મંત્રી રાઘવજી પટેલના હસ્તે રાજકોટ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ
સામાજિક ડર છોડી ન્યૂડ કોલ સંબંધી બ્લેકમેઇલિંગ સામે પોલીસની મદદ મેળવવી
રાજકોટ, વિંછીયા અને આટકોટ ખાતે નિર્મિત આશરે 114 પોલીસ આવાસનું ઇ-લોકાર્પણ કરતા મંત્રી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે રાજકોટ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ તથા રામનાથપરા રાજકોટ, આટકોટ, વિંછીયા ખાતે નવનિર્મિત પોલીસ આવાસનું તકતી અનાવરણ દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મંત્રીઓ તેમજ મહાનુભાવોએ 4.41 કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન રાજકોટ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ તકે પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં સાયબર ક્રાઈમને પહોંચી વળવા માટે વધુ ટીમો અને વ્યવસ્થાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ટેકનોલોજીનો વ્યાપ જ્યારે વધી રહ્યો છે, ત્યારે સાયબર સંબંધી ગુનાઓનું પ્રમાણ વધતા તેના નિવારણ માટે રાજકોટ રેન્જ સાયબર પોલીસ સ્ટેશન થકી રાજકોટ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકાના નાગરિકોને સાયબર ક્રાઈમ સંબંધી ગુનામાં વધુ ઝડપી ન્યાય મળશે.
મંત્રીએ ઉમેર્યું હતું કે, હાલમાં ન્યુડ કોલ તેમજ ડિજિટલ અરેસ્ટ જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓથી લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, ત્યારે સી.બી.આઈ. કે પોલીસ જેવી કોઈપણ સંસ્થાઓ ક્યારેય ડિજિટલ અરેસ્ટ કરતી નથી. જે અંગે લોકોએ સાવધ થઈ, આવી બનતી ઘટના સમયે શરમ અને સામાજિક ડર છોડી તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ, તેમજ કોઈપણ પ્રકારની રૂપિયાની લેવડ-દેવડ કરવી જોઈએ નહીં. અન્ય ફ્રોડના કિસ્સાઓ જેવા કે, લલચામણી જાહેરાતો આપતી લીંક અંગે સાવધ કરતાં મંત્રીશ્રીએ લોકોને આ પ્રકારની અજાણી લિંક પર ભરોસો ન કરવા તેમજ લીંક ના ખોલવા અને તેને શેર ન કરવા અનુરોધ કર્યો હતો. વિશેષમાં મંત્રીએ શહેરોની ટ્રાફિક સમસ્યાને લઈને ઉકેલ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, તમામ મહાનગરપાલિકાઓ સાથે મળીને લાંબા ગાળાના ટ્રાફિક મેનેજમેન્ટ વિશે આયોજન કરવામાં આવશે.
- Advertisement -
આ સાથે રામનાથપરા પોલીસ લાઈન ખાતે બી-કેટેગરીના 80 આવાસ, વિંછીયા ખાતે બી કેટેગરીના 32 તથા સી-કેટેગરીના 1 આવાસ તેમજ આટકોટ ખાતે સી-કેટેગરીના 1 આવાસ સહિત કુલ 114 પોલીસ આવાસનું લોકાર્પણ થતાં પોલીસ બેડામાં કામ કરતા પરિવારોને પણ સપનાનું ઘર મળશે તેમ હર્ષ વ્યક્ત કરતા શ્રી સંઘવીએ તમામ પરિવારજનોને અભિનંદન પાઠવ્યાં હતાં. આ ઉપરાંત રાજકોટ શહેરમાં હેલ્મેટ ફરજિયાત થવા અંગેના નિર્ણય વિશે મંત્રી સંઘવીએ વાત કરતા કહ્યું હતું કે, લોકોનું જીવન અમૂલ્ય છે, માત્ર દંડ ખાતર નહીં પરંતુ લોકો પોતાના જીવનને બચાવે અને સમાજને નુકસાન ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જ્યારે ઈ- લોકાર્પણ કરાયેલા રાજકોટ શહેરના રામનાથપરા પોલીસ લાઈન ખાતે બી કેટેગરીના 80 પોલીસ આવાસ રૂ.1288 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે વિંછીયા ખાતે બી કેટેગરીના 32 બ્લોક અને સી ટાઇપનું એક આવાસ રૂ. 4.19 કરોડ ખર્ચે નિર્માણ કરવામાં આવ્યા છે. આટકોટ ખાતે સી-કેટેગરીનું એક પોલીસ આવાસ રૂ. 27 લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. કાર્યક્રમના પ્રારંભે પોલીસ સ્ટેશન ખાતે મંત્રીઓને પોલીસ સલામી સાથે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.