોગીયા આજે આ હજારો ગરીબ પરિવારો માટે ’માનવતાના મસીહા’ સાબિત થયા છે. આ બંને મહાનુભાવોએ જે રીતે કોઈપણ આર્થિક લાલચ વગર, દિવસ-રાત જોયા વિના ’વિનામૂલ્યે’ આ લડત લડી છે, તેણે સમાજમાં નિ:સ્વાર્થ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.



