ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.26
સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજે એક વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો, જે આગામી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાઓમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ માટે સમર્પિત હતો. ભગવાન સોમનાથ મહાદેવના આશીર્વાદ વિદ્યાર્થીઓ પર રહે અને તેઓ સફળતા પ્રાપ્ત કરે તેવી મંગલ કામના સાથે આ વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો.
ભગવાનના શૃંગારમાં પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે ખાસ પેન પણ મૂકવામાં આવી હતી, જે આગામી તા. 27 ફેબ્રુઆરીથી શરૂ થનારી બોર્ડની પરીક્ષામાં વેરાવળ શહેરના પરીક્ષા કેન્દ્રો ખાતે વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવશે. આ પેન ભગવાન સોમનાથ મહાદેવના આશીર્વાદ રૂપે વિદ્યાર્થીઓને આપવામાં આવશે, જેથી તેઓ શાંતિ અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શકે.
વિદ્યાર્થીઓ આપણા દેશનું ભવિષ્ય છે. ભગવાન સોમનાથ મહાદેવના આશીર્વાદથી તેઓ તેમના જીવનમાં સફળતા પ્રાપ્ત કરે, આ પેન વિતરણ એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો અને તેમને ભગવાનના આશીર્વાદથી જોડી રાખવાનો એક નાનકડો પ્રયાસ છે. વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ સોમનાથ મંદિર ટ્રસ્ટના આ પ્રયાસને ખૂબ જ સરાહના કરી હતી અને ભગવાન સોમનાથ મહાદેવના આશીર્વાદ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ વિશેષ શૃંગારના દર્શન કરી મોટી સંખ્યામાં ભક્તો ધન્ય બન્યા હતા.