વર્ષો પહેલાંની ઘટના છે. એક નામાંકિત રાજપુરુષ અંગત માલિકીની કારમાં બેસીને હાઇ વે પર જતા હતા. ડ્રાઇવરની સરતચૂકથી ટાંકીમાં ડીઝલ ખલાસ થઇ ગયું. ઉનાળાની બપોર. બળબળતા તાપમાં ડ્રાઇવર ડીઝલ શોધવા નીકળ્યો. ડ્રાઇવરને કોણ દાદ આપે? છેવટે સાદાં વસ્ત્રોમાં સજ્જ એ પ્રધાનશ્રી ખુદ નીચે ઊતર્યા. બાજુના ખેતરમાં એક ઝૂંપડી હતી. અત્યંત ગરીબ ખેડૂત પરિવાર હતો. કૂવામાંથી પાણી ખેંચવા માટે ડીઝલથી ચાલતી મોટર હતી. પ્રધાને ખેડૂતને વિનંતી કરી. પોતાની ઓળખ જણાવી નહીં. ગરીબ ખેડૂતે શરત મૂકી. ‘તમે અમારા મહેમાન છો. ચા-પાણી પીવા માટે હા પાડો તો જ ડીઝલ આપું.’ પ્રધાનશ્રીના પેટને અને કારના એન્જિનને બંનેને ઇંધણ મળી ગયું. ખેડૂતે ડીઝલના રૂપિયા પણ ન લીધા. ત્રીસેક મિનિટના એ સમયગાળામાં જે વાતચીત થઇ તેમાંથી પ્રધાનને તે ખેડૂતના પ્રશ્નો જાણવા મળ્યા. ગાંધીનગર પહોંચ્યા પછી તાકીદના આદેશો આપીને પ્રધાનશ્રીએ ખેડૂતનું ગીરવે મુકાયેલું ખેતર છોડાવી આપ્યું. કાચી ઝૂંપડીનાં સ્થાને પાકું મકાન કરાવી આપ્યું. બિયારણ અને ખાતરની વ્યવસ્થા પણ કરી આપી.
આ વાત જ્યારે જાહેર થઇ ત્યારે આજુબાજુના ખેડૂતો પોતાનાં નસીબને કોસવા લાગ્યા, ‘એ પ્રધાનની ગાડી અમારા ખેતર પાસે કેમ અટકીને ઊભી ન રહી ગઇ?’
- Advertisement -
આ પ્રકારની ઘટનાઓ આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ. શિકાર કરવા માટે નીકળેલો રાજા જંગલમાં ભૂલો પડી ગયો. ગરીબ આદિવાસીએ એને ભોજન જમાડ્યું. બીજા દિવસે રાજાએ તેને દરબારમાં બોલાવીને સન્માનિત કર્યો. એક હજાર સોનામહોરો આપી.
વિશ્વનો પ્રથમ ક્રમનો ધનિક મોર્નિંગ વોક કરવા નીકળ્યો હતો. બરફનાં તોફાનમાં સપડાઇ ગયો. અસહ્ય ટાઢથી બેભાન થઇ ગયો. ત્યાંથી પસાર થતો એક ગરીબ યુવાન તેને પોતાના ઘરે લઇ ગયો. છાતી પર બ્રાન્ડી ઘસી આપી. આગ પેટાવીને એની ટાઢ ઉડાડી દીધી. બદલામાં એ ધનવાન પુરુષ પોતાના વસિયતનામાંમાં આવું લખતો ગયો: ‘મારી કુલ સંપત્તિમાંથી અડધો હિસ્સો એ ગરીબ યુવાનને આપું છું, જેણે બરફમાં દટાયેલા એક અજાણ્યા માણસનો જીવ બચાવ્યો હતો.’
આપણે જ્યારે જ્યારે આવું વાંચીએ છીએ ત્યારે આપણા દિમાગમાં સૌથી પહેલો વિચાર કયો આવે છે? પેલા ગરીબ મદદકર્તાને શાબાશી આપવાનો? પેલા આફતગ્રસ્ત માણસની આફત ટળી ગઇ એ વાતથી આનંદ પામવાનો? ના, સૌપ્રથમ વિચાર એ આવે છે કે પેલા ગરીબ માણસના સ્થાને હું હોત તો કેટલું સારું થાત? આપણે એ નથી વિચારતા કે તે સંજાગોમાં આપણે માનવતા દાખવીને મદદરૂપ થયા હોત ખરા? જો થયા હોત તો પણ પેલો માણસ રાજા કે ધનકુબેર જ હોત તેની શી ખાતરી? માની લઇએ કે તે એવો હોત તો પણ એણે બદલામાં આપણને ન્યાલ કરી જ દીધા હોત એવું કોણ કહી શકે? આવું થવું એ માટે ઘણાંબધાં સંજોગોનું રસાયણ જવાબદાર હોય છે. અંગ્રેજીમાં આના માટે કહેવાય છે, ‘ધિસ હેપન્ડ બીકોઝ ધેટ મેન વોઝ એટ એ રાઇટ પ્લેસ એટ એ રાઇટ ટાઇમ.’ મતલબ કે તે ગરીબ માણસ યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ હાજર હતો માટે આવું બન્યું.
- Advertisement -
હિંદુ જીવનદર્શન આવું નથી કહેતું. આપણાં શાસ્ત્રો કહે છે કે શુભ આશયથી કરાયેલા સત્કર્મનો બદલો હંમેશાં મળે જ છે. તે સમયે નહીં તો બીજા કોઇક સમયે. આજન્મમાં નહીં તો આવતા જન્મમાં.
ચાલો, આપણે આજથી શુભ કર્મો કરવાનો સંકલ્પ કરીએ. રાત્રે પથારીમાં પડતા પહેલાં ઓછામાં ઓછું એક સારું કામ કરીએ.