PMJAY-MA યોજનાનો દુરુપયોગ : રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં ચાલતો ગોરખધંધો
સરકારી યોજાનાને હાથો બનાવી દર મહિને લાખોની આવક
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
ભારત સરકારની આયુષ્માન કાર્ડ – પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના ઘણા પરિવારો માટે વરદાન સાબિત થઈ છે. અફસોસની વાત એ છે કે, આ યોજનાનો ગેરલાભ કેટલાક ડૉક્ટર દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે. રાજકોટના લક્ષ્મીનગરમાં એક ડૉક્ટર મશરૂમ જેવી હરકત કરી ભારત સરકારની આયુષ્માન કાર્ડ – પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજનાનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. છેલ્લા કેટલાય મહિનાઓથી ડૉક્ટર દ્વારા ચાલી રહેલા આ કારસ્તાન પરથી હવે ધીમેધીમે પડદો ઉઠવાનો શરૂ થયો છે.
જાણવા મળતી વિગત અનુસાર શહેરના લક્ષ્મીનગરમાં આવેલી એક બેબીકેર ચિલ્ડ્રન હોસ્પિટલમાં મશરૂમ જેવા ડૉક્ટર દ્વારા ભારત સરકારની આયુષ્માન કાર્ડ – પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજનાનો ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો છે. ડૉક્ટર દ્વારા તાજા જન્મેલા બાળકો અને નવજાત શિશુના ખોટા રિપોર્ટ ઉભા કરી અહિત રીતે એડમિટ કરવામાં આવી રહ્યા છે. આ મામલામાં આરોગ્ય અધિકારીની સંડોવણી પણ હોઈ શકે એવું ચર્ચાઈ રહ્યું છે.
- Advertisement -
છેલ્લા એકાદ વર્ષથી અહિતકારી બેબીકેર ચિલ્ડ્રન હોસ્પિટલમાં ડૉક્ટર દ્વારા ચાલતી આ કૂપ્રવૃત્તિઓનો કેટલાય નવજાત શિશુ અને તેમના પરિવાર ભોગ બન્યા છે એટલું જ નહીં, ડૉક્ટર દ્વારા ચલાવવામાં આવતી આ કૂપ્રવૃત્તિને કારણે સરકારી તિજોરીને ભયંકર નુકશાન પહોચ્યું છે. મશરૂમ જેવા ડૉક્ટરની હોસ્પિટલમાં ચાલતી અહિતકારી પ્રવૃત્તિને ઉઘાડી પાડવા મામલે ટૂંકસમયમાં જાગૃત નાગરિક દ્વારા આરટીઆઈ પણ કરવામાં આવનાર છે.
ડૉક્ટર દ્વારા રિપોર્ટમાં ગરબડ કરી બાળકોને પેટીમાં રાખવાનું કાવતરું
બેબીકેર ચિલ્ડ્રન હોસ્પિટલના ડૉક્ટર દ્વારા તેમને ત્યાં જન્મતા તાજા બાળકો અને તપાસ માટે આવતા નવજાત શિશુના ફરજીયાત રિપોર્ટ કરાવવામાં આવે છે. આ રિપોર્ટ આવ્યા બાદ ડૉક્ટર દ્વારા ફોન પર તેમના આસિસ્ટન્ટને સૂચના આપવામાં આવે છે કે, જો રિપોર્ટમાં બાળકનો વજન નોર્મલ આવ્યો હોય તો ઓછો કરી દેવો, જો રિપોર્ટમાં કમળો ઓછો હોય તો વધારી દેવો.. અને આમ ડૉક્ટર દ્વારા રિપોર્ટમાં ઘાલમેલ કરી બાળકોને પેટીમાં રાખી સરકારી યોજના હેઠળ પૈસા કમાવવાનું કાવતરું કરવામાં આવી રહ્યું છે. બાળકોને પેટીમાં રાખવા બદલ ડૉક્ટર-હોસ્પિટલને આયુષ્માન કાર્ડ – પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના હેઠળ મળતા પૈસાનો આંકડો પણ મહિને લાખોમાં છે. આ કારસ્તાન છેલ્લા કેટલાક સમયથી સુવ્યવસ્થિત રીતે કરવામાં આવી રહ્યું છે પણ હવે હોસ્પિટલ સ્ટાફ અને દર્દીઓને મશરૂમ જેવા ડૉક્ટરની અહિતકારી હોસ્પિટલમાં ચાલતી કૂપ્રવૃત્તિની ગંધ આવી જતા પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા છે.